Pages

Wednesday, August 18, 2010

ત્રણ વર્ષમાં ૧,૭૬૪ કરોડનું કાળું નાણું જપ્તત્રણ વર્ષમાં ૧,૭૬૪ કરોડનું કાળું નાણું જપ્ત

રીયલ એસ્ટેટ, મેન્યુફ્રેકચરિંગ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રોમાં સૌથી વધુ 'બ્લેક મની'


સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં રૃ.૧,૭૬૪ કરોડનું કાળુ નાણુ જપ્ત કર્યું હતું, જેમાંથી વર્ષ ૨૦૦૯-૧૦માં જ રૃ.૭૮૬.૨૭ કરોડની રકમ પકડવામાં આવી હતી. આવકવેરા વિભાગે સૌથી વધુ કાળુ નાણું રિયલ એસ્ટેટ, મેન્યુફેક્ચરિંગ, શિક્ષણ અને હેલ્થકેર ક્ષેત્રમાંથી જપ્ત કર્યું હતું. સંસદમાં આ અંગે માહિતી આપતા સરકારે જણાવ્યું હતું કે દેશમાં દરવર્ષે જપ્ત કરવામાં આવતી બિનહિસાબી રકમમાં સતત વધારો થતો રહ્યો છે. ૨૦૦૮-૦૯ની સરખામણીએ ૨૦૦૯-૧૦માં ૪૩ ટકા વધુ બિનહિસાબી સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી.

રાજ્યસભામાં સરકારે આપેલી માહિતીઃ '૦૯-૧૦માં રૃ. ૭૮૬.૨૭, '૦૮-૦૯માં રૃ.૫૫૦.૨૩ કરોડ, '૦૭-૦૮માં રૃ. ૪૨૭.૮૨ કરોડ પકડાયા

વર્ષ ૨૦૦૯-૧૦માં આવકવેરા વિભાગે રૃ.૭૮૬.૨૭ કરોડની બિનહિસાબી સંપત્તિ જપ્ત કરી હતી, જ્યારે ૨૦૦૮-૦૯માં રૃ.૫૫૦.૨૩ કરોડનું કાળુ નાણું શોધી કાઢવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના નાણાં પ્રધાન એસ.એસ.પલ્લનીમનીકમે રાજ્યસભામાં આ માહિતી આપી હતી, તેમણે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૭-૦૮માં આવકવેરા વિભાગે કુલ રૃ.૪૨૭.૮૨ કરોડનુ કાળુ નાણું ઝડપ્યું હતું. લેખિત ઉત્તર આપતા પ્રધાને ઉમેર્યું હતું કે રિયલ એસ્ટેટ, મેન્યુફેક્ચરિંગ, માઇનીંગ, શિક્ષણ તથા આરોગ્ય સહિતના અન્ય ક્ષેત્રોમાં સૌથી વધુ પ્રમાણમાં કાળા નાણાનું સર્જન અને હેરફેર થાય છે. સરકારે જણાવ્યું હતું કે દરવર્ષે જપ્ત કરવામાં આવતા કાળા નાણાંના પ્રમાણમાં સતત વધારો થતો આવ્યો છે. ૨૦૦૮-૦૯ની સરખામણીએ ગત નાણાં વર્ષે ૪૩ ટકા વધુ કાળુ નાણું પકડાયું હતું. જો કે તેમણે જણાવ્યું હતું કે દેશમાં કાળા નાણાનું અંદાજ મેળવવા માટેની સમીક્ષા કરવાની હાલ કોઇ યોજના નથી.

વર્ષ ૧૯૮૫માં નેશનલ ઇન્સ્ટીટયુટ ઑફ પબ્લિક ફાયનાન્સ એન્ડ પોલીસી નામની સંસ્થાએ ભારતમાં કાળા નાણાના અસ્તિત્વ અંગે વિસ્તૃત અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસના તારણો પ્રમાણે વર્ષ ૧૯૮૩-૮૪માં દેશમાં રૃ.૩૧,૫૮૪ કરોડથી રૃ.૩૬,૭૮૬ કરોડની વચ્ચે કાળુ નાણું હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્વીત્ઝર્લેન્ડ, મોરેશ્યસ જેવા દેશોની બેન્કોમાં જમા ભારતીય કાળા નાણાં અંગે કોઇ અંદાજ નથી. છેલ્લા કેટલાક સમયથી વિદેશી બેન્કોમાં જમા કાળુ નાણું સ્વદેશ પરત લાવવાની માગણી મજબુત થઇ હતી, બાદમાં સરકારે આ મુદ્દે સ્વીત્ઝર્લેન્ડ તથા જર્મની જેવા દેશો સાથે વાટાઘાટો શરૃ કરી હતી. હાલમાં જ નાણાં પ્રધાન પ્રણવ મુખરજીએ જર્મની પાસેથી મહત્વની વિગતો પ્રાપ્ત થઇ હોવાનું સ્વીકાર્યું હતું, જો કે સમજૂતીની શરતોને કારણે આ વિગતો જાહેર કરવામાં આવી ન હતી.

No comments:

Post a Comment