Pages

Wednesday, May 12, 2010

જેને જીવાડવા અને સાચવવા માટે મારા-તમારા ખિસ્સાના......


જેને જીવાડવા અને સાચવવા માટે મારા-તમારા ખિસ્સાના ૬૦,૦૦,૦૦,૦૦૦ રૂપિયા કરતાં વઘુ રૂપિયા (રોજના રૂા. ૮ લાખ ૫૦ હજાર) ખર્ચ્યા અને ૫૬૦ દિવસ લાગ્યા છતાં એને મરતા હજી કેટલા દિવસ લાગશે ?
અત્યાર સુધીમાં ૧૧૫૬ને ફાંસીની સજા કરવામાં આવી છે
અત્યારે ૧૦૦ કરતાં વઘુ ગુનેગારો ફાંસી મળવાની રાહ જોતા જેલમાં છે
ફાંસી આપનાર જલ્લાદો નથી મળતા એટલે કોઈને ફાંસી આપી શકાતી નથી
અને જેલમાં આપણા ખર્ચે લીલા લહેર કરે છે !
છેલ્લી ફાંસી ૨૦૦૪માં કોલકત્તાના ધનંજય ભટ્ટાચાર્યને આપવામાં આવેલી
કસાબના કેસ સાથેના બાવીસ આરોપીઓ તો હજી લાપતા છે !
મુંબઈવાસી ૭૨ જણને મારી નાંખનાર કસાબને હજી ક્યાં સુધી જીવાડવો પડશે એ કોઈ જાણતું નથી !
ફેંસલો તો આવી ગયો.

મુંબઈના આપણા ૭૨ જણને મારી નાખનાર કસાબ નામના પાકિસ્તાની મુસ્લિમ આતંકવાદીને સહીસલામત જીવાડવા મારા તમારા ખિસ્સાના પાછા ૬૦,૦૦,૦૦૦૦૦ કરતાં વઘુ રૂપિયા અત્યાર સુધીમાં ખર્ચાયા છે અને હજી બીજા કેટલા ખર્ચાશે એ કહી શકાય તેમ નથી કારણ કે એ કેટલું જીવશે એ કોઈ જાણતું નથી ! આવો મહાભયાનક ખૂની ગુનેગાર બિમાર ન પડે એટલા માટે આપણા ખર્ચે એની તહેનાતમાં ચોવીસ ચોવીસ ડૉક્ટર રાખવામાં આવેલા.

એની ઉપર હુમલો કરીને એને કોઈ આપણો પોલિસ કે જેલનો બીજો કોઈ કેદી કે પાકિસ્તાની જાસુસ મારી નાંખે નહીં એ માટે મુંબઈમાં ગુજરાતીઓ મોટા ભાગે જે સ્ટેશને ઉતરે છે એ બોમ્બે સેન્ટ્રલ સ્ટેશનની બહાર સામે જ મરાઠા મંદિર નામનું સિનેમા થિયેટર છે. એની બાજાુમાં રિઝર્વબેન્કમાં સ્ટાફને રહેવા માટેના ફલેટો છે. એની પાછળ એસ.ટી.નું વડુ મથક છે. એથી આગળ ભાયખલા તરફ જાવ એટલે દેશમાં જાણીતી આર્થર રૉડ જેલ છે. સરકારે એ જેલમાં પણ બીજી જેલ અને બીજીમાં વળી બીજી જેલ આ આપણા ૭૨ જણના ખૂનીને કશો ધસકરો પણ ન પડે એટલા માટે બનાવેલી. સરકારે જેલમાં જ કોર્ટ ઊભી કરેલી જેથી આ ખૂની સલામત રહી શકે !


એ બઘું રૂા. ૫,૦૦,૨૭,૬૭૦ આપણા ખિસ્સાના વાપરીને કરવામાં આવેલું ! (ન્યાય તોળવાની આવી વ્યવસ્થા તો ભગવાનના દરબારમાં પણ નહીં હોય ! આદર્શ લોકશાહી કોને કહે ? લોકશાહીનું પૂંછડું દુનિયામાં આપણે જ ઝાલ્યું છે ! કે પછી લોકશાહી અને ન્યાયના નામે ખિસ્સા ભરવાના આ બધા કારસા છે ? પેલો દાઉદ પકડાય તો તો શું ય થાય ? કોના બાપની...?)
આ બઘું ઓછું હોય એમ આ ભયાનક ખૂનીને રક્ષણ આપવા આપણા લશ્કરની જે ‘‘ભારત-તિબેટ સરહદી પોલીસ’’ નામની પાંખ છે એના ૨૫૫ જુવાન, મુંબઈની પોલિસના ૫૦ સશસ્ત્ર પોલિસ, અને આર્થર રોડ જેલના ૨૦ સશસ્ત્ર પોલિસ એ કસાબની તહેનાતમાં રાખેલા ! એ બધાનો દરરોજનો ખર્ચ મારા-તમારા ખિસ્સામાંથી રૂા. ૧ લાખ ૫૦ હજાર અપાતો હતો !

આ ઉપરાંત કસાબના બચાવ માટે આપણા જનતાના ખર્ચે જ વકીલ રાખવામાં આવેલા એની ફીનો ખર્ચ પણ કરોડો રૂપિયા આપણે જનતાએ જ આપ્યો ! કસાબને ‘‘ફીટ’’ કરવા માટે જે સરકારી વકીલ રાખેલો એ પણ અબજો રૂપિયાની ફીવાળો.....એનો ખર્ચ પણ આપણા પેટ ઉપર ! હજી ઊભા રહો. પેલા ૨૪ ડૉક્ટરો કસાબની દરરોજ તબીબી તપાસ કરે...જાુદા જાુદા ટેસ્ટ કરે...હોસ્પીટલમાં લઈ જાય....એ બધો ય ખર્ચ ખરો ને ? એ ય લાખો કરોડો રૂપિયા થાય....આપણા પેટ ઉપર જ સ્તો ! (ન્યાય કોને કહે ?)

આ ઉપરાંત પેલી કોર્ટમાં ‘‘કામ’’ કરવા માટે ૩૦ કર્મચારીઓ રાખેલા. એમનો પગાર, ભથ્થું વગેરે પણ કરોડો લાખો રૂપિયા થતા હશે ને.....તો એ ય આપણા પેટ ઉપર. આપણા ૭૨-૭૨ દેશબાંધવોના ખૂન કરનાર ખૂનીને સાચવવા માટે આ બધા ખર્ચ !અને હજી એને કેટલા વર્ષો સુધી સાચવવો પડશે એ કોઈ જાણતું નથી ! સરકાર પણ નહીં, એને સજા કરનાર કોર્ટ પણ નહીં કે એને જેલમાં રાખનાર જેલર પણ નહીં !

આવા ૧૦૦૦ કરતાં વઘુ ખૂનીઓ અત્યારે ફાંસીની સજાનો અમલ થવાની રાહ જોતા જાુદી જાુદી જેલોમાં લીલાલહેર કરતા જીવી રહ્યા છે. (એમાં ભાજપ જેના માટે વારંવાર બુમરાણ મચાવે છે એ અફઝલ ગુરૂ યાને મોહમ્મદ અફઝલ નામનો આતંકવાદી પણ છે. એ અફઝલે ૯ જ લશ્કરી જવાનોને મારી નાંખેલા અને ભાજપ સત્તામાં હતો ત્યારે મારી નાંખેલા. ભાજપ સોરાબુદ્દીન જેવાના એન્કાઉન્ટર કરાવી શકતો હોય તો એણે અફઝલનો એન્કાઉન્ટર કેમ ન કરાવ્યો ? આવા આતંકવાદીઓના તો એન્કાઉન્ટર જ હોય. એન્કાઉન્ટર તો વિરોધ કરનારા માનવતાવાદીઓને એ એકાઉન્ટર જેનું કર્યું હોય એ ગુનેગારે કરેલા ખૂની કૃત્યો નથી દેખાતા ? એ માનવતાવાદીઓ ખરેખર તો, દાનવતાવાદીઓ જ છે. પેલા ભાજપીઓને જેમ કશો મુદ્દો નથી મળતો એટલે સીબીઆઈ દ્વારા અને કોર્ટ દ્વારા પોલિસ વડાઓની પૂછપરછ જેવા મુદ્દા ઉપાડી લાવીને ભાજપની બગડેલી આબરૂને વઘુ બગાડે છે એમ માનવતાવાદીઓ પણ મુદ્દા ન મળતા આવા વાહીયાત મુદ્દા પકડીને કૂદાકૂદ કરે છે.)

અત્યાર સુધી આપણા દેસમાં ૧૧૫૬ને ફાંસીની સજા થઈ છે અને અત્યારે ફાંસી આપનાર જલ્લાદોના અભાવે લગભગ ૧૦૦૦ જેટલા ફાંસીની સજા પામેલા આપણા ખર્ચે જેલોમાં લીલાલહેર કરે છે. છેલ્લી ફાંસી ૨૦૦૪માં ૧ ઓગસ્ટે ધનજંય ચેટરજી નામના એક બળાત્કારીને અપાયેલી.
જોકે હમણાં કોર્ટો ફાંસીની સજા ઓછા પ્રમાણમાં કરે છે. દા.ત. ૨૦૦૧માં ૩૦૧ ગુનેગારોને ફાંસીની સજા કરવામાં આવેલી અને બીજા વર્ષે ૨૦૦૩માં ૧૪૨ને જ ફાંસીની સજા કરાયેલી. અત્યારે મહારાષ્ટ્રમાં એકલામાં જ ૧૧૨ ગુનેગારો ફાંસી મળવાની રાહ જોઈ રહ્યા છે જ્યારે ઉત્તરપ્રદેશમાં એ આંકડો ૨૪૦નો છે અને બિહારમાં ૧૯૮ છે.

આમાંના કેટલાક ગુનેગારે રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરેલી છે અને અત્યારના તથા અગાઉના રાષ્ટ્રપતિ દયાની અરજી ફાઈલ જ જોતા નથી. (ભાજપને આ બધી જાણકારી હોવી જોઈએ પણ છતાં આ કોંગ્રેસને બદનામ કરવા અફઝલ ગુરૂનો મુદ્દો ઉછાળ્યા કરે છે પરંતુ કોંગ્રેસ વળી એવી મોટી ડફોળ છે કે એ આ બધો ખુલાસો કર્યા વિના પોતાની સામે ઉડાડતા કાદવને સહી લે છે !) બીજા કેટલાક કેસ સુપ્રિમકોર્ટમાં ગયેલા છે. કસાબનો કેસ પણ સુપ્રિમમાં જશે એટલે વળી પાછો આપણા જનતાના કરોડો રૂપિયાનો ઘૂમાડો ! પેલા ૧૧૫૬માંથી ૧૦૦ ગુનેગારે દયાની અરજી કરી છે અને ૪૦ ગુનેગાર સુપ્રિમ કોર્ટમાં ગયા છે.


લગભગ ૨૦૦ જેટલા આપણા દેશબાંધવોના ખૂન કરનાર ૨૬/૧૧/૨૦૦૮ના પાકિસ્તની આતંકવાદીઓના મુંબઈ ઉપરના હુમલામાં એ ઉપરાંત ૧૫૫૦૦૦૦૦૦૦ રૂા.નું નુકસાન પણ કરેલું. દા.ત. એકલી તાજ હોટેલને જ રૂા. ૧,૧૪,૦૦,૦૦,૦૦૦નું નુકસાન હતું. વળી ૩૫ આરોપીઓ ગયેલા પરંતુ આપણી પોલિસ એમાંથી ૧૩ને જ પકડીને કોર્ટમાં હાજર કરી શકેલી જ્યારે ૨૨ લાપતા રહ્યા છે.


કસાબ વિષે બીજી નહિં જાણીતી કેટલીક વાતો આ પ્રમાણે છે....

(૧) કેસ ચાલતો ત્યારે કસાબ કોર્ટમાં આવતી વખતે લગભગ દરરોજ ન્યાયાધિશને પગે લાગતો.
(૨) કસાબને દરરોજ શુદ્ધ શાકાહારી ખાણું જ આપવામાં આવતું હતું....ફક્ત ઇદના દિવસે જ એને નોનવેજ આપતા.

(૩) એ ખાવામાં બિરયાની અને મટનની માંગ કરતો.

(૪) એણે વાંચવા માટે ચોપડીઓ અને સુગંધિત વાતાવરણ રાખવા ફરફયુમની માંગણી કરેલી.

(૫) કસાબને મુંબઈ ઉપર કરેલા હુમલાનો કે એણે કરેલા ૭૨ ખૂન માટે કશો અફસોસ નહોતો.

(૬) એ જ્યારે ટેન્શનમાં હોય ત્યારે મોટા ભાગે ‘‘જોન, જાની જનાર્દન’’ ગાયન ગણગણતો. બીજા ગાયનો પણ ગણગણતો.

(૭) પોતાની અમ્મા, નાની બહેન અને ભાઈ વિષે એ અવારનવાર પૂછપરછ કરતો.

(૮) કસાબે આપણી હિન્દી ફિલ્મો શોલે, લાવારિસ, વીરજારા, આશિકી અને બેટા ફિલ્મો જોએલી.

(૯) ઐતિહાસિક કેસનો ઐતિહાસિક ચુકાદો આપનાર જજ મદન લક્ષ્મણ તાહિલિયાની ૫૫ વર્ષની ઉંમરના છે અને નાગપુરથી એમણે લૉની પરીક્ષા પાસ કરી છે. નાગપુરમાં એમણે પહેલા વકીલાત શરૂ કરેલી અને પછી નકસલવાદીઓના પ્રભાવ નીચેના ગઢચિરોલી જિલ્લામાં પબ્લીક પ્રોસીક્યુટર તરીકે કામ કરેલી. એમણે ૧૯૮૭માં એડીશનલ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ તરીકે કોર્ટની કારકીર્દિ શરૂ કરેલી. દસ વર્ષ પછી એમને સેશન જજ બનાવ્યા. એમણે પેલા સંગીતપ્રેમી ગુલશનકુમારના અને મઝદૂર નેતા દત્તા સામંતના ખૂનના કેસોના ચુકાદા આપેલાં.

- ગુણવંત છો. શાહ





No comments:

Post a Comment