Pages

Tuesday, August 31, 2010

So be careful about electrical safety & save your life someone waiting at your home.


Dear all,

This accident occurred on 20. 0 2. 10 at Malaysia power line insulation without shutting down the main electrical board.

So be careful about electrical safety & save your life someone waiting at your home.







શ્વાસ ખુટી જાય અને ઈચ્છાઓ બાકી રહી જાય ....... તે મોત ..
ઈચ્છાઓ ખુટી જાય અને શ્વાસ બાકી રહે ........... તે મોક્ષ !!

"If u miss an opportunity don't fill the eyes with tears,
It will hide another better opportunity in front of you."
Switch Off unnecessary things today to Switch On necessary things tomorrow... Save Electricity
"If you focus on results, you will never change,instead, if you focus on change, you will get results."

Wednesday, August 25, 2010

ભઈલા, આ લીલછોયો ગોળ તો લાઠીની ટોડાવાળી વાડીનો હોય

દેશી રજવાડાઓની સહાયથી લેઉવા કણબી પટેલોએ સૌરાષ્ટ્રનાં વસવાટ કર્યો. એ કાળે રાજવીઓ સાથે એમના સંબંધો કેવા હતા, એમની ખાનદાની, ખુમારી, રખાવટ, વટ-વ્યવહાર, કોઠાસૂઝ, ચતુરાઈ, જીવદયા, સુખદુઃખ, દારિદ્રય અને રીતરિવાજો કેવા હતા એની રસપ્રદ નોંધ ‘સૌરાષ્ટ્રના લેઉવા પાટીદારોના ઇતિહાસ’માં ગોરધનદાસ સોરઠિયાએ આપી છે. એની વાતો અને રસપ્રદ પ્રસંગો ગુજરાત સમાચારના વાચકો માટે પ્રસ્તુત કરું છું, જે એમની સંસ્કૃતિને સમજવા માટે ઉપયોગી બની રહે તેવા છે.

સૌરાષ્ટ્રના પાટીદારોમાં જે ઇતિહાસર્જક વીરપુરુષો થઈ ગયા, એમાં ઉડીને આંખે વળગે એવું એક નામ ભાદા પટેલનું છે. અઢીસોએક વરસ પૂર્વે થઈ ગયેલા આ પ્રતાપી પુરૂષ, ધોરાજી પાસે જળિયા ગામનું તોરાણ બાંધી નવું ગામ વસાવીને ત્યાં રહ્યા. ભાદા પટેલની વાતો ઉડતી ઉડતી જામનગરના રાજવી જામજસાજીના કાને આવી. ભાદા પટેલને એમણે પરિવાર સહિત તેડાવીને કંડોરણામાં વસાવ્યા. એ પછી એમણે જસાપર ગામ વસાવ્યું. પછી તો ભાદા પટેલની ઓથે આ પરગણામાં પટેલોની વસતી વધતા માંડી. પડતર જમીનો ખેડાવા માંડી, વાડીઓ નંખાવા માંડી ને વસતી આબાદ થવા માંડી. એ વખતે ધાડપાડૂઓથી પ્રજાને બચાવવા માટે ભાદા પટેલે રાયડી ગામમાં જંગી કોઠો બનાવ્યો. આવી આબાદીથી ખુસ થઈ નામદાર જશાજી જામે ભાદા પટેલને ગરાસમાં બાર સાંતીની જમીન આપી.

જામજસાજીના રાજમાં ભાદા પટેલના માનપાન ને પ્રતિષ્ઠા વધી ગયાં. એવામાં ભાદા પટેલના દીકરા માધાના લગ્નનો રૂડો અવસર આવ્યો. જામસાહેબને કંકોતરી લખી, ભાદા પટેલ મનવાર (આગ્રહ) કરવા માટે જામનગર ગયા ને બે હાથ જોડીને વિનંતિ કરી ઃ ‘નામદાર! દીકરાના લગન લીધા છે. આપ પધારીને આશીર્વાદ નઇં દ્યો ત્યાં લગી જાનનું વેલડું નંઈ જોડાય.’

અને લગ્નની ધામઘૂમમાં ભાગ લેવા જામ જસાજી રસાલા સાથે સ્વયં કંડોરણા પધાર્યા. ભાદા પટેલનો અવસર ઉજળો કરી બતાવવા હજારો પટેલો ઉમટી પડ્યા. ભાદા પટેલે આગતાસ્વાગતા ને વ્યવસ્થા ય એવી કરી. આવનાર મહેમાનોના થાકેલા ઘોડા માટે અગાઉથી પાકા અવેડા તૈયાર કરાવી ભેંસુના ઘીથી ભરી દીધા. એ રીતે ઘોડા ને મહેમાનોના બળદોને અવાડામોઢે ઘી પાયું. ભાદા પટેલની સરભરા માણતા જામસાહેબ માંડવે પધાર્યા. ભાદા પટેલના વહુએ અને બાઈઓએ સોનાના ફૂલડે વધાવતાં વધાવતાં ગાયું ઃ


‘જામ પધાર્યા કંડોરણે, હાલો જોવાને જઈએ.


જોવાને જઈએ ને સુખિયા થઈએ. જામ.


એ વખતે તક ઝડપી લઈને ભાદા પટેલે જામજસાજીને કાને વાત નાખી, ‘બાપુ! આપ જાણો છો કે કંડોરણું (ગામ) ગોંડળ, જૂનાગઢ અને પોરબંદર ત્રણ રાજના તરભેટે આવ્યું છે. સંધાય રજવાડાની કાયમ ભૅ (બીક) રહે છે એટલે ગામ ફરતો મજબૂત ગઢ બંધાવવાની તાતી જરૂર છે.’


‘ભાદા પટેલ, તમારી વાત સોળઆની ને બે વાલ, પણ કાળદુકાળને કારણે રાજ હાલમાં આવડું મોટું ખરચ ઉપાડી શકે એમ નથી. થોડા વરહ ખમી જાવ. પછી જોઈશું.’


‘બાપુ! આપ રજા દ્યો તો મારા ખરચે હું ગઢ ઊભો કરી દઊં. રૈયતને રક્ષવી તો પડશે જ ને!’ રાજવીની રજા મળતાં ભાદા પટેલે પદરના ખરચે રૈયતની રક્ષા માટે જામકંડરોણાનો કિલ્લો બનાવવાનો શુભારંભ કર્યો. વરસોની મહેનત પછી ભાદરનદીને કાંઠે, માથે ગાડું વહ્યું જાય એવો મજબૂત ગઢકિલ્લો પૂર્ણ કર્યો. જામજસાજીએ સંવત ૧૮૭૫ના વૈશાખ સુદ ત્રીજના દિવસે ‘ગઢેચીમાતા’’ અને ‘કાળભૈરવ’ની સ્થાપના અને પૂજા કરી ગઢના દરવાજા ખુલ્લા મૂક્યા. પછી તો જામજસાજી કોરાણે રહી ગયા ને રૈયતે ભાદા પટેલના જશના ગીતો ગાવાં માંડ્યાં.


‘ભાદે ગઢ ચણાવિયો, બંધાવ્યા કોઠા ચાર,

ગામ દરવાજા શોભતા, કાંગરાનો નઈં પાર.’

ઇતિહાસમાં આ પ્રસંગની નોંધ નથી પણ લોકજીભે રમતી કિંવદંતી કથે છે કે ગઢ ખૂલ્લો મૂક્યા પછી ભાદા પટેલે બહુ મનવાર કરીને જામજસાજીને કંડોરણા રોક્યા અને મહેમાનગતિ કરાવવામાં કોઈ મણા રાખી નહીં. ભાદા પટેલે હરેક ટંકે જામસાહેબ માટે સાકરડી ભેંસના કઢેલ દૂધડાં તાંસળી મોઢે પીરસ્યાં. કહેવાય છે કે ભેંસોની ૩૬ જાતોમાં સાકરડી ભેંસનો વેલો ભાગ્યે જ જોવા મળે છે. એનું દૂધ સાકર જેવું મીઠું હોય છે.


સંધણ શિંગે નવચંદરી, દોઉ નૈનોમેં કેરી,

દૂધ સ્વાદ સાકર, એ ભેંસ સાકરડી

જામજસાજીને સાકરડી ભેંસનું દૂધ જીભે લાગી ગયું. એમણે ભાદા પટેલ પાસે આ ભેંસની માગણી મૂકી. ખંતીલા ભાદા પટેલે જતન કરી આ પાડીને ઉછેરીને મોટી કરી હતી એટલે એમને કાળજાના કટકા જેવી વહાલી હતી. ભાદા પટેલે વિવેકપુરઃસર કહ્યું ઃ ‘બાપુ! આપ માગો તો ગામની ભેંસોનું ખાડું છોડી આપું પણ સાકરડી કોઈ સંજોગોમાં નઇં આપું.’ રાજ અને પ્રજાના અહં ટકરાયા. જસાજીએ ભાદા પટેલને ઉચાળા બાંધીને રાજ છોડી દેવાનો હૂકમ કર્યો. ઉપકારનો બદલો અપકારથી મળતાં ભાદા પટેલનો રિકાટ બદલાણો, અને પછી...


ભડ થઈને ભાદો બોલ્યો, થોડું આ’યાં જ વાવ્યું ઊગે!

છોડું તારું કંડોરણું, તો એને સરપે ય ન સૂંઘે.’

સાંભળો જામબાપુ, તમારા જામકંડોરણાની ભોંમાં જ વાવ્યું ઊગે છે ને બીજે નથી ઉગતું. અમારે ખેડુને તો ગાજે ત્યાં ગરાસ. ગમે ન્યાં મહેનત કરી ધરતીની ઘૂળમાંથી ધાન પેદા કરી લેશું. તમારી ભૂમિને સરપેય નહીં સૂંઘે, જાવ.’

કહેવાય છે કે ભાદા પટેલે બીજે દિવસે જામજસાજીનું કંડોરણું છોડી દીઘું અને ભાવનગર રાજ્યના પીપરિયા ગામમાં જઈને વસ્યા. ભાદા પટેલના નામ પરથી એમના વંશજો આજેય ભાદાણી અટકથી ઓળખાય છે.
***
પટેલો તો વટ, ખુમારી અને સ્વમાની હતા પણ પરણીને સાસરે આવતી પટેલ કન્યાઓ પણ ચતુર અને વ્યવહારકુશળ હતી. ઘર ચલાવવાની અને ઘરવાળો આડોઅવળો ચાલે તો સીધી તેને લઈ આવવાની આવડત એ ધરાવતી હતી. એનો એક રમૂજી પ્રસંગ ઃ

કાળી ચૌદશની હબસીના મોઢા જેવી ઘોરઅંધારી રાત છે. ધરતી પર અંધકારના ઓળા ઊતર્યા છે. તમરાંના અવાજ સંભળાય છે. ગામ આખું નિંદરમાં પોઢી ગયું છે. ક્યારેક શેરીમાં ભસતા કૂતરાંનો અને સીમમાંથી આવીને ગામના પાદરમાં રોતાં શિયાળિયાની લાળી સંભળાય છે. મધરાતનો ગજર ભાંગ્યો છે. ગામના સાવ છેવાડે એક ખોરડું છે. નેવાં તૂટી ગયાં છે. નળિયાં પડુ કે પડશે એમ થઈ રહ્યાં છે. ઓરડાના ઊંબરામાં પટલાણી બેઠાં છે. એનો વર ફળિયામાં ખાટલો નાખીને ભૂવાના મંત્રો તાજા કરે છે. માથેથી વેંતકની ચોટલી છૂટી મૂકી છે. પછી એ ઊભો થયો. પાણી છાંટયું. તલવારની પીંછીથી ફરતો લીંટો તાણી ઝોળી જેવા ખાટલામાં બેઠો. પડખે પડેલી તાંસળીમાંથી અડદનાં બાકળાં લઈ ચારેય દિશ્યે ઉડાડીને મંડાણો ઘૂણવા ને ખાટલામાં કૂદકા મારવા ઃ


‘પાણી બાંઘુ પાતાળ બાંઘું,

આકાશ બાંઘુ, સૂરજ બાંઘું
ઘર બાંઘુ, ચાંદો બાંઘું
નવલખ ઊગતા તારા
બાવન વીર બાંઘું
ચોસઠ જોગણિયું બાંઘું’

ત્યારે વ્યવહારકુશળ અને ડાહી પટલાણી દીવાની વાટ્ય શગે ચડાવતી બોલી ઃ ‘પીટ્યા! પે’લાં તારી સોટલી બાંઘ્ય, પછી કૂદકા મારીને ખાટલાની ઝોળી કરી નાખી છે ઇનું પાંગત બાંઘ્ય, પણ ઇની પે’લાં ખોરડાંના નેવાં હમણાં હેઠા પડશે ઇને બાંઘ્ય... પછી ભૂત, પલીત, વીર ચાંદો, સૂરજ જોગણિયું હૂજે ઇ બાંધજે.’ બડકમદાર બાઈએ એના ઘરવાળા પાસે ચોટલી, ખાટલાનું પાંગત અને ખોરડાના નેવાં ત્રણે બંધાવ્યાં. આજની ઘડી ને કાલ્યનો દિ’.


ગુજરાતના પળાંસવા ગામમાં રહેતું વાઘજી પરસાણાનું કુટુંબ સં. ૧૬૨૦માં લાઠીમાં રહેવા આવ્યું.’ એમાં વેલો પટેલ કરીને કરમી પુરુષ થયો. એ બે પાંદડે થતાં એણે કેરિયાના મારગે વાવ બંધાવી. દરબારે એમને સારી જમીન અને ટોડાવાળી વાડી આપી. ટોડાવાળી વાડીમાં વેલાએ શેરડીનો વાઢ કર્યો. શેરડી મબલખ પાકી પણ ગોળના ભાવ તળિયે બેસી ગયા. આથી વેલા પટેલ ગોળની ચાર ગાડીઓ ભરાવીને કચ્છના આંકડિયા ગામે ગયા. સાંજ પડવાથી એક ગરીબ વિધવા બ્રાહ્મણીને ત્યાં રાતવાસો રોકાણા. ભલી બાઈએ સૌને પ્રેમથી જમાડ્યા ને રૂડી આગતા-સ્વાગતા કરી, એટલે વેલા પટેલે ખુશ થઈ ડોશીને ગોળનું ભીલું આપ્યું. ગોળનું ભીલું હાથમાં લઈ બાઈ ધારી ધારીને જોવા લાગી. ઇમાંથી કોપટી ભાંગીને મોંમાં મૂકી. પછી વેલા પટેલ સામું જોઈને બોલી ઃ


‘ભાઈ! આ ગોળ લાઠીનો તો નંઇ? અને ઇ પણ ટોડાવાળી વાડીનો. ઈના વગર આવો સવાદ બીજે નો હોય.’

વેલા પટેલને વહેમ ગયો, નક્કી આ ડોશી કો’ક કામણગારી લાગે છે. નઈંતર આટલે દૂર બેઠે એને કેવી રીતે ખબર પડે? પટેલે પૂછ્યું ઃ ‘માડી! તમે કંઈ કામણટૂમણ જાણો છો?’

‘ના રે દીકરા, કામણ કેવું ને ટૂંમણ કેવું? લાઠી નગરની ટોડાવાડી અમારી હતી. અમે મૂળ લાઠીમાં રહેતા, એટલે ગોળનું પારખું કર્યું. મારી ધરતીની માટીની સુગંધ અને સ્વાદ અહીં બેઠા મને આવે હો.’ બીજે દિ’ બધો ગોળ ખપી ગયો એટલે વિદાય લેતી વખતે ડોશીમાના હાથમાં પટેલે પાંચ રૂપિયા મૂક્યા. ત્યારે ડોશીએ એમને એકકોર્ય બકોરીને કીઘું ઃ


‘તમે મારા ભાઈ થયા છો અને ગુણીજન છો તો એક વાત કરું. અમે વરસો અગાઉ લાઠીમાં રહેતાં ત્યારે અમારી સાયબી હતી. નગદ નાણું ગાડાંમોઢે હતું. એ બધી દોલત ટોડાવાળી વાવના ભેડામાં સંતાડેલી છે. દરબાર સાથે તકરાર થવાથી રાતોરાત લાઠી છોડવું પડ્યું એટલે આ વાત કોઈને કરી નથી. અહીં આવીને સૌ મરી ખૂટ્યાં. હું પંડે એકલી છું. દાળ. રોટલો મળી રહે છે. મને દોલતનો ખપ નથી. તમારા જેવો સજ્જન માણસ વાપરશે તો હું રાજી થઈશ.’

લાઠીમાં આવ્યા પછી ભડ જૂનો થઈ ગયો છે. એટલે ઉખેળીને નવો બંધાવવો છે એ બહાના નીચે ઘરના માણસોને કામે લગાડી પટેલે વાવનો ભડ ઉખેળાવ્યો. ડોશીના કહેવા મુજબ સોનાના ગધૈયા ભરેલાં ચરુ નીકળ્યાં. મનોમન પાડ માની વેલા પટેલે ડોશીમાને ખાતાં ખૂટે નઇ એટલી રકમ મોકલી આપી પોતાના ખાનદાની બતાવી. એ પછી સંવત ૧૭૧૨માં વેલા પટેલે પરિવાર સાથે લાઠી છોડીને લૂણી નામનું ગામ વસાવ્યું. સં ૧૭૫૧માં ભયંકર દુષ્કાળ પડ્યો. વેલા પટેલે આખા ગામના ઢોરને નભાવ્યાં. ગરીબોને અનાજ પૂર્યાં. ઘરમાં અનાજ ન હોવાથી એમના બારોટને લૂણી તેડાવી એક હાંડલે આખું વરસ આખા પરિવારને જમાડ્યો. બારોટે દૂહા રચીને વેલા પટેલની કીર્તિ અમર કરી દીધી ઃ
‘લુણી એલો એકાવનો, અન્ન આપ્યાં અપાર;
વેલા તું રામેવ-તણા, જીવે જગદાતાર.’
કાઠિયાવાડના કણબી પટેલોનો પહેરવેશ જાડો, એમનો ખોરાક જાડો, જીભ કુહાડા જેવી પણ કોઠાસૂઝ જબરી. સૌરાષ્ટ્રના નેસડી ગામમાં ત્રણેક સૈકા મોર્ય સોજિત્રા શાખનું કુટુંબ વસતું હતું. એ કાળે ગરીબ ખેડૂતો પાસે ગાડા-ગાડી હતાં નહીં. દરબારો જોડે વાંધો પડે તો સાંતીના જોહરા હાર્યે ચામડે મઢેલાં ડાલાં ટીંગાડી ઉચાળા બાંધી ચાલી નીકળવું પડતું.
એ વખતે સોજિત્રાના પટેલે નેસડી ગામમાં પહેલવહેલું ગાડું બનાવ્યું. ગાડાને રૂપાનાં ફૂદડાં જડાવ્યાં. ગાડામાં વરરાજાની જાન નીકળતી ત્યારે ગામપરગામના માણસો ગાડું જોવા આવતા. પટેલ પાસે બે પાણિયાળા બળદો હતા. એમણે એકનું નામ હિપો અને બીજાનું નામ ઉનડ રાખેલું. એ વખતે આ બે બહારવટિયાનું જોર ભારે હતું. બહારવટિયાને ખબર પડતા દરબારને જાસો મોકલ્યો ઃ ‘નેસડીમાંથી સોજીત્રા કુટુંબને કાઢી મૂકો નહીં તો નેસડી ભાંગશું.’ દરબારે પટેલને ગામ છોડી દેવાની ફરજ પાડી.
બીજે દિવસે સોજીત્રા પટેલે ગાડામાં પટારો ને સામાન ભરી ગાડું હાંકી મૂક્યું. ગામનો સીમાડો છોડતાં જ પાછળ બહારવટિયા દેખાણા. પટેલે ...... પટકારો કરી બળદોને દોડાવ્યા ને કીઘું ઃ ‘તાકાત હોય તો ભેગા થઈ જાવ.’ ગાડું સામેના દરબારની હદમાં દાખલ થઈ ગયું. બહારવટિયા પાદરમાંથી પાછા વળ્યા. ત્યારે પટેલ ગાડું છોડીને બહાર આવ્યા. બહારવટિયાને રામરામ કરીને મળ્યા ને પછી એટલું જ બોલ્યા ઃ ‘તમને માઠું તો લાગ્યું હશે પણ આ બળદો તમારા નામને શોભાવે એવા છે કે નહીં? મલકમાં તમારા નામનો ડંકો વગાડવા મેં બળદોના તમારા નામે નામ રાખ્યાં છે.’ ખુશ થયેલા બહારવટિયાઓએ કાવાકસુંબા કરાવી પટેલને મંદિલ-પાઘડી બંધાવી રાજી કર્યા.
અને છેલ્લે કણબી સાથે જોડાયેલી લોકજીભે રમતી કેટલીક કહેવતો પર નજર કરી લઈએ. (૧) કણબી કાર્તક મહિને ડાહ્યો (૨) કણબી ને કેળું જે તરફથી ખાવું હોય એ તરફથી ખવાય. (૩) કણબી પાછળ કરોડ, કણબી કોઈની પાછળ નહીં (૪) કણબી બગડ્યા કડવે ને મણિધર બગડ્યા પડળે (૫) કણબી વેચે કાબરો, મતવો વેચે ગા, બાપુ વેચે ટારડું તેમાં કંઇ લા ને કંઇ સા. (૬) કણબી સમાન દાતા નહીં ને માર્યા વગર દેતાં નહીં (૭) કણબીની મત ફૂલે ને ભણે ભણે ને ભૂલે (૭) કણબીના હાથ સોનાના પણ જીભ કુહાડાની. (૬) કણબીનો કૂબો એક મૂવો ને બીજો ઊભો. (એમનામાં પુનર્લગ્ન થાય છે.) (૯) ભણ્યો કણબી કુટુંબ બોળે (૧૦) કણબી એકવાર ઊંહું કરે તો એનું ઓસડ નંઈ (૧૧) કણબીનું મોં કુહાડે ચીરેલું (૧૨) પટેલોની એકતા એટલે કાળંગાનો ભોર (૧૩) કણબીની જીભ કુહાડા જેવી, એક ઘા ને બે કટકા.
આજે આ પરિસ્થિતિ રહી નથી. પટેલોએ દૂરદેશાવર ખેડ્યાં છે. સાત સમંદર ઓળંગીને વિદેશોની ધરતી પર ગુજરાતનું ને ભારતનું નામ રોશન કર્યું છે. ઉદ્યોગ ધંધામાં અગ્રેસર બની રહ્યા છે. આ તો બધી જૂના જમાનાની વાતડિયું છે.

Wednesday, August 18, 2010

ભારત સરહદે અતિ આધુનિકઅણુ મિસાઈલો ગોઠવતું ચીન


ચીન ગુપ્ત રીતે પોતાની લશ્કરી તાકાત વધારી રહ્યું છે. તેણે ભારત સાથેની સરહદો પર નવા અત્યાધુનિક લાંબી રેન્જના ભજીજી-૫ મિસાઈલો ગોઠવ્યાં છે અને આ વિસ્તારમાં ટુંકી મુદ્દતે એરબોર્ન દળોને ફેરવવાની તાકીદની યોજનાઓ વિકસાવી છે. ચીને ૧૫૦૦ કિ.મી. રેન્જના એન્ટિશિપ મિસાઈલો વિકસાવ્યા છે, જે એરક્રાફ્રટ કેરિયર્સને ફટકો મારી શકે છે, તેમ પેન્ટાગોનના અહેવાલે જણાવ્યું છે.

પેન્ટાગોનના અહેવાલ મુજબ ચીને ૧,૫૦૦ કિ.મી.ની રેન્જ ધરાવતી એન્ટિશિપ અને એન્ટિ એરક્રાફટ મિસાઈલ બનાવી

અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગોને કોંગ્રેસ સમક્ષના અહેવાલમાં જણાવ્યું હતું કે ભારત અને ચીન વચ્ચે રાજકીય અને આર્થિક સંબંધોમાં વૃદ્ધિ થઇ હોવા છતાં બન્ને વચ્ચેની સરહદોએ તંગદિલીમાં વધારો થયો છે અને ચીનના સૈનિકો દ્વારા સીમાભંગ અને આક્રમક સરહદ પેટ્રોલિંગની ઘટનાઓ વધી રહી છે. જોકે, ચીન-ભારત સરહદે લશ્કરી ક્ષમતાઓમાં કોઇ અસંગત વધારો જોવા મળ્યો નહિ હોવાનું પેન્ટાગોન અહેવાલે જણાવ્યું હતું.
પોતાના વાર્ષિક અહેવાલમાં યુએસ સંરક્ષણ વિભાગે જણાવ્યું છે કે પ્રાદેશિક અવરોધકોને સુધારવા માટે પીપલ્સ લિબરેશન આર્મીએ ભારત સાથેની સરહદો પર જૂના, પ્રવાહી બળતણ ધરાવતા અને અણુક્ષમતા સાથેના ભભજી-૩ ઈન્ટરમીડીએટ રેન્જના મિસાઈલોના સ્થાને વધુ આધુનિક અને સર્વાઈવેબલ ભજીજી-૫ મિડીયમ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ્સ ગોઠવ્યાં છે. ચીન અત્યારે તેની ભારત સાથેન સરહદોએ વ્યાપક માર્ગ અને રેલવે ઇન્ફ્રાસ્ટ્રકચર વિકાસ કાર્યક્રમ હાથ ધરેલો છે. ભારત સાથે ૪૦૫૭ કિલોમીટરની સરહદ પર મુખ્યત્વે અરુણાચલ પ્રદેશનો વિવાદ તંગદિલીપૂર્ણ છે, જેને ચીન તિબેટનો એક હિસ્સો જ ગણે છે અને તેથી પોતાનો પ્રદેશ ગણાવે છે. તિબેટી મેદાન પ્રદેશના પશ્ચિમ છેડે અકસાઈ ચીન વિસ્તારને પણ તે પોતાનો પ્રદેશ ગણાવે છે.

ભારત અને ચીન બન્નેએ ૨૦૦૯માં પોતાના દાવાઓ મજબૂત બનાવવાના પ્રયાસો વધારી દીધાં હતાં. ચીને એશિયન ડેવલપમેન્ટ બેન્ક પાસેથી ભારતને મળનારી ૨.૯ અબજ ડોલરની લોન અટકાવવા પ્રયાસ કર્યા હતા. આ લોનનો હિસ્સો અરુણાચલમાં જળયોજનાઓ પાછળ વપરાશે તેવું કારણ રજૂ કરાયું હતું. ચીનના લશ્કરી ખર્ચમાં જંગી વધારો થયો છે. ૨૦૦૯માં આ ખર્ચ ૧૫૦ અબજ ડોલરનો હતો. ચીન દૂરના અંતરેથી હુમલા કરવાની ક્ષમતા હાંસલ કરી રહ્યું છે, તેવી ચેતવણી પેન્ટાગોને આપી છે. ચીન વિશ્વમાં સૌથી વધુ સક્રિય ભૂમિ આધારિત બેલેસ્ટિક અને ક્રુઝ મિસાઈલ્સ કાર્યક્રમ ધરાવતું હોવાનું પણ તેના અહેવાલમાં જણાવાયું છે. ચીને અવકાશમાં લક્ષ્યો પર ત્રાટકવાની ક્ષમતા ધરાવતાં મિસાઈલ વિકસાવ્યા છે. અને તેના દળોને વૈશ્વિક પહોંચ મળે તે માટે પરંપરાગત અને આણ્વિક સબમરિનોનો કાફલો પણ વધારી રહ્યું છે. ચીન ૧૫૦૦ કિ.મી.થી વધુ અંતરની પ્રહાર ક્ષમતા સાથે એન્ટિશિપ બેલેસ્ટિક મિસાઈલ વિકસાવી રહ્યું છે, જે તેને વેસ્ટર્ન પાસિફિકમાં વિમાનવાહક જહાજો અને જહાજો પર હુમલાઓ કરવાની ક્ષમતા આપશે, તેમ પેન્ટાગોનના અહેવાલમાં જણાવાયું છે.

કરોડોના કૌભાંડમાં ગળાડૂબ કલમાડીની કરમ-કુંડળી

ભારતીય હવાઈ દળના પાઇલટમાંથી બિઝનેસમેન અને રાજકારણી બનેલા કલમાડી સ્પોર્ટ્સ માફિયાના લીડર છે કે સ્પોર્ટ્સના ઘડવૈયા?

આગામી ઓક્ટોબરમાં દિલ્હીમાં યોજાનારી 'કોમનવેલ્થ ગેમ્સ'નો રમતોત્સવ તેના પ્રારંભ પહેલાં જ નેતાઓની ભ્રષ્ટાચારી રાજરમતોના કળણમાં ખૂંપી ગયો છે. એક પછી એક બહાર આવી રહેલાં કૌભાંડોમાં 'એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા' (એએફઆઇ)ના પ્રમુખ, ભારતીય હવાઈ દળના ભૂતપૂર્વ પાઇલટ અને વગદાર કોંગ્રેસી નેતા સુરેશ કલમાડીનું નામ સૂત્રધાર તરીકે અનેક આક્ષેપોથી કલંકિત થઇ રહ્યું છે.
જોકે કલમાડીને જોતાંવેંત તેમની રગેરગમાં આત્મવિશ્વાસ છલકાતો હોય એવું લાગે છે. દેશના સૌથી સમર્થ સ્પોર્ટ્સ વહીવટકારના ચહેરા પરથી કોઇ એમ ન કહી શકે કે કૌભાંડોથી ઘેરાયેલા કલમાડીની રાતની ઊંઘ હરામ થઈ ગઈ છે. ઉલટું, જાણે કોઇ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીતી ગયા હોય એવી છાપ તેમના પહેરવેશ પરથી ઉપસે છે. 'કોમનવેલ્થ ગેમ્સ' સફળતાથી પાર પડશે,' એવું કહેતા કલમાડીના વેશ કે વાણી પરથી એવું નથી લાગતું કે તે આકરી ટીકાના પ્રહારો ઝીલી રહ્યા છે.

છતાં કેટલાક ટીકાકારો માને છે કે કલમાડીનો સિતારો હવે ખરી પડવાની ઘડીઓ ગણાઇ રહી છે. કદાચ તેમની તાબડતોબ કે હીણપતભરી હકાલપટ્ટી ન થાય, તોપણ એક હકીકત સ્પષ્ટ છે કે કલમાડીએ તેમની કારકિર્દીમાં આટલા ખરાબ દિવસો ક્યારેય જોયા નહોતા. કલમાડીની આ અવદશા માટે તેઓ પોતે જ દોષિત છે. તેમના વિવેકી વર્તનના મહોરા પાછળ વગ-વર્ચસ્વ જમાવવાની વૃત્તિ છુપાયેલી હોવાનું તેમના ટીકાખોરો કહે છે. તેને કારણે જ છેલ્લા ૩૦ વરસમાં પુણેના 'એમેટર એથ્લેટિક્સ એસોસીએશન'ના પ્રમુખપદ સુધીની તેમની બઢતી દરમિયાન તેમણે અનેક શત્રુઓ ઊભા કર્યાં છે.
એર ફોર્સના પાઇલટમાંથી બિઝનેસમેન અને રાજકારણી બનેલા ૬૬ વર્ષની ઉંમરના કલમાડી, ભારતીય રમતગમતોના સર્વોચ્ચ સ્થાને કઈ રીતે પહોંચ્યા કે હોકીના જાણીતા ખેલાડી પરગટસિંહે ખુલ્લેઆમ તેમને 'સ્પોર્ટ્સ માફિયા'ના સૂત્રધાર ગણાવ્યા?

ઇન્ડિયન હોકી એસોસીએશનના ભૂતપૂર્વ પ્રમુખ કે. પી. એસ. ગિલે કલમાડી પર આક્ષેપ મૂક્યો છે કે તેમણે ભારતીય સ્પોર્ટ્સ-સિસ્ટમનું અવમૂલ્યન કર્યું છે. 'કલમાડી જેવી કોઇ પણ ચતુર-ચાલાક, શ્રીમંત અને બેફામ વ્યક્તિ તેમની જ માફક આ રીતે ટોચ પર પહોંચી શકે, એમ પરગટ સિંહ કહે છે. પરંતુ કલમાડી અણનમ છે. તેઓ ભારપૂર્વક કહે છે કે હું ફેડરેશનોમાં કશી દખલગીરી કરતો નથી અને ભારત કેવળ ક્રિકેટમાં જ નહીં, પરંતુ બીજી રમતોમાં પણ નામના કાઢે એ માટે હું બનતી કોશિશો કરવા કટિબદ્ધ છું. રમતોના વહીવટમાં કલમાડીએ ૧૯૭૦ના અંતના દિવસોમાં પ્રવેશ કર્યો હતો. તે વખતના પુણેના અવેતન ખેલાડી મંડળના પ્રમુખ અનિલ સુળેથી નારાજ કેટલાક ખેલાડીઓ કોઇક ધગશવાળી વ્યક્તિને પ્રમુખપદે બેસાડવા માગતા હતા અને તેમાં કલમાડી ફિટ બેસે તેવા તેમને લાગ્યા હતા. કલમાડી તે સમયે હજી મહારાષ્ટ્ર યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે નિમાયા હતા. ભારતીય હવાઈ દળમાંથી નિવૃત્ત થયા બાદ તે પુણે આવીને રહ્યા હતા, જ્યાં તેમના કર્ણાટકી પિતા ડોક્ટરનો વ્યવસાય કરતા હતા.
કલમાડીએ ૧૯૭૪માં પુણે કોફી હાઉસ ખરીદી લીધું અને તેના કાઉન્ટર પર બેસી ગયા. ટૂંક સમયમાં તેઓ તે સમયના કોંગ્રેસના વર્ચસ્વી નેતા શરદ પવારના સંપર્કમાં આવ્યા અને આ સંપર્કે તેમના ભાગ્યનાં દ્વાર ખોલી નાખ્યાં.
કલમાડીને સુળે સામે ઉમેદવારી નોંધાવવાનું કહેવાતાં તે કબૂલ થયા. પછી કલમાડીના સમર્થકોની કેટલીક વ્યૂહરચનાને લીધે સુળેને પોતાની ઉમેદવારી પાછી ખેચી લેવા પ્રેર્યા.
કલમાડીને મહારાષ્ટ્ર સ્ટેટ એથ્લેટિક્સ એસોસીએશનની ચંૂટણીમાં ઝંપલાવવાનું કહેવાયું. પરંતુ ફરીવાર ચૂંટણી લડી રહેલા વિધાનસભાના સ્પીકર એસ. કે. વાનખેડે સામે જીતવાનો તેમને વિશ્વાસ નહોતો. ચૂંટણીના થોડાક દિવસ અગાઉ જ કેટલાક પત્રકારોએ વાનખેડેના પરાજયની અટકળો વહેતી કરી હતી. કલમાડીને સમર્થ હરીફ માનીને વાનખેડેએ ઉમેદવારી પાછી ખેચી લીધી.

પોતાના વટ-વર્ચસ્વનો પ્રથમ સ્વાદ કલમાડીએ ૧૯૮૫માં માણ્યો જ્યારે તેમને એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (એએફઆઇ)ની સિલેક્શન કમિટીના ચેરમેન બનાવાયા હતા ત્યારે આ પદમાં તેમને કોચ (રમતની તાલીમ આપનારા)ની પસંદગી કરવાની, લોકોને વિદેશપ્રવાસે મોકલવાની અને મતદારોને રિઝવવાની અઢળક તકો દેખાઇ હતી. આ તકનો તેમણે ભરપૂર ઉપયોગ કર્યો. પરિણામે ચાર વર્ષ બાદ તેઓ એએફઆઇના પ્રમુખ બની ગયા.
દરમિયાન ૧૯૭૮માં પવારની કોંગ્રેસ (એસ)માં જોડાવા તેમણે કોંગ્રેસ છોડી ત્યારથી શરૃ થયેલી તેમની રાજકીય કારકિર્દી ૧૯૮૨માં રાજ્યસભામાં તેમના પ્રવેશથી ખીલી ઊઠી. વળી ૧૯૮૩માં પુણેમાં તેમના પરિવારને સંજય ગાધીની મહત્ત્વાકાંક્ષી 'મારુતિ' કારની ડીલરશિપ મળતાં કલમાડીનો બિઝનેસ પણ ઊંચકાયો.
૧૯૮૦થી કલમાડીએ તેમની 'સંસદસભ્ય'ની પ્રતિષ્ઠાને કામે લગાડી અને રમતવીરો માટે તેમ જ પુણે માટે લોબીઇંગ કરીને, પુણેની એક સુસ્ત નગરની ઇમેજ બદલાવી તેને પ્રવૃત્તિઓથી ધમધમતું એક નગર બનાવ્યું.
૧૯૮૩માં તેમણે પુણે ઇન્ટરનેશનલ મેરેથોન સ્પર્ધા શરૃ કરી. પછી ૧૯૮૬માં એક 'દોડ' યોજી, જેમાં તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીએ ભાગ લીધો હતો. ઉપરાંત અનેક રેસોનું આયોજન કર્યું જેમાં ટોચના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની હાજરી હતી. તેમણે વાર્ષિક સંસ્કૃતિક સમારંભ અને એક ફિલ્મ મહોત્સવનું પણ આયોજન કર્યું. આ કાર્યક્રમોથી તેમને માતબર મિત્રો મળ્યા અને કલમાડી એક 'સિદ્ધ' નેતા તરીકે પ્રસિધ્ધિ પામ્યા.
'કલમાડી કર્તૃત્વશીલ છે તેમને કશુંક કામ કરાવવું હોય ત્યારે તે ક્યારેય નિરાંતે બેસતા નથી.' આ શબ્દો છે, ભૂતપૂર્વ આયોજક સમિતિસભ્ય અને નેશનલ રાઇફલ એસોસીએશન ઓફ ઇન્ડિયાના ઉપરી દિગ્વિજય સિંહના.
'તેઓ એક મહાન લડવૈયા પણ છે,' એમ આર્ચરી (ધનુવિદ્યા એસોસીએશનના મંત્રી તેમ જ 'ઇન્ડિયન ઓલિમ્પિક એસોસીએશન'ના ઉપપ્રમુખ પરેશ નાથ કહે છે.

ભારતીય ઓલિમ્પિક એસોસીએશનના પ્રમુખપદ માટે અગાઉ બે વખત કલમાડી, તમિલનાડુના મિડિયા-કિંગ બી. એસ. આદિત્યન સામે હાર્યા હતા. પરંતુ ૧૯૯૬માં તેમણે રમતક્ષેત્ર ઉપરાંત રાજકીય ક્ષેત્રમાં પણ પોતાની જાળ બિછાવી અને આદિત્યનના સમર્થક તેમ જ અત્યારના સેક્રેટરી જનરલ રણધીર સિંહનો વિશ્વાસ પણ જીતી લીધો હતો.
પ્રમુખપદ પ્રાપ્ત કર્યા પછી તે ટકાવી રાખવા કલમાડીએ વિવિધ રમતોનાં મંડળોમાં પોતાના વિશ્વાસુઓને ગોઠવીને વોટ-બેન્ક અંકે કરી લીધી. 'આઇઓએ' પણ કલમાડીના સમર્થકોથી જ ભરાયું છે.
કલમાડીને સ્પોર્ટ્સ-ક્ષેત્રમાંથી કશો અવરોધ ખમવો પડયો નથી. પરગટ સિંહના જણાવ્યા મુજબ સ્પોર્ટ્સ મંડળોના કર્મચારીઓ કરોડરજ્જુ વિનાના લોકો છે. ૩૦ જેટલાં ફેડરેશનો પૈકી માત્ર ૨૦ સક્રિય છે. બાકીનાં બધાં વન-મેન શો જેવાં છે અથવા કેવળ કાગળ પર જ તેમનું અસ્તિત્વ છે.
જોકે કલમાડી આ આક્ષેપોને વાહિયાત કહી નકારી કાઢે છે. 'તમામ સ્પોર્ટ્સ ફેડરેશનો પોતપોતાની સ્વતંત્ર ચૂંટણીઓ યોજે છે. તેમાં દખલગીરી કરવાની મને ફુરસદ નથી. પરંતુ જેઓ રમતગમત ક્ષેત્રે કશુંક કરે છે તે તમામ પ્રત્યે હું વધુ મૈત્રીભાવ રાખું છું.
હકીકતમાં કલમાડીનો વ્યૂહ ફળ્યો છે. તેમની સમક્ષ માત્ર એકવાર ૨૦૦૦ની સાલમાં ઇન્ડિયન ઓલિમ્પિક એસોસીએશનની ચૂંટણીટાણે પડકાર ઊભો થયો હતો. જ્યારે હરિયાણાના રાજકારણી અભયસિંહ ચૌટાલા મેદાનમાં ઊતર્યા હતા. ચૌટાલાના સમર્થકોએ કલમાડીની તરફેણ કરી હતી. કલમાડીને આદિત્યના ગુ્રપનું પણ સમર્થન સાંપડયું હતું. જોકે બન્નેમાંથી કલમાડીનું પલ્લું ભારે હતું. ૨૦૦૪ અને ૨૦૦૮માં કલમાડી બિનહરીફ ચૂંટાયા હતા.

બોર્ડ પર પોતાના માણસોને ગોઠવવાનું અઘરું નથી. કલમાડી એ માટે બેવડી નીતિ અપનાવે છે. કાં તો તે માણસને ખુશ કરે છે, કાં તેમને ધાકધમકી આપે છે.
કલમાડી વૈભવશાળી પાર્ટીઓ યોજીને ખેલાડીઓ, વહીવટદારો, રાજકારણીઓ અને પત્રકારોને પ્રતિષ્ઠિત પદો પર નીમીને તેમને વિદેશપ્રવાસો તેમ જ મફતમાં મોજ કરાવીને રીઝવે છે.
જોકે કલમાડી પોતે એમ કહે છે કે મેં છેલ્લાં બે વરસમાં કોમનવેલ્થ ગેમ્સ સાથે સંકળાયેલા અધિકારીઓ સિવાય એક પણ પાર્ટી આપી નથી. છતાં એક વહીવટી અધિકારી એવો આક્ષેપ કરે છે કે તેમની પાસે પૈસા છે અને તે અમને કોર્ટમાં જવાનો પડકાર ફેંકે છે. અમને તે પરવડતું નથી. તેથી અમે ઝૂકી જઈએ છીએ.
પરગટ સિંહે જાન્યુઆરીમાં કહ્યું હતું કે 'હોકી પંજાબ'ને કહેવાયું હતું કે જો તે કલમાડીની ઉમેદવારીને સમર્થન આપશે તો જ તેને સંલગ્ન કરાશે. મહારાષ્ટ્ર હોકી એસોસીએશનના સેક્રેટરી ઇકરામ ખાને પણ ફરિયાદ કરી હતી કે કલમાડીના સમર્થકોએ એમએચએના પ્રમુખ વિકાર એલિસને કલમાડીની તરફેણમાં પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેવા ધમકાવ્યા હતા અને તેમણે ના પાડતાં મહારાષ્ટ્ર ઓલિમ્પિક્સ એસોસીએશનમાંથી હોકી મંડળનું એફિલિયેશન રદ કરાયું હતું.
અત્યારે કૌભાંડોના ઉકળતા ચરુએ કમનસીબે કલમાડીના સ્પોર્ટ્સ ક્ષેત્રમાંના યોગદાનને ઢાંકી દીધું છે. એ વાત સાચી છે કે તેમની કાર્યશૈલીથી ઘણા ખફા છે. પરંતુ ગેમ્સને સફળ બનાવવા છેલ્લાં ત્રણ વરસોમાં તેમણે ખાસી જહેમત ઉઠાવી છે.
સ્પોર્ટ્સના એક એડ્મિનિસ્ટ્રેટર કહે છે કે 'કલમાડી ધારે તે કરાવી શકે તેમ છે.' પણ તેઓ ખરેખર ભારતીય સ્પોર્ટ્સના એક દીર્ઘદ્રષ્ટા છે કે 'સ્પોર્ટ્સ માફિયા' છે તે સમય જ કહી શકશે.

ત્રણ વર્ષમાં ૧,૭૬૪ કરોડનું કાળું નાણું જપ્તત્રણ વર્ષમાં ૧,૭૬૪ કરોડનું કાળું નાણું જપ્ત

રીયલ એસ્ટેટ, મેન્યુફ્રેકચરિંગ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રોમાં સૌથી વધુ 'બ્લેક મની'


સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં રૃ.૧,૭૬૪ કરોડનું કાળુ નાણુ જપ્ત કર્યું હતું, જેમાંથી વર્ષ ૨૦૦૯-૧૦માં જ રૃ.૭૮૬.૨૭ કરોડની રકમ પકડવામાં આવી હતી. આવકવેરા વિભાગે સૌથી વધુ કાળુ નાણું રિયલ એસ્ટેટ, મેન્યુફેક્ચરિંગ, શિક્ષણ અને હેલ્થકેર ક્ષેત્રમાંથી જપ્ત કર્યું હતું. સંસદમાં આ અંગે માહિતી આપતા સરકારે જણાવ્યું હતું કે દેશમાં દરવર્ષે જપ્ત કરવામાં આવતી બિનહિસાબી રકમમાં સતત વધારો થતો રહ્યો છે. ૨૦૦૮-૦૯ની સરખામણીએ ૨૦૦૯-૧૦માં ૪૩ ટકા વધુ બિનહિસાબી સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી.

રાજ્યસભામાં સરકારે આપેલી માહિતીઃ '૦૯-૧૦માં રૃ. ૭૮૬.૨૭, '૦૮-૦૯માં રૃ.૫૫૦.૨૩ કરોડ, '૦૭-૦૮માં રૃ. ૪૨૭.૮૨ કરોડ પકડાયા

વર્ષ ૨૦૦૯-૧૦માં આવકવેરા વિભાગે રૃ.૭૮૬.૨૭ કરોડની બિનહિસાબી સંપત્તિ જપ્ત કરી હતી, જ્યારે ૨૦૦૮-૦૯માં રૃ.૫૫૦.૨૩ કરોડનું કાળુ નાણું શોધી કાઢવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના નાણાં પ્રધાન એસ.એસ.પલ્લનીમનીકમે રાજ્યસભામાં આ માહિતી આપી હતી, તેમણે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૭-૦૮માં આવકવેરા વિભાગે કુલ રૃ.૪૨૭.૮૨ કરોડનુ કાળુ નાણું ઝડપ્યું હતું. લેખિત ઉત્તર આપતા પ્રધાને ઉમેર્યું હતું કે રિયલ એસ્ટેટ, મેન્યુફેક્ચરિંગ, માઇનીંગ, શિક્ષણ તથા આરોગ્ય સહિતના અન્ય ક્ષેત્રોમાં સૌથી વધુ પ્રમાણમાં કાળા નાણાનું સર્જન અને હેરફેર થાય છે. સરકારે જણાવ્યું હતું કે દરવર્ષે જપ્ત કરવામાં આવતા કાળા નાણાંના પ્રમાણમાં સતત વધારો થતો આવ્યો છે. ૨૦૦૮-૦૯ની સરખામણીએ ગત નાણાં વર્ષે ૪૩ ટકા વધુ કાળુ નાણું પકડાયું હતું. જો કે તેમણે જણાવ્યું હતું કે દેશમાં કાળા નાણાનું અંદાજ મેળવવા માટેની સમીક્ષા કરવાની હાલ કોઇ યોજના નથી.

વર્ષ ૧૯૮૫માં નેશનલ ઇન્સ્ટીટયુટ ઑફ પબ્લિક ફાયનાન્સ એન્ડ પોલીસી નામની સંસ્થાએ ભારતમાં કાળા નાણાના અસ્તિત્વ અંગે વિસ્તૃત અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસના તારણો પ્રમાણે વર્ષ ૧૯૮૩-૮૪માં દેશમાં રૃ.૩૧,૫૮૪ કરોડથી રૃ.૩૬,૭૮૬ કરોડની વચ્ચે કાળુ નાણું હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્વીત્ઝર્લેન્ડ, મોરેશ્યસ જેવા દેશોની બેન્કોમાં જમા ભારતીય કાળા નાણાં અંગે કોઇ અંદાજ નથી. છેલ્લા કેટલાક સમયથી વિદેશી બેન્કોમાં જમા કાળુ નાણું સ્વદેશ પરત લાવવાની માગણી મજબુત થઇ હતી, બાદમાં સરકારે આ મુદ્દે સ્વીત્ઝર્લેન્ડ તથા જર્મની જેવા દેશો સાથે વાટાઘાટો શરૃ કરી હતી. હાલમાં જ નાણાં પ્રધાન પ્રણવ મુખરજીએ જર્મની પાસેથી મહત્વની વિગતો પ્રાપ્ત થઇ હોવાનું સ્વીકાર્યું હતું, જો કે સમજૂતીની શરતોને કારણે આ વિગતો જાહેર કરવામાં આવી ન હતી.

ગુજરાતની પાટીદાર પ્રજાનાં મૂળ અને કુળ કણમાંથી મણ ધાન્ય પેદા કરનાર


ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ તથા ભારતના વિભિન્ન રાજ્યો અને વિશ્વના વિવિધ દેશોમાં પથરાયેલા પાટીદારો, પટેલો કે કણબીઓનું મૂળ વતન ગુજરાત નથી. ઈતિહાસવિદો કહે છે કે વાયવ્ય દિશામાંથી ગુર્જરો સાથે કૂર્મિઓ પણ હિન્દુસ્તાનમાં આવ્યા. સંસ્કૃત શબ્દકોશમાં કુઅસ્ય અસ્તિ ઈતિ કૂર્મિ. મતલબ કે જેની પાસે જમીન હોય તે કૂર્મિ. એનું અપભ્રંશ કુનબી અથવા કણબી થયું. સં. કુટુમ્બિન-કુહુમ્બી પરથી કણબી શબ્દ આવ્યો. કણમાંથી મણ પેદા કરનાર એ કણબી.
હજારો વર્ષ પૂર્વે આર્યો એશિયાખંડના પામીર નામના ઉચ્ચ પ્રદેશમાં વસતા હતા. સમય જતાં સ્થાનાન્તર કરીને એમની બે ટોળીઓ જુદી જુદી દિશામાં વહેંચાઈ ગઈ. એક ઈરાન તરફ અને ત્યાંથી યુરોપના દેશોમાં અને બીજી મઘ્યપૂર્વના દેશોમાં જઈ વસી. કાળક્રમે પામીર પ્રદેશોમાં વસનારી ટોળી ખૈબરઘાટ દ્વારા હિંદુકુશની પર્વતમાળા ઓળંગી સિંઘુ નદીના પટમાં આવી. ત્યાંથી ગંગા- જમુનાના ફળદ્રુપ મેદાનો અને પંજાબમાં આવીને વસવાટ કર્યો. અહીં આવીને કણબીઓએ ખેતીવાડી વિકસાવી. કણબીમાં પાછળથી ત્રણ તડાં થયાં. લેઉવા, કડવા અને આંજણા. લેઉવામાં હાલારી, ગોહિલવાડી, ગુજરાતી, તારકઢા એવી પેટા જ્ઞાતિઓ છે. હરગોવિંદદાસ કાંટાવાળા લખે છે કે લેઉવા પાટીદારના વહીવંચા બારોટોની ‘વહી’ બોલે છે કે લેઉવા લોહગઢથી સંવત ૭૦૨ની સાલમાં ગુજરાતમાં આવીને વસ્યા. લવના વંશજ લેઉવા અને કુશના વંશજ કડવા એવી એક પૌરાણિક માન્યતા પણ પ્રચલિત છે.

ઈતિહાસનાં પાનાં બોલે છે કે કૂર્મિઓ-કણબીઓએ પોતાના મૂળ વતન લેયા અને કરડ પ્રાંતનું નામ જાળવી રાખવા, લેયા પ્રાંતવાળાઓએ પોતાને લેઉવા કહેવરાવ્યા, અને કરડ પ્રાંત વાળાઓએ પોતાને કડવા તરીકે ઓળખાવ્યા. તેઓ ગુજરાતમાં આવ્યા ત્યાં સુધી લગ્ન વગેરે ક્રિયાઓમાં બંને વચ્ચે કોઈ ભેદ ન હતો. ત્યાર પછી લગ્નાદિ વ્યવહારમાં લેઉવાઓ સાવ જુદા પડી ગયા એમ ‘લેઉવા કણબીઓ’માં શ્રી ગોરધનદાસ સોરઠિયા લખે છે.
લેઉવા અને કડવા પાટીદારોનું ગોત્ર કશ્યપ ગણાય છે. મહર્ષિ કશ્યપ મહાન વિચારક, વિદ્વાન, વૈજ્ઞાનિક, કવિ, કલાકાર અને કુશળ કિસાન હતા. એમણે ઋગ્વેદના પ્રથમ મંડળ, સૂકત ૯૯ની રચના કરી હતી, પાટીદારો આ કૃષક, કશ્યપ ઋષિના કૂર્મિવંશી ક્ષત્રિય કહેવાય છે. આ કણબી-પાટીદારો ભારતભરમાં પથરાયેલા જોવા મળે છે. કૂર્મિ, કુનબી, કુંબી એક જ જ્ઞાતિના રૂપાંતરિત નામો છે. ઉત્તર ભારત અને મઘ્યપ્રદેશમાં કુનબી, મહારાષ્ટ્રમાં પાટીલ, તામિલનાડુમાં કામ્પુસે, નાયડુ કે રેડ્ડી બધા એક જ સમાજના હોવાનું જહોન વિલિયમ માને છે. સ્ટોરી ઓફ બારડોલીમાં શ્રી મહાદેવભાઈ દેસાઈએ કણબીના કડવા, લેઉવા, મતિયાભક્ત, ઉદાપાટિદાર અને ચરોતરિયા એમ પાંચ તડાંનો ઉલ્લેખ કર્યો છે.

ઈતિહાસના ઓવારે ઊભા રહીને ભૂતકાળ ભણી નજર નોંધીશું તો જણાય છે કે કૂર્મિઓ ઈ.સ. પૂર્વે ૩૦૦ના અરસામાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં સૌરાષ્ટ્રમાં પ્રવેશ્યા હતા. તેઓ પંજાબ, સિંધ, કચ્છ, રાજસ્થાન અને રાધનપુર એમ જુદાજુદા માર્ગે સૌરાષ્ટ્રમાં આવીને સ્થિર થયા છે એમ વિદ્વાનો માને છે. ત્યાર પછી ૧૨મી સદીમાં સિદ્ધરાજ જયસિંહના શાસન દરમ્યાન ગંગા-જમનાના દોઆબમાંથી ૧૮૦૦ જેટલા પાટિદાર પરિવારો ગુજરાતમાં આવીને સ્થાયી થયાં. પ્રથમ એમની વસાહત પાટણ બની. ઈ.સ. ૧૧૧૦ના અરસામાં રામજી પટેલ નામની પ્રભાવશાળી વ્યક્તિએ પાટણથી અડાલજ આવીને છસો લેઉવા પટેલોને અહીં વસાવ્યા. તેઓ સિદ્ધરાજના મંત્રીમંડળમાં મહત્ત્વનું સ્થાન શોભાવતા હતા. તેમણે અડાલજમાં લેઉવા પટેલોના કુળદેવી અન્નપૂર્ણાના મંદિરની પ્રતિષ્ઠા કરી. કડવા પાટીદરોએ ઉંઝામાં પોતાનાં કુળદેવી ઊમિયા માતાજીનું મંદિર બનાવ્યું.


ખેડા જિલ્લાના પીપળાવ ગામના વીર વસનદાસે મોગલ બાદશાહ અને ગુજરાતના સૂબાઓની વગથી મહેસૂલ ઉઘરાવવાના ઈજારા પાટીદારોને આપ્યા હતા. આ ઈજારા મેળવનાર ચરોતરના પાટીદારો પાછળથી અમીન અને દેસાઈના નામે ઓળખાયા. સને ૧૭૦૩માં પીપળાવમાં યોજાયેલા ખાસ સમારંભમાં મોગલ બાદશાહ ઔરંગઝેબનો શાહજાદો બહાદુરશાહ ખાસ હાજર રહ્યો હતો. ત્યારે સરકારી દફતરે કણબીના બદલે ‘પાટીદાર’ શબ્દનો કાયમી હુકમ કરાવ્યો હતો. એ જમાનામાં ખેતી કરનાર ખેડૂત કહેવાતા. જમીનના ટુકડા (ખેતર)ના માલિકને ‘પત્તીદાર’ કહેવાતો.


કાઠિયાવાડના કણબી ‘કણબી-પટેલ’ તરીકે ઓળખાય છે. પટેલ એ કોઈ જ્ઞાતિ કે સમાજ નથી. એ તો કણબી જ્ઞાતિના અમુક લોકોને મળેલો ઈલ્કાબ છે. મહંમદ બેગડાએ ગુજરાતમાં ખેતીના વિકાસ માટે એકેક ગામનો કબજો, પસંદ કરીને એને આબાદ કરવાની શરતે કણબીઓને આપેલો. આ હોદ્દો ધરાવનાર સૌથી વઘુ કણબીઓ હતા. કાયદો અને વ્યવસ્થા સંબંધી રાજ્યને તેઓ અહેવાલ આપતા. આ હોદ્દો પછી પટેલમાં ફેરવાઈ ગયો. આ રીતે જોઈએ તો પાટીદાર શબ્દ ધંધા પરથી આવ્યો છે, જ્યારે પટેલ શબ્દ ખિતાબ કે પદવી પરથી આવ્યો છે. સમય જતાં પાટીદાર શબ્દ લખવામાં અટપટો લાગતાં ને પટેલ શબ્દમાં પટલાઈ કૂટવાની માનસિક ખુમારી અને શૂરાતનનો ભાવ છુપાયેલો હોવાથી લેઉવા-કડવા સમગ્ર પાટીદાર કોમે પટેલ શબ્દ અપનાવી લીધો છે. હવે બીજો સંદર્ભ જોઈએ.

પટેલ શબ્દનું મૂળ તપાસીએ તો સંસ્કૃત ‘પટ્ટલિક’ શબ્દ છે. ગામના ખેતરોની જમીન અને ઘરથાળની જમીનોના જે વેચાણ કે ગીરો દસ્તાવેજ-લખાણો થતાં તેની એક નકલ સાચવવાનું કામ રાજાઓએ પ્રમાણિક હોવાથી કણબીઓને સોંપેલું. આથી પટ્ટલિક શબ્દ પરથી પટેલ શબ્દ અસ્તિત્વમાં આવ્યો. એનું કારણ એવું જણાય છે કે દસ્તાવેજો કે લેખો, પટ્ટાઓ (પટ્ટ-વસ્ત્ર) ઉપર લખાયેલા આગેવાન પટ્ટલિકો પાસે રહેતા હતા. આમ સેંકડો વર્ષથી ‘પટેલ’ શબ્દ ગામના આગેવાન તરીકે વપરાતો આવ્યો છે. ‘પાટી’ એટલે જમીનનો ટુકડો, એનો માલિક ‘પટ્ટીદાર’ કહેવાતો. એનું અપભ્રંશ થઈને પાટીદાર શબ્દ આવ્યો. આમ પટેલ એ કોઈ જ્ઞાતિ કે અટક સંદર્ભે નથી પણ માનવાચક ઉપનામ છે. આ હોદ્દો પછી પટેલમાં ફેરવાઈ ગયો, અને કણબીની આખી નાત પટેલોના નામે જાણીતી થઈ. આ પટેલો ખૂબ મહેનતું પ્રજા. કણમાંથી મણ અનાજ પેદા કરે. એથી એના હાથ સોનાના કહેવાતા. આથી દિલ્હીના બાદશાહે એકવાર કહેલું કે ‘અમારા રાજ્યમાં તો જુવાર-બાજરી પાકે છે પણ ગુજરાતના સુલતાનોને ઘેર તો મોતી પાકે છે.’
સંવત ૧૨૨૪માં વાછા પટેલે વસો વસાવ્યું. અકબરના વખતમાં અજુ પટેલ થયા. તેની સાથે અકબર બાદશાહને ભારે ભાઈબંધી. અકબર ગાદીએ આવ્યા બાદ અજુ પટેલને દિલ્હી બોલાવી સં. ૧૬૪૧માં ગુજરાત તરફનું કામ સોંપી ૯ શણગારેલા હાથી, ૧૩ ગામ અને ૨૩ હજારની નિમણૂક બાંધી આપી. વિરમગામમાં ૧૭મા સૈકામાં ઉદયકર્ણજી થયા. એમણે વિરમગામ ફરતો મજબૂત કિલ્લો અને રાજગઢી બંધાવ્યા, એમ પ્રભુની ફૂલવાડીમાં શંભુભાઈ બોરક નોંધે છે. એ પછી પરિસ્થિતિ પલટાઈ. અંધાઘૂંધીનો યુગ આરંભાયો. અલ્લાઉદ્દીને કરણઘેલાને હરાવ્યો. મુસલમાની સૈન્યે ગુજરાતને લૂંટવા- બાળવા માંડ્યું. ખેતીનો શાંત ધંધો કરનાર કણબી-પટેલોથી વસેલાં આબાદ ગામડાં ભાંગવા માંડ્યાં. પ્રજા સલામતી માટે જ્યાં ત્યાં નાસવા માંડી. એ વખતે કાઠિયાવાડના રાજવીઓ ગુજરાતના પાટિદારોની ખેતી-ખંત જાણતા હતા. આથી એમણે પોતાના ગામો આબાદ કરવા માટે પટેલોને ‘પળત’ આપી રાજમાં વસાવવા માંડ્યા.
એમાં જામનગરના રાજવી જામરાવળ અગ્રણી રહ્યા. સંવત ૧૫૮૨માં ભાદા ઠુંમર અને પૂજા ભંડારીને ખેડૂતોના મોટા સમૂહ સાથે પોતાના રાજ્ય-હાલારમાં ઉતાર્યા. પીપર-ભાડુકિયામાં એક સાથે પટેલોના ૭૫૦ ઉચાળા ઊતર્યા હતા. એમાંથી કંઈક હાલારમાં રહ્યા. ધોરાજી તરફના ગામોમાં ગયા. ત્યાં નવા ગામોના તોરણ બાંધી કાઠિયાવાડનો મુલક આબાદ કરવા માંડ્યા. સંવત ૧૮૬૯માં હાલારમાં મોટો દુષ્કાળ પડ્યો. એ ‘કોતડીના કાળ’ તરીકે જાણીતો છે. કાઠી પ્રજાનો મુલક રાજપૂતોએ જીતી લેતાં કાઠીઓ બહારવટે ચડ્યા ને ખેડૂતોને રંજાડવા લાગ્યા. અમરેલી વગેરે વિસ્તારો એક કાળે કણબી ખેડૂતની વસતી વગરના થઈ ગયા. ત્યાર પછી ગાયકવાડી હકૂમત આવતાં થોડી શાંતિ સ્થપાઈ એમ ગોરધનદાસ સોરઠિયા નોંધે છે. એ પછી સાવરના વાલા પટેલે સમાજના સહકારથી અંટાળિયા મહાદેવનું મંદિર બનાવ્યું, જે આજે પાટીદારોનું તીર્થસ્થાન ગણાય છે.
એ પછી રજવાડાના સહકારથી સમયાન્તરે અન્ય પ્રદેશોમાંથી પાટીદારો સૌરાષ્ટ્રમાં આવીને વસ્યા. આ કુટુંબોએ વહાલા વતનની યાદી જાળવી રાખવા પોતાના ગામો ઉપરથી અટકો રાખી. ઉ.ત. વસો ઉપરથી વસોયા, ગુર્જરા ઉપરથી ગજેરા, સોજીત્રા ઉપરથી સોજીત્રા, સાવલી ઉપરથી સાવલિયા, લીંબાશી ઉપરથી લીંબાશિયા, વઘાશી ઉપરથી વઘાસિયા, વણસોલ ઉપરથી વણસોલિયા, માંઘરોલી ઉપરથી માંગરોળિયા, તારાપર પરથી તારપરા, તરણોલ ઉપરથી તરણોલી, ધમેલી ઉપરથી ધામેલિયા, કોઠી ઉપરથી કોઠિયા, બોરસદ ઉપરથી બોરસદિયા, ફિણાવ ઉપરથી ફિણાળિયા, સિદ્ધપુર ઉપરથી સિદ્ધપરા, માંડલ ઉપરથી માંડલિયા, સિંગાલી ઉપરથી શીંગાળા, હીરાપર પરથી હિરપરા, પાદરા પરથી પાદરિયા તરીકે ઓળખાયા. પછીથી કાળક્રમે એમની અટકો બદલાવા માંડી. કાઠિયાવાડના ગામો ઉપરથી અને એમના વડવાઓનાં નામો ઉપરથી અવટંકો આવી. ઉ.ત. ગોંડલ પરથી ગોંડલિયા, રાણપર પરથી રાણપરિયા, સરધાર પરથી સરધારા, છોડવડી પરથી છોડવડિયા, રૈયા પટેલના વંશજો રૈયાણી, કાના પટેલના વંશજો કાનાણી, જાગા પટેલના વંશજો જાગાણી, અને ભાદા પટેલની પેઢીઓ ભાદાણી તરીકે ઓળખાણી. જેઓ પ્રથમ હાલારમાં ઉતર્યા તેઓ હાલારી લેઉવા પટેલ કહેવાણા. જે કુટુંબો સીધા ગોહિલવાડમાં આવ્યા તે ગોહિલવાડી (ઘોલવાડી) લેઉવા ગણાયા. પટેલોમાં સૌથી મોટી સંખ્યા હાલારી લેઉવાની હોવાનું મનાય છે.

વનરાજ ચાવડાના વખતમાં ઉંઝાની આસપાસના કડવા કણબીઓના સ્થળાંતરને કારણે ફળદ્રુપ જમીન વેરાન થવા માંડી. આથી ઉમિયા માતાના મંદિરના પૂજારીને પાટણ બોલાવી સન્માન કરી રાજ્યાશ્રય આપ્યો. માતાજીનો ઉત્સવ ઉજવાયો ને કડવા પાટીદારો ધીમે ધીમે ઉત્તર ગુજરાતમાં આવી સ્થાયી થયા. તેઓ આજેય પોતાના કુળદેવી ઉમિયા માતાને પૂજે છે.
લેઉવા-કડવા ઉપરાંત ઉ. ગુજરાતમાં ત્રીજા તડાના આંજણા પટેલો પણ છે. કેટલાક એને સહસ્ત્રાજુનના વંશજ કહે છે તો કોઈ એમને અંજનીપુત્ર ગણે છે. પરશુરામના પ્રહારથી બચવા અજાણ્યા થઈને જે રહ્યાં તે આંજણા-ચૌધરી પાટીદારો રાજવંશી પ્રજા છે.
ચૌધરી એ કોમ નથી પણ તેમનો ઈલ્કાબ છે. બોમ્બે ગેઝેટિયર લખે છે કે આંજણા કણબીઓ કરતાં રાજપૂતોને વઘુ મળતા આવે છે. તેના જેવી જ પાઘડી પહેરે છે અને અટક પાછળ ‘સિંહ’ લગાડે છે. જ્યારે ૧૫મી સદીમાં શાહઆલમના સમયમાં જે લેઉવા કણબી વટલાયા અને મુસ્લિમ ધર્મ સ્વીકાર્યો તે મુમના તરીકે ઓળખાયા. એમ ‘કાઠિયાવાડના મુમના’ પુસ્તકમાં નોંધાયું છે. આજે પણ તેઓ કાનાણી, ભીમાણી, કોટડિયા, સોરઠિયા તરીકેની નુકથી ઓળખાય છે, સૌરાષ્ટ્ર અને ઉ.ગુજરાતમાં વસે છે.