
‘‘સરદાર સાહેબ, પધારો!’’
સરદારના પગ થંભી ગયા. અવાજની દિશામાં નજર નોંધી તો બ્રિટિશ સરકારના સિવિલ અધિકારી મેનન દેખાયા. મેનન સરદારને આગ્રહ કરીને બેઠકખંડમાં લઇ ગયા. આઝાદી આવી કે આવશે એવો સમય સધાઇ ગયો હતો. અનેક આંટીધૂંટી અને અનેક અટપટા સવાલો અણઉકલ્યા ઉકળતા હતા. મેનનનું ચિત્ત ચિંતિત હતું. મન મથામણ કરતું હતું. અણધારી સરદારની મુલાકાતે મંત્રણાનો દોર સંધાઇ રહ્યો.
મેનનનું પૂરું નામ વાપુની પંગુની મેનન. અઢારસો ચોરાણુના સપ્ટેમ્બર મહિનાની ત્રીસમી તારીખે એમનો જન્મ. ઓપ્ટાપલમની માઘ્યમિક શાળામાં ભણ્યા ઇ ભણ્યા. કોલેજનું પગથિયું પણ ભાળ્યું નહિ. ઓગણીસો ચૌદના વર્ષમાં એટલે કે વીસ વર્ષની વયે સરકારમાં કારકુન તરીકે નોકરીએ રહ્યા. થોડા વર્ષમાં ભારત સરકારના રીફોર્મ દફતરમાં સહાયક સેક્રેટરીનો હોદ્દો હાંસલ કર્યો. એ પછી ગવર્નર જનરલના ડેપ્યુટી સેક્રેટરી, કેબિનેટ સેક્રેટરીની સભાનતાપૂર્વક જવાબદારી સંભાળીને પોતાની કોઠાસૂઝ અને કાબેલિયત પુરવાર કરીને બુદ્ધિચાતુર્યના ચમકારા દેખાડી સૌને ચકિત કરનાર મેનન અને સરદાર વચ્ચે વાર્તાલાપ ભારતનું ભાવિ ઘડવામાં મહત્વપૂર્ણ બની રહેવાના પ્રથમ પગરણ મંડાયાં.
તે વખતે ભારતને આઝાદી આપવાનો નિરધાર થઇ ચૂક્યો હતો. પણ તેનું સ્વરૂપ કેવું ? એ સવાલ સળગતા અંગારાની જેમ સૌને દઝાડતો હતો. લોર્ડ વેવેલ અસહાય બની ગયા હતા. ભારતના કેટલાક પ્રદેશોમાં અરાજકતા પ્રવર્તી હતી તેથી તેમણે બ્રિટિશને જણાવી દીઘું હતું કે ભારતને આઝાદ કરી દેવું જોઇએ અથવા વ્યાપક સૈનિક કાર્યવાહી કરી હિંસાને કાબૂમાં લેવી જોઇએ.’’
દેશનેતાઓ અને લોર્ડ વેવલ વચ્ચે મોટું અંતર હતું તેને ખાળવા ને ટાળવા લોર્ડ વેવેલ મેનન દ્વારા પ્રયત્ન કરી રહ્યા હતા. કારણ કે મેનનની રાજકીય દૂરંદેશીમાં તેમને ભારે ભરોસો હતો. લોર્ડ વેવેલે વિદાય લીધી ને લોર્ડ માઉન્ટબેટન હિન્દના હાકેમ તરીકે આવ્યા. તેમણે લોર્ડ ઇસ્મે સહીત પોતાના ખાસ સલાહકારનું એક જૂથ રચી ભારતને આઝાદી આપવાની યોજના તૈયાર કરવાની જવાબદારી સોંપી તેમાં વી. પી. મેનનનો પણ સમાવેશ કર્યો. આ બેઠકમાં જે કાર્યવાહી થઇ તેમાં મેનન સંમત થઇ શક્યા નહિ. રાજીનામું આપ્યું. કારણ કે ઇસ્મે યોજનામાં ઘણા અવાસ્તવિક યોજનાઓ હતી. તેથી થનાર ગંભીર પ્રશ્નો અંગે તેમણે લોર્ડ માઉન્ટ બેટનને સમજાવવા પ્રયત્ન કર્યો પણ તેમાં મેનન નિષ્ફળ રહ્યા ને માઉન્ટબેટને લોર્ડ ઇસ્મેને લંડન મોકલ્યા ને બ્રિટીશ પ્રધાનમંડળને જણાવ્યું કે ઇસ્મેની યોજનાનો સ્વિકાર કરે.
આ બાબતની જાણ થતાં મેનને લેડી માઉન્ટ બેટનને રાજીનામું આપવાની ઇચ્છા દર્શાવી. લેડી માઉન્ટબેટને મેનનને ઉતાવળો નિર્ણય ન કરવા અને સીમલા જઇ લોર્ડને મળવા સમજાવ્યા. મેનન સિમલા પહોંચ્યા. તેના સદ્ભાગ્યે પંડિતજી પણ સિમલા હતા. ઇસ્મે યોજના મુજબના સ્વરાજ્યથી આંતરયુદ્ધ અને તેમાંથી અરાજકતા ઉભી થશે તે વાત મેનન સમજાવી શક્યા.
‘‘શું કરવું જોઇએ?’’ લોર્ડનો સવાલ મેનન સામે તોળાઇ રહ્યો. મેનને પોતાની યોજના સમજાવી. આ યોજનાના સ્વીકાર માટે સરદાર પટેલે ખાતરી આપી છે એ વાત પણ મૂકી. લોર્ડ માઉન્ટ બેટન પ્રભાવિત અને પ્રસન્ન થયા. તેમણે પંડિતજી સાથે પણ ચર્ચા કરી. તે પણ ઇસ્મે યોજના વિરૂદ્ધ હતા તેથી મેનન યોજનાનો સ્વીકાર થયો. તે જ દિવસે વી. પી. મેનને પોતાની યોજનાને અંતિમ સ્વરૂપ આપ્યું. યોજના લંડન મોકલી અપાઇ. તેના અનુસંધાને લોર્ડ માઉન્ટ બેટનને લંડન બોલાવાયા. મેનનની યોજનાનો સ્વીકાર થયો.
ઓગસ્ટની પંદરમીની અર્ધરાત્રિએ અંગ્રેજોએ ભારતને અલવિદા કરીને વિદાય લીધી ત્યારે ભારતનાં દેશી રાજ્યોને જેમના તેમ મૂકતા ગયા. તેનું ઉત્મૂલન કરવાનું કપરું કાર્ય સરદાર પટેલને શિરે આવ્યું. પારોઠના પગલા ભર્યા વગર ભડવીરે પાંચસો ને બાંસઠ નાનાં મોટા રાજ્યોને ભારતમાં ભેળવી દઇ એક અનોખી સિદ્ધિ હાંસલ કરીને જગતના ઇતિહાસમાં ન બનેલું, ન બની શકે એવું પ્રકરણ ઉમેરી દીઘું. સરદારની કુશાગ્ર બુદ્ધિ, અસાધારણ મુત્સદ્દીગીરી અને લોખંડી મનોબળનાં દુનિયાને દર્શન થયાં. સરદારના કાર્યમાં જે માણસની તેજસ્વી બુદ્ધિ, દીર્ઘદ્રષ્ટિ, રાજકીય દૂરંદેશી, નિશ્ચલ નિષ્ઠા, અવિરત પરિશ્રમ કામ લાગ્યો તે વી. પી. મેનન હતા.
એક ઘટના ઘટી. જોધપુરના મહારાજા સાથે મેનન રાજ્યના એકીકરણના મુદ્દા અંગે મંત્રણા કરી રહ્યા હતા. મંત્રણાએ વિવાદનું રૂપ ધારણ કર્યું. મહારાજા આવેશમાં આવીને મેનનની છાતી સામે પિસ્તોલનું નાળચું ધરીને કરડી આંખ કરી ડારતા રહ્યા, બોલતા રહ્યા ત્યારે મેનનનું રૂંવાડુંય ફરકેલું નહિ. આ હતી તેની નિર્ભયતા.
દેશી રાજ્યોની કરોડોની મિલ્કતો તેના હવાલે આવેલી પણ પ્રમાણિકતા એની ડગી નહોતી.
આમ ભારતની આઝાદીના આરંભના ઇતિહાસમાં વી. પી. મેનન એક અનોખું પ્રકરણ ઉમેરી ગયા.
વિશેષ માહિતીઃ ઇ.સ. ૧૯૧૫માં તેમણે પ્રથમ લગ્ન કર્યા, ૧૯૨૧માં બીજા લગ્ન કર્યા. બે પુત્રો અને એક પુત્રીના પિતા બન્યા હતા.૧ જાન્યુઆરી, ૧૯૬૬ના દિવસે આ મહાન વિચક્ષણ વિરલ વ્યક્તિનું જબલપુરમાં નિધન થયું.
No comments:
Post a Comment