
ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ તથા ભારતના વિભિન્ન રાજ્યો અને વિશ્વના વિવિધ દેશોમાં પથરાયેલા પાટીદારો, પટેલો કે કણબીઓનું મૂળ વતન ગુજરાત નથી. ઈતિહાસવિદો કહે છે કે વાયવ્ય દિશામાંથી ગુર્જરો સાથે કૂર્મિઓ પણ હિન્દુસ્તાનમાં આવ્યા. સંસ્કૃત શબ્દકોશમાં કુઅસ્ય અસ્તિ ઈતિ કૂર્મિ. મતલબ કે જેની પાસે જમીન હોય તે કૂર્મિ. એનું અપભ્રંશ કુનબી અથવા કણબી થયું. સં. કુટુમ્બિન-કુહુમ્બી પરથી કણબી શબ્દ આવ્યો. કણમાંથી મણ પેદા કરનાર એ કણબી.
હજારો વર્ષ પૂર્વે આર્યો એશિયાખંડના પામીર નામના ઉચ્ચ પ્રદેશમાં વસતા હતા. સમય જતાં સ્થાનાન્તર કરીને એમની બે ટોળીઓ જુદી જુદી દિશામાં વહેંચાઈ ગઈ. એક ઈરાન તરફ અને ત્યાંથી યુરોપના દેશોમાં અને બીજી મઘ્યપૂર્વના દેશોમાં જઈ વસી. કાળક્રમે પામીર પ્રદેશોમાં વસનારી ટોળી ખૈબરઘાટ દ્વારા હિંદુકુશની પર્વતમાળા ઓળંગી સિંઘુ નદીના પટમાં આવી. ત્યાંથી ગંગા- જમુનાના ફળદ્રુપ મેદાનો અને પંજાબમાં આવીને વસવાટ કર્યો. અહીં આવીને કણબીઓએ ખેતીવાડી વિકસાવી. કણબીમાં પાછળથી ત્રણ તડાં થયાં. લેઉવા, કડવા અને આંજણા. લેઉવામાં હાલારી, ગોહિલવાડી, ગુજરાતી, તારકઢા એવી પેટા જ્ઞાતિઓ છે. હરગોવિંદદાસ કાંટાવાળા લખે છે કે લેઉવા પાટીદારના વહીવંચા બારોટોની ‘વહી’ બોલે છે કે લેઉવા લોહગઢથી સંવત ૭૦૨ની સાલમાં ગુજરાતમાં આવીને વસ્યા. લવના વંશજ લેઉવા અને કુશના વંશજ કડવા એવી એક પૌરાણિક માન્યતા પણ પ્રચલિત છે.
ઈતિહાસનાં પાનાં બોલે છે કે કૂર્મિઓ-કણબીઓએ પોતાના મૂળ વતન લેયા અને કરડ પ્રાંતનું નામ જાળવી રાખવા, લેયા પ્રાંતવાળાઓએ પોતાને લેઉવા કહેવરાવ્યા, અને કરડ પ્રાંત વાળાઓએ પોતાને કડવા તરીકે ઓળખાવ્યા. તેઓ ગુજરાતમાં આવ્યા ત્યાં સુધી લગ્ન વગેરે ક્રિયાઓમાં બંને વચ્ચે કોઈ ભેદ ન હતો. ત્યાર પછી લગ્નાદિ વ્યવહારમાં લેઉવાઓ સાવ જુદા પડી ગયા એમ ‘લેઉવા કણબીઓ’માં શ્રી ગોરધનદાસ સોરઠિયા લખે છે. લેઉવા અને કડવા પાટીદારોનું ગોત્ર કશ્યપ ગણાય છે. મહર્ષિ કશ્યપ મહાન વિચારક, વિદ્વાન, વૈજ્ઞાનિક, કવિ, કલાકાર અને કુશળ કિસાન હતા. એમણે ઋગ્વેદના પ્રથમ મંડળ, સૂકત ૯૯ની રચના કરી હતી, પાટીદારો આ કૃષક, કશ્યપ ઋષિના કૂર્મિવંશી ક્ષત્રિય કહેવાય છે. આ કણબી-પાટીદારો ભારતભરમાં પથરાયેલા જોવા મળે છે. કૂર્મિ, કુનબી, કુંબી એક જ જ્ઞાતિના રૂપાંતરિત નામો છે. ઉત્તર ભારત અને મઘ્યપ્રદેશમાં કુનબી, મહારાષ્ટ્રમાં પાટીલ, તામિલનાડુમાં કામ્પુસે, નાયડુ કે રેડ્ડી બધા એક જ સમાજના હોવાનું જહોન વિલિયમ માને છે. સ્ટોરી ઓફ બારડોલીમાં શ્રી મહાદેવભાઈ દેસાઈએ કણબીના કડવા, લેઉવા, મતિયાભક્ત, ઉદાપાટિદાર અને ચરોતરિયા એમ પાંચ તડાંનો ઉલ્લેખ કર્યો છે.
ઈતિહાસના ઓવારે ઊભા રહીને ભૂતકાળ ભણી નજર નોંધીશું તો જણાય છે કે કૂર્મિઓ ઈ.સ. પૂર્વે ૩૦૦ના અરસામાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં સૌરાષ્ટ્રમાં પ્રવેશ્યા હતા. તેઓ પંજાબ, સિંધ, કચ્છ, રાજસ્થાન અને રાધનપુર એમ જુદાજુદા માર્ગે સૌરાષ્ટ્રમાં આવીને સ્થિર થયા છે એમ વિદ્વાનો માને છે. ત્યાર પછી ૧૨મી સદીમાં સિદ્ધરાજ જયસિંહના શાસન દરમ્યાન ગંગા-જમનાના દોઆબમાંથી ૧૮૦૦ જેટલા પાટિદાર પરિવારો ગુજરાતમાં આવીને સ્થાયી થયાં. પ્રથમ એમની વસાહત પાટણ બની. ઈ.સ. ૧૧૧૦ના અરસામાં રામજી પટેલ નામની પ્રભાવશાળી વ્યક્તિએ પાટણથી અડાલજ આવીને છસો લેઉવા પટેલોને અહીં વસાવ્યા. તેઓ સિદ્ધરાજના મંત્રીમંડળમાં મહત્ત્વનું સ્થાન શોભાવતા હતા. તેમણે અડાલજમાં લેઉવા પટેલોના કુળદેવી અન્નપૂર્ણાના મંદિરની પ્રતિષ્ઠા કરી. કડવા પાટીદરોએ ઉંઝામાં પોતાનાં કુળદેવી ઊમિયા માતાજીનું મંદિર બનાવ્યું.
ખેડા જિલ્લાના પીપળાવ ગામના વીર વસનદાસે મોગલ બાદશાહ અને ગુજરાતના સૂબાઓની વગથી મહેસૂલ ઉઘરાવવાના ઈજારા પાટીદારોને આપ્યા હતા. આ ઈજારા મેળવનાર ચરોતરના પાટીદારો પાછળથી અમીન અને દેસાઈના નામે ઓળખાયા. સને ૧૭૦૩માં પીપળાવમાં યોજાયેલા ખાસ સમારંભમાં મોગલ બાદશાહ ઔરંગઝેબનો શાહજાદો બહાદુરશાહ ખાસ હાજર રહ્યો હતો. ત્યારે સરકારી દફતરે કણબીના બદલે ‘પાટીદાર’ શબ્દનો કાયમી હુકમ કરાવ્યો હતો. એ જમાનામાં ખેતી કરનાર ખેડૂત કહેવાતા. જમીનના ટુકડા (ખેતર)ના માલિકને ‘પત્તીદાર’ કહેવાતો.
કાઠિયાવાડના કણબી ‘કણબી-પટેલ’ તરીકે ઓળખાય છે. પટેલ એ કોઈ જ્ઞાતિ કે સમાજ નથી. એ તો કણબી જ્ઞાતિના અમુક લોકોને મળેલો ઈલ્કાબ છે. મહંમદ બેગડાએ ગુજરાતમાં ખેતીના વિકાસ માટે એકેક ગામનો કબજો, પસંદ કરીને એને આબાદ કરવાની શરતે કણબીઓને આપેલો. આ હોદ્દો ધરાવનાર સૌથી વઘુ કણબીઓ હતા. કાયદો અને વ્યવસ્થા સંબંધી રાજ્યને તેઓ અહેવાલ આપતા. આ હોદ્દો પછી પટેલમાં ફેરવાઈ ગયો. આ રીતે જોઈએ તો પાટીદાર શબ્દ ધંધા પરથી આવ્યો છે, જ્યારે પટેલ શબ્દ ખિતાબ કે પદવી પરથી આવ્યો છે. સમય જતાં પાટીદાર શબ્દ લખવામાં અટપટો લાગતાં ને પટેલ શબ્દમાં પટલાઈ કૂટવાની માનસિક ખુમારી અને શૂરાતનનો ભાવ છુપાયેલો હોવાથી લેઉવા-કડવા સમગ્ર પાટીદાર કોમે પટેલ શબ્દ અપનાવી લીધો છે. હવે બીજો સંદર્ભ જોઈએ.
પટેલ શબ્દનું મૂળ તપાસીએ તો સંસ્કૃત ‘પટ્ટલિક’ શબ્દ છે. ગામના ખેતરોની જમીન અને ઘરથાળની જમીનોના જે વેચાણ કે ગીરો દસ્તાવેજ-લખાણો થતાં તેની એક નકલ સાચવવાનું કામ રાજાઓએ પ્રમાણિક હોવાથી કણબીઓને સોંપેલું. આથી પટ્ટલિક શબ્દ પરથી પટેલ શબ્દ અસ્તિત્વમાં આવ્યો. એનું કારણ એવું જણાય છે કે દસ્તાવેજો કે લેખો, પટ્ટાઓ (પટ્ટ-વસ્ત્ર) ઉપર લખાયેલા આગેવાન પટ્ટલિકો પાસે રહેતા હતા. આમ સેંકડો વર્ષથી ‘પટેલ’ શબ્દ ગામના આગેવાન તરીકે વપરાતો આવ્યો છે. ‘પાટી’ એટલે જમીનનો ટુકડો, એનો માલિક ‘પટ્ટીદાર’ કહેવાતો. એનું અપભ્રંશ થઈને પાટીદાર શબ્દ આવ્યો. આમ પટેલ એ કોઈ જ્ઞાતિ કે અટક સંદર્ભે નથી પણ માનવાચક ઉપનામ છે. આ હોદ્દો પછી પટેલમાં ફેરવાઈ ગયો, અને કણબીની આખી નાત પટેલોના નામે જાણીતી થઈ. આ પટેલો ખૂબ મહેનતું પ્રજા. કણમાંથી મણ અનાજ પેદા કરે. એથી એના હાથ સોનાના કહેવાતા. આથી દિલ્હીના બાદશાહે એકવાર કહેલું કે ‘અમારા રાજ્યમાં તો જુવાર-બાજરી પાકે છે પણ ગુજરાતના સુલતાનોને ઘેર તો મોતી પાકે છે.’
સંવત ૧૨૨૪માં વાછા પટેલે વસો વસાવ્યું. અકબરના વખતમાં અજુ પટેલ થયા. તેની સાથે અકબર બાદશાહને ભારે ભાઈબંધી. અકબર ગાદીએ આવ્યા બાદ અજુ પટેલને દિલ્હી બોલાવી સં. ૧૬૪૧માં ગુજરાત તરફનું કામ સોંપી ૯ શણગારેલા હાથી, ૧૩ ગામ અને ૨૩ હજારની નિમણૂક બાંધી આપી. વિરમગામમાં ૧૭મા સૈકામાં ઉદયકર્ણજી થયા. એમણે વિરમગામ ફરતો મજબૂત કિલ્લો અને રાજગઢી બંધાવ્યા, એમ પ્રભુની ફૂલવાડીમાં શંભુભાઈ બોરક નોંધે છે. એ પછી પરિસ્થિતિ પલટાઈ. અંધાઘૂંધીનો યુગ આરંભાયો. અલ્લાઉદ્દીને કરણઘેલાને હરાવ્યો. મુસલમાની સૈન્યે ગુજરાતને લૂંટવા- બાળવા માંડ્યું. ખેતીનો શાંત ધંધો કરનાર કણબી-પટેલોથી વસેલાં આબાદ ગામડાં ભાંગવા માંડ્યાં. પ્રજા સલામતી માટે જ્યાં ત્યાં નાસવા માંડી. એ વખતે કાઠિયાવાડના રાજવીઓ ગુજરાતના પાટિદારોની ખેતી-ખંત જાણતા હતા. આથી એમણે પોતાના ગામો આબાદ કરવા માટે પટેલોને ‘પળત’ આપી રાજમાં વસાવવા માંડ્યા.
એમાં જામનગરના રાજવી જામરાવળ અગ્રણી રહ્યા. સંવત ૧૫૮૨માં ભાદા ઠુંમર અને પૂજા ભંડારીને ખેડૂતોના મોટા સમૂહ સાથે પોતાના રાજ્ય-હાલારમાં ઉતાર્યા. પીપર-ભાડુકિયામાં એક સાથે પટેલોના ૭૫૦ ઉચાળા ઊતર્યા હતા. એમાંથી કંઈક હાલારમાં રહ્યા. ધોરાજી તરફના ગામોમાં ગયા. ત્યાં નવા ગામોના તોરણ બાંધી કાઠિયાવાડનો મુલક આબાદ કરવા માંડ્યા. સંવત ૧૮૬૯માં હાલારમાં મોટો દુષ્કાળ પડ્યો. એ ‘કોતડીના કાળ’ તરીકે જાણીતો છે. કાઠી પ્રજાનો મુલક રાજપૂતોએ જીતી લેતાં કાઠીઓ બહારવટે ચડ્યા ને ખેડૂતોને રંજાડવા લાગ્યા. અમરેલી વગેરે વિસ્તારો એક કાળે કણબી ખેડૂતની વસતી વગરના થઈ ગયા. ત્યાર પછી ગાયકવાડી હકૂમત આવતાં થોડી શાંતિ સ્થપાઈ એમ ગોરધનદાસ સોરઠિયા નોંધે છે. એ પછી સાવરના વાલા પટેલે સમાજના સહકારથી અંટાળિયા મહાદેવનું મંદિર બનાવ્યું, જે આજે પાટીદારોનું તીર્થસ્થાન ગણાય છે.
એ પછી રજવાડાના સહકારથી સમયાન્તરે અન્ય પ્રદેશોમાંથી પાટીદારો સૌરાષ્ટ્રમાં આવીને વસ્યા. આ કુટુંબોએ વહાલા વતનની યાદી જાળવી રાખવા પોતાના ગામો ઉપરથી અટકો રાખી. ઉ.ત. વસો ઉપરથી વસોયા, ગુર્જરા ઉપરથી ગજેરા, સોજીત્રા ઉપરથી સોજીત્રા, સાવલી ઉપરથી સાવલિયા, લીંબાશી ઉપરથી લીંબાશિયા, વઘાશી ઉપરથી વઘાસિયા, વણસોલ ઉપરથી વણસોલિયા, માંઘરોલી ઉપરથી માંગરોળિયા, તારાપર પરથી તારપરા, તરણોલ ઉપરથી તરણોલી, ધમેલી ઉપરથી ધામેલિયા, કોઠી ઉપરથી કોઠિયા, બોરસદ ઉપરથી બોરસદિયા, ફિણાવ ઉપરથી ફિણાળિયા, સિદ્ધપુર ઉપરથી સિદ્ધપરા, માંડલ ઉપરથી માંડલિયા, સિંગાલી ઉપરથી શીંગાળા, હીરાપર પરથી હિરપરા, પાદરા પરથી પાદરિયા તરીકે ઓળખાયા. પછીથી કાળક્રમે એમની અટકો બદલાવા માંડી. કાઠિયાવાડના ગામો ઉપરથી અને એમના વડવાઓનાં નામો ઉપરથી અવટંકો આવી. ઉ.ત. ગોંડલ પરથી ગોંડલિયા, રાણપર પરથી રાણપરિયા, સરધાર પરથી સરધારા, છોડવડી પરથી છોડવડિયા, રૈયા પટેલના વંશજો રૈયાણી, કાના પટેલના વંશજો કાનાણી, જાગા પટેલના વંશજો જાગાણી, અને ભાદા પટેલની પેઢીઓ ભાદાણી તરીકે ઓળખાણી. જેઓ પ્રથમ હાલારમાં ઉતર્યા તેઓ હાલારી લેઉવા પટેલ કહેવાણા. જે કુટુંબો સીધા ગોહિલવાડમાં આવ્યા તે ગોહિલવાડી (ઘોલવાડી) લેઉવા ગણાયા. પટેલોમાં સૌથી મોટી સંખ્યા હાલારી લેઉવાની હોવાનું મનાય છે.
વનરાજ ચાવડાના વખતમાં ઉંઝાની આસપાસના કડવા કણબીઓના સ્થળાંતરને કારણે ફળદ્રુપ જમીન વેરાન થવા માંડી. આથી ઉમિયા માતાના મંદિરના પૂજારીને પાટણ બોલાવી સન્માન કરી રાજ્યાશ્રય આપ્યો. માતાજીનો ઉત્સવ ઉજવાયો ને કડવા પાટીદારો ધીમે ધીમે ઉત્તર ગુજરાતમાં આવી સ્થાયી થયા. તેઓ આજેય પોતાના કુળદેવી ઉમિયા માતાને પૂજે છે. લેઉવા-કડવા ઉપરાંત ઉ. ગુજરાતમાં ત્રીજા તડાના આંજણા પટેલો પણ છે. કેટલાક એને સહસ્ત્રાજુનના વંશજ કહે છે તો કોઈ એમને અંજનીપુત્ર ગણે છે. પરશુરામના પ્રહારથી બચવા અજાણ્યા થઈને જે રહ્યાં તે આંજણા-ચૌધરી પાટીદારો રાજવંશી પ્રજા છે.
ચૌધરી એ કોમ નથી પણ તેમનો ઈલ્કાબ છે. બોમ્બે ગેઝેટિયર લખે છે કે આંજણા કણબીઓ કરતાં રાજપૂતોને વઘુ મળતા આવે છે. તેના જેવી જ પાઘડી પહેરે છે અને અટક પાછળ ‘સિંહ’ લગાડે છે. જ્યારે ૧૫મી સદીમાં શાહઆલમના સમયમાં જે લેઉવા કણબી વટલાયા અને મુસ્લિમ ધર્મ સ્વીકાર્યો તે મુમના તરીકે ઓળખાયા. એમ ‘કાઠિયાવાડના મુમના’ પુસ્તકમાં નોંધાયું છે. આજે પણ તેઓ કાનાણી, ભીમાણી, કોટડિયા, સોરઠિયા તરીકેની નુકથી ઓળખાય છે, સૌરાષ્ટ્ર અને ઉ.ગુજરાતમાં વસે છે.