આગામી ઓક્ટોબરમાં દિલ્હીમાં યોજાનારી 'કોમનવેલ્થ ગેમ્સ'નો રમતોત્સવ તેના પ્રારંભ પહેલાં જ નેતાઓની ભ્રષ્ટાચારી રાજરમતોના કળણમાં ખૂંપી ગયો છે. એક પછી એક બહાર આવી રહેલાં કૌભાંડોમાં 'એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા' (એએફઆઇ)ના પ્રમુખ, ભારતીય હવાઈ દળના ભૂતપૂર્વ પાઇલટ અને વગદાર કોંગ્રેસી નેતા સુરેશ કલમાડીનું નામ સૂત્રધાર તરીકે અનેક આક્ષેપોથી કલંકિત થઇ રહ્યું છે.
જોકે કલમાડીને જોતાંવેંત તેમની રગેરગમાં આત્મવિશ્વાસ છલકાતો હોય એવું લાગે છે. દેશના સૌથી સમર્થ સ્પોર્ટ્સ વહીવટકારના ચહેરા પરથી કોઇ એમ ન કહી શકે કે કૌભાંડોથી ઘેરાયેલા કલમાડીની રાતની ઊંઘ હરામ થઈ ગઈ છે. ઉલટું, જાણે કોઇ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીતી ગયા હોય એવી છાપ તેમના પહેરવેશ પરથી ઉપસે છે. 'કોમનવેલ્થ ગેમ્સ' સફળતાથી પાર પડશે,' એવું કહેતા કલમાડીના વેશ કે વાણી પરથી એવું નથી લાગતું કે તે આકરી ટીકાના પ્રહારો ઝીલી રહ્યા છે.
છતાં કેટલાક ટીકાકારો માને છે કે કલમાડીનો સિતારો હવે ખરી પડવાની ઘડીઓ ગણાઇ રહી છે. કદાચ તેમની તાબડતોબ કે હીણપતભરી હકાલપટ્ટી ન થાય, તોપણ એક હકીકત સ્પષ્ટ છે કે કલમાડીએ તેમની કારકિર્દીમાં આટલા ખરાબ દિવસો ક્યારેય જોયા નહોતા. કલમાડીની આ અવદશા માટે તેઓ પોતે જ દોષિત છે. તેમના વિવેકી વર્તનના મહોરા પાછળ વગ-વર્ચસ્વ જમાવવાની વૃત્તિ છુપાયેલી હોવાનું તેમના ટીકાખોરો કહે છે. તેને કારણે જ છેલ્લા ૩૦ વરસમાં પુણેના 'એમેટર એથ્લેટિક્સ એસોસીએશન'ના પ્રમુખપદ સુધીની તેમની બઢતી દરમિયાન તેમણે અનેક શત્રુઓ ઊભા કર્યાં છે.
એર ફોર્સના પાઇલટમાંથી બિઝનેસમેન અને રાજકારણી બનેલા ૬૬ વર્ષની ઉંમરના કલમાડી, ભારતીય રમતગમતોના સર્વોચ્ચ સ્થાને કઈ રીતે પહોંચ્યા કે હોકીના જાણીતા ખેલાડી પરગટસિંહે ખુલ્લેઆમ તેમને 'સ્પોર્ટ્સ માફિયા'ના સૂત્રધાર ગણાવ્યા?
ઇન્ડિયન હોકી એસોસીએશનના ભૂતપૂર્વ પ્રમુખ કે. પી. એસ. ગિલે કલમાડી પર આક્ષેપ મૂક્યો છે કે તેમણે ભારતીય સ્પોર્ટ્સ-સિસ્ટમનું અવમૂલ્યન કર્યું છે. 'કલમાડી જેવી કોઇ પણ ચતુર-ચાલાક, શ્રીમંત અને બેફામ વ્યક્તિ તેમની જ માફક આ રીતે ટોચ પર પહોંચી શકે, એમ પરગટ સિંહ કહે છે. પરંતુ કલમાડી અણનમ છે. તેઓ ભારપૂર્વક કહે છે કે હું ફેડરેશનોમાં કશી દખલગીરી કરતો નથી અને ભારત કેવળ ક્રિકેટમાં જ નહીં, પરંતુ બીજી રમતોમાં પણ નામના કાઢે એ માટે હું બનતી કોશિશો કરવા કટિબદ્ધ છું. રમતોના વહીવટમાં કલમાડીએ ૧૯૭૦ના અંતના દિવસોમાં પ્રવેશ કર્યો હતો. તે વખતના પુણેના અવેતન ખેલાડી મંડળના પ્રમુખ અનિલ સુળેથી નારાજ કેટલાક ખેલાડીઓ કોઇક ધગશવાળી વ્યક્તિને પ્રમુખપદે બેસાડવા માગતા હતા અને તેમાં કલમાડી ફિટ બેસે તેવા તેમને લાગ્યા હતા. કલમાડી તે સમયે હજી મહારાષ્ટ્ર યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે નિમાયા હતા. ભારતીય હવાઈ દળમાંથી નિવૃત્ત થયા બાદ તે પુણે આવીને રહ્યા હતા, જ્યાં તેમના કર્ણાટકી પિતા ડોક્ટરનો વ્યવસાય કરતા હતા.
કલમાડીએ ૧૯૭૪માં પુણે કોફી હાઉસ ખરીદી લીધું અને તેના કાઉન્ટર પર બેસી ગયા. ટૂંક સમયમાં તેઓ તે સમયના કોંગ્રેસના વર્ચસ્વી નેતા શરદ પવારના સંપર્કમાં આવ્યા અને આ સંપર્કે તેમના ભાગ્યનાં દ્વાર ખોલી નાખ્યાં.
કલમાડીને સુળે સામે ઉમેદવારી નોંધાવવાનું કહેવાતાં તે કબૂલ થયા. પછી કલમાડીના સમર્થકોની કેટલીક વ્યૂહરચનાને લીધે સુળેને પોતાની ઉમેદવારી પાછી ખેચી લેવા પ્રેર્યા.
કલમાડીને મહારાષ્ટ્ર સ્ટેટ એથ્લેટિક્સ એસોસીએશનની ચંૂટણીમાં ઝંપલાવવાનું કહેવાયું. પરંતુ ફરીવાર ચૂંટણી લડી રહેલા વિધાનસભાના સ્પીકર એસ. કે. વાનખેડે સામે જીતવાનો તેમને વિશ્વાસ નહોતો. ચૂંટણીના થોડાક દિવસ અગાઉ જ કેટલાક પત્રકારોએ વાનખેડેના પરાજયની અટકળો વહેતી કરી હતી. કલમાડીને સમર્થ હરીફ માનીને વાનખેડેએ ઉમેદવારી પાછી ખેચી લીધી.
પોતાના વટ-વર્ચસ્વનો પ્રથમ સ્વાદ કલમાડીએ ૧૯૮૫માં માણ્યો જ્યારે તેમને એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (એએફઆઇ)ની સિલેક્શન કમિટીના ચેરમેન બનાવાયા હતા ત્યારે આ પદમાં તેમને કોચ (રમતની તાલીમ આપનારા)ની પસંદગી કરવાની, લોકોને વિદેશપ્રવાસે મોકલવાની અને મતદારોને રિઝવવાની અઢળક તકો દેખાઇ હતી. આ તકનો તેમણે ભરપૂર ઉપયોગ કર્યો. પરિણામે ચાર વર્ષ બાદ તેઓ એએફઆઇના પ્રમુખ બની ગયા.
દરમિયાન ૧૯૭૮માં પવારની કોંગ્રેસ (એસ)માં જોડાવા તેમણે કોંગ્રેસ છોડી ત્યારથી શરૃ થયેલી તેમની રાજકીય કારકિર્દી ૧૯૮૨માં રાજ્યસભામાં તેમના પ્રવેશથી ખીલી ઊઠી. વળી ૧૯૮૩માં પુણેમાં તેમના પરિવારને સંજય ગાધીની મહત્ત્વાકાંક્ષી 'મારુતિ' કારની ડીલરશિપ મળતાં કલમાડીનો બિઝનેસ પણ ઊંચકાયો.
૧૯૮૦થી કલમાડીએ તેમની 'સંસદસભ્ય'ની પ્રતિષ્ઠાને કામે લગાડી અને રમતવીરો માટે તેમ જ પુણે માટે લોબીઇંગ કરીને, પુણેની એક સુસ્ત નગરની ઇમેજ બદલાવી તેને પ્રવૃત્તિઓથી ધમધમતું એક નગર બનાવ્યું.
૧૯૮૩માં તેમણે પુણે ઇન્ટરનેશનલ મેરેથોન સ્પર્ધા શરૃ કરી. પછી ૧૯૮૬માં એક 'દોડ' યોજી, જેમાં તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીએ ભાગ લીધો હતો. ઉપરાંત અનેક રેસોનું આયોજન કર્યું જેમાં ટોચના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની હાજરી હતી. તેમણે વાર્ષિક સંસ્કૃતિક સમારંભ અને એક ફિલ્મ મહોત્સવનું પણ આયોજન કર્યું. આ કાર્યક્રમોથી તેમને માતબર મિત્રો મળ્યા અને કલમાડી એક 'સિદ્ધ' નેતા તરીકે પ્રસિધ્ધિ પામ્યા.
'કલમાડી કર્તૃત્વશીલ છે તેમને કશુંક કામ કરાવવું હોય ત્યારે તે ક્યારેય નિરાંતે બેસતા નથી.' આ શબ્દો છે, ભૂતપૂર્વ આયોજક સમિતિસભ્ય અને નેશનલ રાઇફલ એસોસીએશન ઓફ ઇન્ડિયાના ઉપરી દિગ્વિજય સિંહના.
'તેઓ એક મહાન લડવૈયા પણ છે,' એમ આર્ચરી (ધનુવિદ્યા એસોસીએશનના મંત્રી તેમ જ 'ઇન્ડિયન ઓલિમ્પિક એસોસીએશન'ના ઉપપ્રમુખ પરેશ નાથ કહે છે.
ભારતીય ઓલિમ્પિક એસોસીએશનના પ્રમુખપદ માટે અગાઉ બે વખત કલમાડી, તમિલનાડુના મિડિયા-કિંગ બી. એસ. આદિત્યન સામે હાર્યા હતા. પરંતુ ૧૯૯૬માં તેમણે રમતક્ષેત્ર ઉપરાંત રાજકીય ક્ષેત્રમાં પણ પોતાની જાળ બિછાવી અને આદિત્યનના સમર્થક તેમ જ અત્યારના સેક્રેટરી જનરલ રણધીર સિંહનો વિશ્વાસ પણ જીતી લીધો હતો.
પ્રમુખપદ પ્રાપ્ત કર્યા પછી તે ટકાવી રાખવા કલમાડીએ વિવિધ રમતોનાં મંડળોમાં પોતાના વિશ્વાસુઓને ગોઠવીને વોટ-બેન્ક અંકે કરી લીધી. 'આઇઓએ' પણ કલમાડીના સમર્થકોથી જ ભરાયું છે.
કલમાડીને સ્પોર્ટ્સ-ક્ષેત્રમાંથી કશો અવરોધ ખમવો પડયો નથી. પરગટ સિંહના જણાવ્યા મુજબ સ્પોર્ટ્સ મંડળોના કર્મચારીઓ કરોડરજ્જુ વિનાના લોકો છે. ૩૦ જેટલાં ફેડરેશનો પૈકી માત્ર ૨૦ સક્રિય છે. બાકીનાં બધાં વન-મેન શો જેવાં છે અથવા કેવળ કાગળ પર જ તેમનું અસ્તિત્વ છે.
જોકે કલમાડી આ આક્ષેપોને વાહિયાત કહી નકારી કાઢે છે. 'તમામ સ્પોર્ટ્સ ફેડરેશનો પોતપોતાની સ્વતંત્ર ચૂંટણીઓ યોજે છે. તેમાં દખલગીરી કરવાની મને ફુરસદ નથી. પરંતુ જેઓ રમતગમત ક્ષેત્રે કશુંક કરે છે તે તમામ પ્રત્યે હું વધુ મૈત્રીભાવ રાખું છું.
હકીકતમાં કલમાડીનો વ્યૂહ ફળ્યો છે. તેમની સમક્ષ માત્ર એકવાર ૨૦૦૦ની સાલમાં ઇન્ડિયન ઓલિમ્પિક એસોસીએશનની ચૂંટણીટાણે પડકાર ઊભો થયો હતો. જ્યારે હરિયાણાના રાજકારણી અભયસિંહ ચૌટાલા મેદાનમાં ઊતર્યા હતા. ચૌટાલાના સમર્થકોએ કલમાડીની તરફેણ કરી હતી. કલમાડીને આદિત્યના ગુ્રપનું પણ સમર્થન સાંપડયું હતું. જોકે બન્નેમાંથી કલમાડીનું પલ્લું ભારે હતું. ૨૦૦૪ અને ૨૦૦૮માં કલમાડી બિનહરીફ ચૂંટાયા હતા.
બોર્ડ પર પોતાના માણસોને ગોઠવવાનું અઘરું નથી. કલમાડી એ માટે બેવડી નીતિ અપનાવે છે. કાં તો તે માણસને ખુશ કરે છે, કાં તેમને ધાકધમકી આપે છે.
કલમાડી વૈભવશાળી પાર્ટીઓ યોજીને ખેલાડીઓ, વહીવટદારો, રાજકારણીઓ અને પત્રકારોને પ્રતિષ્ઠિત પદો પર નીમીને તેમને વિદેશપ્રવાસો તેમ જ મફતમાં મોજ કરાવીને રીઝવે છે.
જોકે કલમાડી પોતે એમ કહે છે કે મેં છેલ્લાં બે વરસમાં કોમનવેલ્થ ગેમ્સ સાથે સંકળાયેલા અધિકારીઓ સિવાય એક પણ પાર્ટી આપી નથી. છતાં એક વહીવટી અધિકારી એવો આક્ષેપ કરે છે કે તેમની પાસે પૈસા છે અને તે અમને કોર્ટમાં જવાનો પડકાર ફેંકે છે. અમને તે પરવડતું નથી. તેથી અમે ઝૂકી જઈએ છીએ.
પરગટ સિંહે જાન્યુઆરીમાં કહ્યું હતું કે 'હોકી પંજાબ'ને કહેવાયું હતું કે જો તે કલમાડીની ઉમેદવારીને સમર્થન આપશે તો જ તેને સંલગ્ન કરાશે. મહારાષ્ટ્ર હોકી એસોસીએશનના સેક્રેટરી ઇકરામ ખાને પણ ફરિયાદ કરી હતી કે કલમાડીના સમર્થકોએ એમએચએના પ્રમુખ વિકાર એલિસને કલમાડીની તરફેણમાં પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેવા ધમકાવ્યા હતા અને તેમણે ના પાડતાં મહારાષ્ટ્ર ઓલિમ્પિક્સ એસોસીએશનમાંથી હોકી મંડળનું એફિલિયેશન રદ કરાયું હતું.
અત્યારે કૌભાંડોના ઉકળતા ચરુએ કમનસીબે કલમાડીના સ્પોર્ટ્સ ક્ષેત્રમાંના યોગદાનને ઢાંકી દીધું છે. એ વાત સાચી છે કે તેમની કાર્યશૈલીથી ઘણા ખફા છે. પરંતુ ગેમ્સને સફળ બનાવવા છેલ્લાં ત્રણ વરસોમાં તેમણે ખાસી જહેમત ઉઠાવી છે.
સ્પોર્ટ્સના એક એડ્મિનિસ્ટ્રેટર કહે છે કે 'કલમાડી ધારે તે કરાવી શકે તેમ છે.' પણ તેઓ ખરેખર ભારતીય સ્પોર્ટ્સના એક દીર્ઘદ્રષ્ટા છે કે 'સ્પોર્ટ્સ માફિયા' છે તે સમય જ કહી શકશે.
No comments:
Post a Comment