Pages

Wednesday, May 12, 2010

આ તમે નહીં જાણતા હો, બોલો!

આપણા બંધારણમાં ‘ભારત માતા’ જ નથી! એમાં લધુમતિના ખાસ હક્કોની વાત છે પણ લધુમતિની વ્યાખ્યા જ નથી!
આવા અઘૂરા, અસ્પષ્ટ, અર્ધદગ્ધ બંધારણનો શું અર્થ? આવું બંધારણ શું કામનું?
બંધારણમાં અત્યાર સુધી ૧૦૦ કરતાં વઘુ સુધારા કરવા પડ્યાં છે!
આપણો ભારત દેશ અજન્મા છે. એટલે કે એનો જન્મ નથી થયેલો પણ પરાપૂર્ણકાળથી એ છે. એટલે કે આપણો દેશ ભારત ચિરંતન અને સનાતન રાષ્ટ્ર છે.
અમેરિકાની જેમ આપણો દેશ જૂદા જૂદા રાજ્યોનું યુનિયન એટલે સંઘ નથી. એક અને અખંડ રાષ્ટ્ર છે. વિવિધતામાં એકતા છે. જે આરોહઅવરોહ સાથે ગાયત્રીમંત્ર કે વેદ-ઉપનિષદ કે ગીતાના મંત્ર હિમાલયની બરફાચ્છાદિત ખીણોમાં ગુંજતા હોય છે એ જ મંત્રો એ જ ઢબે એ જ આરોહઅવરોહથી કન્યાકુમારીના સમુદ્રમાં ઊભા રહીને સૂર્યને અર્ઘ્ય આપનાર પણ બોલતો હોય છે.

છતાં સંપૂર્ણપણે અંગ્રેજી શિક્ષણ પામેલા... મગજમાં જ અંગ્રેજોની ગુલામીના સંસ્કાર ભરેલા લગભગ ૩૨૪ ભારતીયોની... જેમાં ૮૯ ત્યારના દેશી રાજ્યોના પ્રતિનિધિ અને ૨૩૫ સભ્યો ત્યારના જૂદા જુદા પ્રાન્તોના પ્રતિનિધિઓ હતા... ૧૯૪૭માં આઝાદી ૧૫ ઓગસ્ટે આપવામાં આવી એ પહેલાં ૩ જૂન, ૧૯૪૭ના રોજ આપણું બંધારણ રચવાની કામગીરી માટે રચના કરવામાં આવેલી.


એ પહેલાં ૧૯૪૬ના ૧૧ ડિસેમ્બરે ડૉ. રાજેન્દ્ર પ્રસાદને એ બંધારણ સભાના કાયમી પ્રમુખ તરીકે ચૂંટી કાઢેલા. ત્યારે દેશમાં કોંગ્રેસનું જ એકછત્રી, સામ્રાજ્ય હતું. બીજા પક્ષો ટીનબટુડીયા હતા પણ એમાં ભાજપનો કે જનતા પક્ષનો તો જન્મ પણ નહીં થયેલો. હિન્દુ મહાસભા, સમાજવાદી પક્ષ સામ્યવાદી પક્ષ જેવા પક્ષો હતા પણ એ કોઈનું પણ મહત્ત્વ જરા પણ નહોતું. મુસ્લિમ લીગ પક્ષ હતો અને મોહમ્મદ અલી જિન્હાના કારણે એનું મહત્વ હતું. આર.એસ.એસ. હતો પણ એણે રાજકારણથી દૂર રહેવાની નીતિ રાખેલી એટલે રાજકીય દ્રષ્ટિએ એનું કંઈ મહત્વનું નહોતું.


આપણને આઝાદી મળે એટલે કે અંગ્રેજો આપણને આઝાદી આપે એ પહેલાં એની તૈયારી રૂપે બંધારણ ઘડવું જરૂરી ગણાય એટલે ૧૯૪૬ના જુલાઈમાં બંધારણસભાની ચૂંટણી થયેલી. બંધારણ સભાના કુલ ૩૮૯ સભ્યો ચૂંટવાના હતા પણ ચૂંટણી ૨૯૬ માટે થઈ જેમાં કોંગ્રેસનું સામ્રાજ્ય હતું તો પણ એના ૨૦૮ સભ્યો ચૂંટાયા અને મુસ્લિમ લીગના ૭૩ ચૂંટાયા. ચૂંટાયેલાઓમાં આપણા દેશ અને સમાજના દરેક ક્ષેત્રના ઉચ્ચ કક્ષાના મહાનુભાવો હતા અને વિદ્વાનો હતા. એ બધી જ વિભૂતિઓ એકએકથી ચઢિયાતી હતી.


એ પછી ૧૯૪૬ના ૯ ડિસેમ્બરે, એ ચૂટાયેલી બંધારણ સભાની, પહેલી બેઠક પણ યોજાઈ. એના કામચલાઉ પ્રમુખ બધા સભ્યોમાં વયોવૃઘ્ધ હતા એવા ડૉ. સચ્ચિદાનંદ સિંહાને બનાવેલા.


આપણા દેશના ટુકડા કરીને આઝાદી આપવાનો નિર્ણય અગાઉ થઈ ગએલો જેની જાહેરાત ૧૯૪૭ના ૩ જૂને કરવામાં આવેલી.


આઝાદી મળ્યા પછી ૧૯૪૭ના ૨૯ ઓગસ્ટે બંધારણ સભા બંધારણનો ઢાંચો તૈયાર કરનાર સમિતિની રચના થઈ જેના પ્રમુખ ડૉ. ભીમરાવ આંબેડકરને બનાવ્યા. એની પહેલી બેઠક ૧૯૪૭ના ૩૦ ઓગસ્ટે મળી.


આપણે અત્યારે ૬૦ વર્ષ પછી જે કંઈ સુખ કે દુઃખ, મુશ્કેલીઓ કે રાહતો ભોગવી રહ્યા છીએ એનો પાયો ઉભો કરવામાં શું શું અને કેવું કેવું કરવું પડેલું એ જોવાનું છે. અત્યારે ગરજી ગરજીને બોલી રહેલા ભાજપ કે ભાજપના એકપણ નેતાએ અથવા બીજા કોઈ પણ પક્ષે કે એના એક પણ નેતાએ એ કષ્ટમય દિવસોમાં દેશ માટે પરસેવાનું પણ એકાદ ટીપું નહોતું પાડ્યું! (જેમ ગુજરાતની રચના કરવા મહાગુજરાત આંદોલનમાં ભાજપ કે જનસંઘે ભાગ તો નહોતો લીધો પણ ઉલટાનું મહાગુજરાત આંદોલન, ઇન્દુચાચા વગેરેનો, મહાગુજરાતના શહિદોનો ભાજપના નેતાઓએ વિરોધ કરેલો!)


આ સમિતિએ બંધારણનો જે ઢાંચો તૈયાર કરેલો એ બંધારણ સમિતિ સમક્ષ ૧૯૪૮ના ફેબુ્રઆરીમાં રજૂ કરાયો.

આપણા દેશ ભારતનું બંધારણ ઘડવામાં ૨ વર્ષ ૧૧ મહિના અને ૧૮ દિવસ લાગેલા. બંધારણ ઘડવામાં આજથી ૬૦ વર્ષ પહેલાં રૂા. ૬૪,૦૦,૦૦૦ ખર્ચ થયેલો. (આજના હિસાબે એને ૧૦૦૦એ ગુણો એટલો ખર્ચ ગણાય.)

આપણું બંધારણ ઘડવામાં ત્રણસો ચારસો મહાન બુઘ્ધિમાનો કામે લાગેલા. એ કહેવાય ભારતનું, ભારતીય બંધારણ પણ એમાં ભારતીયતા જેવું, ભારતીય સંસ્કૃતિની મૌલિકતા કહેવાય એવું કશું જ નથી. ઉલટાનું એમાં દુનિયાભરના દેશોના બંધારણનો ખિચડો ભેગો કરવામાં આવ્યો છે.


આપણા એ જે ત્રણસો-ચારસો બુઘ્ધિમાનો બંધારણ ઘડવા બેઠેલા એ બધાના મગજમાં અંગ્રેજો પ્રત્યેનો અહોભાવ ક્યાંય ખૂણામાં પડેલો હતો કારણ કે એમાં બેઠેલાઓમાં જે કાયદાબાજો હતા એમણે અંગ્રેજી... અંગ્રેજોની જ કાયદાપઘ્ધતિ જાણેલી. એમાંના મોટા ભાગના ઇંગ્લાંડ જઈને બાર-એટ-લો થએલા એટલે એમનામાં કોઈના પણ માનસમાં ભારતીયતાનો ખ્યાલ જ નહીં અને ખ્યાલ હોય તો પણ એટલો જ ખ્યાલ કે આપણામાં ભારતીયતા પણ અંગ્રેજોના કારણે જ આવેલી!


પરિણામે ભલે કહેવાય આપણું બંધારણ પણ એ છે બ્રિટનના બંધારણની ‘કોપી’ નકલ જેવું. દા.ત. બ્રિટનમાં બે સ્તરની સંસદીય પ્રણાલિ છે.... (૧) ઉપલું ગૃહ અને (૨) નીચલું ગૃહ એટલે હાઉસ ઓફ લોર્ડઝ અને (૨) હાઉસ ઓફ કોમન... જેને આપણા બંધારણ ઘડવૈયાઓએ (૧) રાજ્યસભા અને (૨) લોકસભા (હાઉસ ઓફ કોમન્સ) બનાવી દીધી! ...સીધો અનુવાદ.


ઇંગ્લાંડની વાત જવા દો. ત્યાં હાઉસ ઓફ લોર્ડઝ રાખવાનું ઐતિહાસિક કારણ હતું પણ આપણે ત્યાં રાજ્યસભા રાખવાની શું જરૂર હતી? એક તલખલાભાર પણ જરૂર નથી. સાવ ખોટો, બિનજરૂરી ખર્ચ છે અને બિનજરૂરી જરૂરિયાત છે. એનું કોઈ મહત્ત્વ પણ જનતાની દ્રષ્ટિએ નથી. સંસદમાં પણ એનું મહત્ત્વ નથી. લોકસભા પાસે એનું ચાલતું પણ નથી. સાવ એટલે સાવ ખોટો ખર્ચ છે... પણ શું થાય? બંધારણના ઘડનારાઓમાં અંગ્રેજોનું ભૂસુ ભરેલું હતું એટલે એમણે ‘રાજ્યસભા’ એટલે કે ઇંગ્લાંડની ‘હાઉસ ઓફ લોર્ડઝ’નું તૂત ઉભું કરીને આપણા માથે ઠોકી બેસાડ્યું.


બીજો દાખલો જુઓ. ઇંગ્લાન્ડે ઐતિહાસિક કારણોથી રાજાશાહી ચાલુ રાખી છે. ત્યાંની સંસદના વડા રાજા છે.

હવે આપણે રાજાશાહી નાબુદ કરી હોવાથી આપણે વડા તરીકે રાજા રાખી શકીએ તેમ નહોતું તો પછી એવા કોઈ શોભારૂપ હોદ્દાની જરૂર નહોતી પણ ઇંગ્લાંડના બંધારણમાં એ છે એટલે આપણા બંધારણના ઘડવૈયાઓએ રાષ્ટ્રપતિનો હોદ્દો (શોભારૂપ) ઉભો કર્યો. ઇંગ્લાંડની જેમ એ પણ શોભાનો જ હોદ્દો છે એટલે સાવ ખોટો ખર્ચ!

એ કરતાં અમેરિકા અને ફ્રાન્સનું જુઓ! બંને દેશોએ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનના બેય હોદ્દાનો એક હોદ્દો કરી નાંખ્યો છે. બન્નેના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ એક જ વ્યક્તિ. આપણે પણ એમ જ કરી અબજો ખર્વો રૂપિયા બચાવી શક્યા હોત પરંતુ આપણા મહાન બુઘ્ધિમાનોનું માનસ અંગ્રેજો માટેની અહોભાવનાથી ભરેલું હતું એટલે એમણે ગુલામની જેમ નવું વિચાર્યું જ નહીં અને ઇંગ્લાંડના બંધારણની ‘કોપી’ જ કરી.


આપણું ‘મહાન’ બંધારણ આ ઉપરાંત કેનેડાના બંધારણ, અમેરિકાના બંધારણ, આયરલેંડના બંધારણ, જાપાનના બંધારણ અરે, દક્ષિણ આફ્રિકાના બંધારણ, જર્મનીના બંધારણ, ઓસ્ટ્રેલિયાના જાપાનની બંધારણની નકલ જ છે.

આમ, આપણા બંધારણમાં બઘું છે પણ ભારતીયતા એટલે કે ‘આપણે’ નથી. એમાં આપણું ભારત નથી. આપણી ‘ભારત માતા’ નથી. એમાં આપણો અનાદિકાળથી અસ્તિત્વ ધરાવતો ભારતદેશ નથી.
એમાં લધુમતિને ખાસ હક્કો આપેલા છે પણ ‘લધુમતિ’ની કોઈ વ્યાખ્યા નથી કરેલી. સરકારો પણ લધુમતિ એટલે મુસલમાન જ ગણે છે. પારસી, શીખ, ખ્રિસ્તી વગેરે લધુમતિમાં જ છે પણ સરકાર લધુમતિના લાભો ફક્ત મુસલમાનોને જ આપે છે.
આપણા બંધારણમાં નીતિરીતિના નિયમો છે પણ એના અમલ માટે કોર્ટમાં જવાની સગવડ નથી.
એમાં સમાન નાગરિકત્વ એટલે બધા જ એકસમાન છે... એવો મહાન આદર્શ છે પણ એનો અમલ કરાવવાની સગવડ નથી.
એમાં હિન્દી રાજભાષા છે પણ એને લાગુ કરાવવાની કોઈ મર્યાદા નથી.
બંધારણમાં ૩૭૦મી કલમ કામચલાઉ છે પણ એ સદાકાળ માટે હોય એવી છે.
ટૂંકમાં, બંધારણ ઘડનારા વકીલો વઘુ હતા એટલે એમણે બન્ને બાજુ છટકબારી રાખેલી છે અને બંધારણની ભાષા એવી લાંબી અને ગુંચવડભરી રાખી છે કે જેથી વકીલોની એને સમજવા માટે જરૂર પડે.
સમય અને સમાજના બદલવા સાથે બંધારણમાં સુધારા કરવા પડે પણ કેટલા સુધારા? બંધારણમાં, એકસો કરતાં વઘુ સુધારા આ ૬૦ વર્ષમાં કરવામાં આવ્યા છે તો પણ બંધારણ અઘૂરું છે.
જો કે જેવું છે તેવું પણ બંધારણ આપણું છે. આપણા સૌનું છે. આપણું એ શ્રઘ્ધાકેન્દ્ર છે. એ આપણા રાષ્ટ્રનું પ્રતિક છે.
છતાં એમાં આપણા દેશની, આપણી વિશાળ જનતાની સ્વાભાવિક વિશેષતાઓને પ્રતિબિંબિત થતી નથી દેખાતી. અંગ્રેજોએ આપેલી અનિષ્ટ વાતોને અસ્વીકાર કરવાનો એમાં પ્રયાસ નથી કરાયો. ભ્રષ્ટાચારની વાવણી જેના કારણે થાય છે એવી ચૂંટણી પઘ્ધતિ એમાં રાખી છે.
બંધારણના ઘડવૈયાઓ દેશભક્ત હતા એની કોઈ ના કહી શકે તેમ નથી પરંતુ એમની વચ્ચે પણ માનવનો સ્વભાવ છે એટલે મતભેદો હતા. દા.ત. આપણો દેશ એક પ્રાચીન રાષ્ટ્ર છે એવું ઘણાંની જેમ ગાંધીજી પણ માનતા હતા. (હિંદસ્વરાજ પાનું ૪૮) પરંતુ નહેરૂ અને બીજા ત્યારે એવું નહોતા માનતા. (પાછળથી અંત સમયે નહેરૂ પણ એવું માનવા લાગેલા.) તેઓ બધા એવું માનતા હતા કે ભારત એક રાષ્ટ્ર, એક દેશ નહોતો પણ અંગ્રેજોએ એને એક દેશ બનાવ્યો.
અંગ્રેજોએ શીખવેલી રાષ્ટ્ર વિશેની આવી ભ્રામકતાનો પડઘો બંધારણમાં પણ પડ્યો છે.
- ગુણવંત છો. શાહ
આ તો તમે જાણો છો ને ?
જો કે નખ કે જીભ વિનાનું છે ‘‘વિજીલન્સ કમીશન’’ નામથી એક એજન્સી (સંસ્થા) કેન્દ્ર સરકારે વર્ષોથી બનાવેલી છે જે ખાસ કરીને ભ્રષ્ટાચારી સરકારી અમલદારો... નોકરો વગેરેને પકડવાનું કામ કરે છે. પરંતુ એ કોઈની ઉપર પગલાં લઈ શકતું નથી. પરિણામે અત્યાર સુધી વિજીલન્સ કમીશને હજારો કેસ પકડ્યા છે પણ કોઈને કશું જ થઈ શક્યું નથી અને પરિણામે ભ્રષ્ટાચાર વધતો રહ્યો છે.

વિજીલન્સ કમીશન ભ્રષ્ટાચાર પકડીને એની વિગતો જે તે રાજ્યના તે તે ખાતાને આપે છે... બસ, પતી ગયું ! જ્યાં આખું ખાતું જ ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓથી ખદબદતું હોય ત્યાં વિજિલન્સ કમીશનનું કોણ સાંભળે? એવા તો ભ્રષ્ટાચારીઓના પેટમાં ઉંદરડા ફરતા હોય છે!

આ કમીશને સરકારને ૧૨ જેટલા અમલદારો વિરૂદ્ધ નોટીસો આપવા જણાવ્યું. આવી નોટીસો એમના એમના ખાતાને આપવામાં આવે છે અને પછી ખાતાને લાગે તો આગળ કરે!

આ ૧૨ અમલદારોમાં આઈએએસ ઓફિસરો ૨ છે તથા ફોરેસ્ટ સર્વિસના ૧ છે. ૨૦૦૯માં વિઝીલન્સ કમીશને ૩૫ આઈએએસ, આઈપીએસ ૧૦ અને આઈએફએસઈને નોટીસ આપવા જણાવેલું.

પ્રતિભાવ
(૧) મહેસાણા-તારંગા-અંબાજી રેલવે
(૨) વીરમગામ - શંખેશ્વર - રાંધનપુર

ગુજરાત વિશાળ રેલવે નેટવર્ક ધરાવે છે. છતાં તેમાં ઘણી અપૂર્ણતાઓ છે. તેથી જ ‘‘નેટવર્ક’’ અને તેનો વિશાળ વાચકવર્ગ આવી અપૂર્ણતાઓ પર અનેકવાર પોતાનો અવાજ બુલંદ કરે છે. ગુજરાતની રેલવેની ટ્રેનોની જરૂરિયાતો વિષે ‘‘નેટવર્ક’’માં લેખો આવ્યા એના જે પ્રતિભાવ પડ્યા એમાં ઃ

એક વાચક મનસુખભાઈ રાવળ, (પ્રમુખ સતલાસણ તાલુકા પેસેન્જર એસોસિએશન) લખે છે કે છેક દેશી રજવાડાના સમયમાં (ઈ.સ. ૧૯૨૬માં) તારંગાથી અંબાજી સુધીની રેલવેનું આયોજન વિચારાયું હતું. પરંતુ, અનેક રજુઆતો છતાં આજ સુધી આવી રેલસેવા કાર્યરત કરવામાં આવી નથી.

મહેસાણા-તારંગા-અંબાજીની બ્રોડગેજ રેલવે સેવા આપવામાં આવે તો આ માર્ગ પર આવતાં ભારતના પ્રખ્યાત તીર્થધામોને રેલવે દ્વારા સાંકળી શકાય. તે ઉપરાંત આ વિસ્તારમાં ખાણોમાંથી નીકળતા આરસના પથ્થરો અને અન્ય ખનિજ પેદાશોને સમગ્ર ભારતમાં આસાનીથી મોકલી શકાય. પરિણામે આ વિસ્તારનો ઔદ્યોગિક વિકાસ ઝડપી બની શકે. વળી આ વિસ્તાર આદિવાસીઓનો છે. અહીં રેલવે પહોંચતા આ ગરીબ પ્રજાનો પણ આર્થિક વિકાસ શક્ય બની શકે. આ રીતે મહેસાણા-તારંગા-અંબાજી રેલવે સેવા આજની તાતી જરૂર છે.

અન્ય એક વાચક હારીજના જયેશકુમાર સચદે બંધ પડેલી હારીજ-સમી રેલવે લાઈનને ફરી શરૂ કરવાની તરફેણ કરતાં જણાવે છે કે, આ લાઈનને રાધનપુર સાથે જોડી દઈ કાર્યરત કરવામાં આવે તો એક ટૂંકા માર્ગ દ્વારા બનાસકાંઠાના અનેક પછાત વિસ્તારોના આર્થિક વિકાસ ઝડપથી કરી શકાય. પરિણામે મહેસાણા-પાલનપુર-ડીસા-રાધનપુર-સમી-હારીજને સળંગ રેલવે સેવા મળે. આ માર્ગ પર આવેલા લોટેશ્વર (પાંડવોનાં સમયનું) અને જૈનતીર્થ સંખેશ્વરની તીર્થયાત્રા ભારતના યાત્રીઓ સુગમતાપૂર્વક કરી શકે.

No comments:

Post a Comment