Pages

Saturday, May 15, 2010

માત્ર મેટ્રિક ભણેલા માણસે ભારતની આઝાદીની યોજના ઘડી

શ્રાવણની એ સવાર હતી. પરોઢનો દુર્ગ ભેદીને ઉષા ગુલાબી તેજકિરણોની લકીર તાણી રહી હતી. પક્ષીઓ પાંખો ખંખેરીને ઉડાન ભરવાની તૈયારી સાથે કલશોર કરી રહ્યાં હતાં. મધરાતે વાદળીઓ વરસીને વિખરાઇ ગઇ હતી. દિલ્હીના માર્ગો ભીના ભીના થઇને ચહલ-પહલની પ્રતીક્ષામા હતા.


Dharti-no-dhablar.gifએવે વખતે રોજિંદા ક્રમ પ્રમાણે સરદાર પટેલ બીરલાના બંગલેથી નીકળી ધીરા છતાં મક્કમ ડગ ભરતા આગળ વધી રહ્યા હતા. પગમાં આશ્રમ પટ્ટીના ચંપલ, ટૂંકી ધોતી, કૂર્તો, વિશાળ ભાલ, ધીરગંભીર મોં જેવા એક બંગલાની નજદિકથી પસાર થયા કે તરત જ એક મહાનુભાવે ઝાંપા પાસે પૂગીને અવાજ દીધો ઃ
‘‘સરદાર સાહેબ, પધારો!’’

સરદારના પગ થંભી ગયા. અવાજની દિશામાં નજર નોંધી તો બ્રિટિશ સરકારના સિવિલ અધિકારી મેનન દેખાયા. મેનન સરદારને આગ્રહ કરીને બેઠકખંડમાં લઇ ગયા. આઝાદી આવી કે આવશે એવો સમય સધાઇ ગયો હતો. અનેક આંટીધૂંટી અને અનેક અટપટા સવાલો અણઉકલ્યા ઉકળતા હતા. મેનનનું ચિત્ત ચિંતિત હતું. મન મથામણ કરતું હતું. અણધારી સરદારની મુલાકાતે મંત્રણાનો દોર સંધાઇ રહ્યો.

મેનનનું પૂરું નામ વાપુની પંગુની મેનન. અઢારસો ચોરાણુના સપ્ટેમ્બર મહિનાની ત્રીસમી તારીખે એમનો જન્મ. ઓપ્ટાપલમની માઘ્યમિક શાળામાં ભણ્યા ઇ ભણ્યા. કોલેજનું પગથિયું પણ ભાળ્યું નહિ. ઓગણીસો ચૌદના વર્ષમાં એટલે કે વીસ વર્ષની વયે સરકારમાં કારકુન તરીકે નોકરીએ રહ્યા.
થોડા વર્ષમાં ભારત સરકારના રીફોર્મ દફતરમાં સહાયક સેક્રેટરીનો હોદ્દો હાંસલ કર્યો. એ પછી ગવર્નર જનરલના ડેપ્યુટી સેક્રેટરી, કેબિનેટ સેક્રેટરીની સભાનતાપૂર્વક જવાબદારી સંભાળીને પોતાની કોઠાસૂઝ અને કાબેલિયત પુરવાર કરીને બુદ્ધિચાતુર્યના ચમકારા દેખાડી સૌને ચકિત કરનાર મેનન અને સરદાર વચ્ચે વાર્તાલાપ ભારતનું ભાવિ ઘડવામાં મહત્વપૂર્ણ બની રહેવાના પ્રથમ પગરણ મંડાયાં.

તે વખતે ભારતને આઝાદી આપવાનો નિરધાર થઇ ચૂક્યો હતો. પણ તેનું સ્વરૂપ કેવું ? એ સવાલ સળગતા અંગારાની જેમ સૌને દઝાડતો હતો. લોર્ડ વેવેલ અસહાય બની ગયા હતા. ભારતના કેટલાક પ્રદેશોમાં અરાજકતા પ્રવર્તી હતી તેથી તેમણે બ્રિટિશને જણાવી દીઘું હતું કે ભારતને આઝાદ કરી દેવું જોઇએ અથવા વ્યાપક સૈનિક કાર્યવાહી કરી હિંસાને કાબૂમાં લેવી જોઇએ.’’

દેશનેતાઓ અને લોર્ડ વેવલ વચ્ચે મોટું અંતર હતું તેને ખાળવા ને ટાળવા લોર્ડ વેવેલ મેનન દ્વારા પ્રયત્ન કરી રહ્યા હતા. કારણ કે મેનનની રાજકીય દૂરંદેશીમાં તેમને ભારે ભરોસો હતો. લોર્ડ વેવેલે વિદાય લીધી ને લોર્ડ માઉન્ટબેટન હિન્દના હાકેમ તરીકે આવ્યા. તેમણે લોર્ડ ઇસ્મે સહીત પોતાના ખાસ સલાહકારનું એક જૂથ રચી ભારતને આઝાદી આપવાની યોજના તૈયાર કરવાની જવાબદારી સોંપી તેમાં વી. પી. મેનનનો પણ સમાવેશ કર્યો. આ બેઠકમાં જે કાર્યવાહી થઇ તેમાં મેનન સંમત થઇ શક્યા નહિ. રાજીનામું આપ્યું. કારણ કે ઇસ્મે યોજનામાં ઘણા અવાસ્તવિક યોજનાઓ હતી. તેથી થનાર ગંભીર પ્રશ્નો અંગે તેમણે લોર્ડ માઉન્ટ બેટનને સમજાવવા પ્રયત્ન કર્યો પણ તેમાં મેનન નિષ્ફળ રહ્યા ને માઉન્ટબેટને લોર્ડ ઇસ્મેને લંડન મોકલ્યા ને બ્રિટીશ પ્રધાનમંડળને જણાવ્યું કે ઇસ્મેની યોજનાનો સ્વિકાર કરે.


આ બાબતની જાણ થતાં મેનને લેડી માઉન્ટ બેટનને રાજીનામું આપવાની ઇચ્છા દર્શાવી. લેડી માઉન્ટબેટને મેનનને ઉતાવળો નિર્ણય ન કરવા અને સીમલા જઇ લોર્ડને મળવા સમજાવ્યા. મેનન સિમલા પહોંચ્યા. તેના સદ્ભાગ્યે પંડિતજી પણ સિમલા હતા. ઇસ્મે યોજના મુજબના સ્વરાજ્યથી આંતરયુદ્ધ અને તેમાંથી અરાજકતા ઉભી થશે તે વાત મેનન સમજાવી શક્યા.

‘‘શું કરવું જોઇએ?’’ લોર્ડનો સવાલ મેનન સામે તોળાઇ રહ્યો. મેનને પોતાની યોજના સમજાવી. આ યોજનાના સ્વીકાર માટે સરદાર પટેલે ખાતરી આપી છે એ વાત પણ મૂકી. લોર્ડ માઉન્ટ બેટન પ્રભાવિત અને પ્રસન્ન થયા. તેમણે પંડિતજી સાથે પણ ચર્ચા કરી. તે પણ ઇસ્મે યોજના વિરૂદ્ધ હતા તેથી મેનન યોજનાનો સ્વીકાર થયો. તે જ દિવસે વી. પી. મેનને પોતાની યોજનાને અંતિમ સ્વરૂપ આપ્યું. યોજના લંડન મોકલી અપાઇ. તેના અનુસંધાને લોર્ડ માઉન્ટ બેટનને લંડન બોલાવાયા. મેનનની યોજનાનો સ્વીકાર થયો.


ઓગસ્ટની પંદરમીની અર્ધરાત્રિએ અંગ્રેજોએ ભારતને અલવિદા કરીને વિદાય લીધી ત્યારે ભારતનાં દેશી રાજ્યોને જેમના તેમ મૂકતા ગયા. તેનું ઉત્મૂલન કરવાનું કપરું કાર્ય સરદાર પટેલને શિરે આવ્યું. પારોઠના પગલા ભર્યા વગર ભડવીરે પાંચસો ને બાંસઠ નાનાં મોટા રાજ્યોને ભારતમાં ભેળવી દઇ એક અનોખી સિદ્ધિ હાંસલ કરીને જગતના ઇતિહાસમાં ન બનેલું, ન બની શકે એવું પ્રકરણ ઉમેરી દીઘું. સરદારની કુશાગ્ર બુદ્ધિ, અસાધારણ મુત્સદ્દીગીરી અને લોખંડી મનોબળનાં દુનિયાને દર્શન થયાં.
સરદારના કાર્યમાં જે માણસની તેજસ્વી બુદ્ધિ, દીર્ઘદ્રષ્ટિ, રાજકીય દૂરંદેશી, નિશ્ચલ નિષ્ઠા, અવિરત પરિશ્રમ કામ લાગ્યો તે વી. પી. મેનન હતા.

એક ઘટના ઘટી. જોધપુરના મહારાજા સાથે મેનન રાજ્યના એકીકરણના મુદ્દા અંગે મંત્રણા કરી રહ્યા હતા. મંત્રણાએ વિવાદનું રૂપ ધારણ કર્યું. મહારાજા આવેશમાં આવીને મેનનની છાતી સામે પિસ્તોલનું નાળચું ધરીને કરડી આંખ કરી ડારતા રહ્યા, બોલતા રહ્યા ત્યારે મેનનનું રૂંવાડુંય ફરકેલું નહિ. આ હતી તેની નિર્ભયતા.
દેશી રાજ્યોની કરોડોની મિલ્કતો તેના હવાલે આવેલી પણ પ્રમાણિકતા એની ડગી નહોતી.
આમ ભારતની આઝાદીના આરંભના ઇતિહાસમાં વી. પી. મેનન એક અનોખું પ્રકરણ ઉમેરી ગયા.
વિશેષ માહિતીઃ ઇ.સ. ૧૯૧૫માં તેમણે પ્રથમ લગ્ન કર્યા, ૧૯૨૧માં બીજા લગ્ન કર્યા. બે પુત્રો અને એક પુત્રીના પિતા બન્યા હતા.૧ જાન્યુઆરી, ૧૯૬૬ના દિવસે આ મહાન વિચક્ષણ વિરલ વ્યક્તિનું જબલપુરમાં નિધન થયું.

હું ગુજરાત છું...!


દોસ્ત, હું ગુજરાત છું. જેના મેળામાં રાજુડીનો ને’ડો લાગે છે એ ગુજરાત. જયાં રૂપની પૂનમ પાછળ પાગલ થઇ અફીણી આંખના ગીતો ઘોળાય છે, એ ગુજરાત. ઘોલર મરચાંના લાલ હિંગોળક રંગનું ગુજરાત. શિવતાંડવમાં પડેલા સતીના હૃદયને ગબ્બર પર સાચવીને બેઠલું ગુજરાત. ફળફળતાં ઢોકળાં જેવું નરમ અને માફાળા ગાડાની ધુંસરી જેવું નક્કર ગુજરાત.

હું સિકસર મારતી વખતે યુસુફ પઠાણના કાંડાની ફૂલી ગયેલી નસમાં રક્ત બનીને ધસમસું છું, અને પરેશ રાવલના ચહેરા પર અંકાતા રમતિયાળ સ્મિતમાં ઝગમગું છું. હું હેમુ ગઢવીના કસુંબલ કંઠનો અષાઢીલો ટહુકો છું અને કલ્યાણજીભાઇએ કલેવાયોલીન પર છેડેલી બીનની સર્પિલી તાન છું. કેડિયાની ફાટફાટ થતી કસોને તોડતો માલધારીનો ટપ્પો છું, અને દામોદર કુંડની પાળીએ ગિરનારી પરોઢના સોનેરી ઉજાસમાં કેસર ઘોળતું હું નરસિંહનું પ્રભાતિયું છું. ભારતની વાંકી રે પાઘલડીનું ફુમતું છું હું, ગુજરાત!


સમગ્ર પૃથ્વીના પટ પર માત્ર એક જ એવું હું રાજય છું, જેણે બે રાષ્ટ્રોના રાષ્ટ્રપિતાઓ સજર્યા છે. મારા કાઠિયાવાડના પોરબંદરમાંથી ભારતના મોહનદાસ કરમચંદ ગાંધી અને મોટી પાનેલીમાંથી મોહમ્મદઅલી જીન્નાહ! મારામાં જગતના ઇતિહાસને પડખું ફેરવીને પલટાવી દેવાની તાકાત છે, અને તાનસેનના દિલ્હીમાં ઉઠેલા દાહને વડનગરમાં શમાવી દેવાની અમીરાત છે.


મારામાં ધરતીની છાતી ચીરીને નકશો કંડારનારા ઇન્દુલાલ યાજ્ઞિકો વસે છે, અને નકશાઓનો એકઝાટકે આકાર બદલાવી દેનાર સરદાર પટેલ પણ શ્વસે છે. ફિલ્ડ માર્શલ જનરલ સામ માણેકશાની જીભ પર મારી ભાષા હતી, અને ભારતભરમાં ક્રિકેટનો પાયો નાખનાર જામ રણજી મારી ગોદનું ફરજંદ હતો. મારા સંતાનો વિના ભારતના ફિલ્મ ટીવી યુગનું અસ્તિત્વ નથી. મહેબુબખાનથી મનમોહન દેસાઇ, આયેશા ટાકિયાથી હિમેશ રેશમિયા સુધી ગુજરાતની અહાલેક વાગે છે.


ભારતની છાતી પર પેદા થનારાઓને મારા ખોળામાં માથું મૂકીને દેહત્યાગ કરવો ગમે છે. કાલિંદીની પાણીદાર લટો સાથે અઠખેલિયા કરતાં ભારતવર્ષના યુગપુરૂષ ગોમતીના કિનારે છબછબિયાં કરવા અહીં આવીને વસ્યા. હા, કુરૂક્ષેત્રની વચ્ચે ગીતા સંભળાવનાર યોગેશ્વર અને શરદપૂનમની રાતલડીએ ગોપીઓને નચાવનાર મુરલીધરનું હું ઘર છું. હું હસ્તિનાપુરના સિંહાસનને ઘુ્રજાવનાર સુદર્શનચક્ર છું, અને દ્વારકાધીશના સુવર્ણકળશ પર ફરફરતી બાવન ગજની ધજાનો ઠસ્સો છું. ભારતની સૌથી લાંબી પદયાત્રા કરીને હિમાલયના ઉત્તુંગ ગિરિશિખરોમાં ટટ્ટાર ઉભા રહી, રામેશ્વરમના દરિયા કિનારે ચરણ પખાળી, નીલકંઠવર્ણી સ્વામી સહજાનંદ પણ મારા હૈયે આવીને વસ્યા, મારા થઇને વિકસ્યા.


હું આખા એશિયામાં સંભળાતી ગીરના સિંહની ખુમારીભરી ડણક છું અને એવા ડાલામથ્થા સાવજની કેશવાળીમાં આંગળીઓ ફેરવનાર આપા દાના જેવા સંતોના ભજનોની ચાનક છું. હું પરબવાવડીના ફડહ રોટલાની બાજરી છું અને જલારામ વીરપુરની બુંદીનું બેસન છું. મારી વીજળીના ચમકારે ગંગાસતીએ મોતીડાં પરોવ્યા છે અને મારી બળબળતી રેતી પર શ્વાનસંગાથે પાણી લઇ દાદા મેકરણ ધુમ્યા છે. મધરાતે એકતારા પર ગુંજતા દાસી જીવણના ભજનમાં હું છું અને ભવસાગર હાલકડોલક થતી જેસલ જાડેજાની નાવડી તારવી જનાર સતી તોરલના કીર્તનમાં હું છું. મોરારિબાપુના કંઠે ગવાતી ચોપાઇ છું, અને રમેશભાઇ ઓઝાના કંઠે ગવાતા શ્રીનાથજી પણ! જમિયલશાહ દાતાર અને ગેબનશાહ પીરોની અઝાન પર ઝૂકતું મસ્તક પણ હું છું.

વ્હાલા, હું ગુજરાત છું.

મારી છાતી પર પ્રિયદર્શી અશોકના શિલાલેખ છે. પાવાગઢની ગોદમાં પડેલું યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટનું ચાંપાનેર છે. મારા કાળજડે ધમધમતું લોથલ જેવું બંદર છે, અને સંસ્કૃતિના ટીંબા નીચે અડીખમ ઉભેલું ધોળાવીરાનું નગર છે. મેં રાજા નૌસોરસ જેવા ડાયનાસોરના ઈંડાઓ સાચવ્યા છે, અને ગામેગામ ફિલ્મી શૂટિંગ થાય એવા રજવાડી મહેલો ખીલવ્યા છે. મારી ગુફાઓમાં બુદ્ધના ઓમ મણિપદ્મે હૂમનો ધીરગંભીર નાદ ગુંજે છે. મારી શેરીઓમાં નવકાર મંત્રની વૈશ્વિક પ્રાર્થનાનો સાદ ગાજે છે. મારી બર્થ સર્ટિફિકેટમાં રાજકીય ઊંમર ૫૦ની હશે, પણ મારી ઊંમર કેટલી છે એ મને ખુદને ખબર નથી.


મેં અણહિલવાડના વનરાજ ચાવડાને સિંહોની વચ્ચે ઉછરતો જોયો છે, મેં મૂળરાજ સોલંકીની તલવાર અને આશા ભીલના તીરકમાન જોયા છે. મને સિદ્ધરાજ જયસિંહે કાઢેલી મારી ભાષાના વ્યાકરણગ્રંથ ‘સિદ્ધહૈમશબ્દાનુ શાસન’ની શોભાયાત્રા માટેની હાથીની એ ભવ્ય અંબાડી અને જસમા ઓડણની ચીસ પણ ફાંસ બનીને ભોંકાઇ છે, મારા દિલમાં. અહમદશાહના ઘોડાની ટાપ પણ મેં જીરવી છે અને મોહમ્મદ બેગડાની મૂછના વાંકડા વળ પણ મેં નીરખ્યા છે.


હું ઉચ્છંગરાય ઢેબરની ગાંધીટોપીમાં બેસીને હીંચકતું બાળક હતું, અને જીવરાજ મહેતાના ખાદીના ઝભ્ભાના સળમાં ય હું લપાતું હતું. માધવસિંહ સોલંકીના સાહિત્યપ્રેમી ચશ્માની ફ્રેમ પર હું પગ લંબાવી બેઠું છું અને ચીમનભાઇ પટેલના ચળકતાં લલાટમાં મેં મારૂં પ્રતિબિંબ શોઘ્યું છે. કેશુભાઇની ફાફડા- મરચાં સાથેની ચાની અડાળીના મેં ધુંટ પીધા છે અને શંકરસિંહ બાપુની ટનાટન વાતોને બડી મુગ્ધતાથી સાંભળી છે અને હા, મારા આ ગોલ્ડન બર્થ ડે માટે જ જાણે મને નરેન્દ્ર મોદી મળ્યા છે. એમની દાઢી ને ગમ્મતથી ખેંચવી મને ગમે છે- અને એમને લીધે જ મારી આ ધમાકેદાર પાર્ટીના ગેસ્ટલિસ્ટમાં આખી દુનિયા છે. એમણે મને હવામાં ઉછાળીને ગેલની કિલકારીઓ કરાવી છે, અને સતત પહેરવા માટે નવા નવા ‘વા-વા’ આપ્યા છે.


અરે વાહ, હું ગુજરાત છું!

મારા અફાટ લાંબા સાગરકાંઠાને ખેડીને નાનજી મહેતાએ આફ્રિકા સર કર્યું છે, અને એ જ દરિયાના મોજાંની થપાટો ખાઇ ખાઇને ભારતની નંબર વન કંપની બનાવી જનાર ધીરૂભાઇ અંબાણીનો પિંડ ઘડાયો છે. અમેરિકન મેગેઝીનોમાં ચમકતાં અબજપતિ અઝીમ પ્રેમજી, તુલસી તંતી કે ગૌતમ અદાણીનું પણ હું વતન છું... અને મેં જ જતનથી નિરમા, કેડિલા, એલેમ્બિક, ટોરન્ટ, અજંતા, રસના, બાલાજી અને અફકોર્સ ટાટા જેવી બ્રાન્ડસના પારણા હીંચોળ્યા છે. સુરતના હીરાની હું પાસાદાર ચમક છું અને પાટણના પટોળાંની આભલા મઢેલી ઝમક છું. રવિશંકર રાવળ અને કનુ દેસાઈની હું રેખાઓ છું. સપ્તકના તબલાની થાપ અને કુમુદિની-મૃણાલિનીના નૃત્યના ઠેકાઓ હું છું.

હું છું સર ભગવતસિંહજીના ભગવદગોમંડલના ફરફરતા પાનાઓમાં, હું છું સયાજીરાવ ગાયકવાડના પેલેસની દીવાલો પર મલપતાં રાજા રવિવર્માના ચિત્રોમાં! હું પગથિયા ઉતરૂં છું અડાલજની વાવમાં અને પગથિયા ચડું છું અમદાવાદની ગુફાના! લખતરની છત્રી મારા તડકાને ટાઢો કરે છે અને સીદી સૈયદની જાળી એ જ તડકાથી મારી હથેળીમાં જાણે મહેંદીની ભાત મૂકે છે. હઠીસિંગની હવેલીના ટોટલે ખરતું હેરિટેજનું પીછું હું છું અને ધોરડોના સફેદ રણમાં ચૂરચૂર થઈ જતું નમકનું સ્ફટિકમય ચોસલું હું છું.


ઇડરના કોતરો સૂસવાટા મારતો પવન પણ હું છું, અને નલીયામાં ઠરીને પડતું હિમ પણ! નવસારીના દાદાભાઈ નવરોજીની પારસી અગિયારીનો આતશ પણ મારો છે, અને ગોઘૂલિટાણે સોમનાથના શિવાલયમાં ઘંટારવ સાથે થતી આરતીની અગ્નિશિખા પણ મારી છે. મહાલના જંગલોમાં પાણીમાં ઠેકડાં મારતા આદિવાસી બાળકો મારા ધાવણથી ઉછરે છે, અને લાલ લાલ સનેડો ગાઈને ચ્યોં ચ્યોં જતા છોરા-છોરીઓ ય મારા ગાલે બચ્ચી ભરે છે.


ગોંડલના ફાફડા-ભજીયાના ટેસડા મારી જીભમાંથી ઝરે છે અને સુરતની રતાળુની પુરી ખાવાથી પડતો શોષ પણ મારા ગળે પાંગરે છે. હળવદના ચૂરમામાં રેડાતી ઘીની લચપચતી ધાર છું હું, વડોદરાની ભાખરવડી ખાધા પછીનો સીસકાર છું હું. ભાવનગરી ગાંઠિયામાં મરીનો દાણો હું છું, અને રાજકોટના સંચાના આઈસ્ક્રીમ પર મુકાયેલો ચેરીનો બોલ પણ હું જ છું. મેં જેટલા રસથી એકલવીર જોધા માણેક, દાના દુશ્મન જોગીદાસ ખુમાણની બહારવટાની શૌર્યકથાઓના ધૂંટડા ભર્યા છે, એટલા જ રસથી વલસાડની હાફૂસ અને જૂનાગઢની કેસરના અમૃતરસના પણ ધૂંટડા ગટગટાવ્યા છે. મારી થાળીમાં ષટરસ છે, મારા હોઠ પર પાનથી લાલ થયેલ તંબોળરસની લાલિમા છે, અને મારા ગલોફામાં ઝેરી ગૂટકાના ચાંદાની કાલિમા પણ છે.


મારે ત્યાં સ્વયમ નટરાજના અર્ધાંગિની પાર્વતીએ પૌરૂષના રૌદ્રરસ સામે પ્રકૃતિના લાસ્યરસ સમું શીખેલું નૃત્ય, અનિરૂઘ્ધના પ્રેમમાં પડી કૃષ્ણના ઘેર સાસરે આવનાર કૈલાસશિષ્યા ઉષાએ રાસના સ્વરૂપમાં રોપ્યું છે. મોઢેરાના સૂર્યમંદિરના મૈથુનશિલ્પોમાં ઉપસતા ઉન્નત ઉરોજની પુષ્ટ ગોળાઈ પર લપસતી નજર છું હું! અને રાણકી વાવની શિલ્પાંગના તણા નિતંબે સરકતો કંદોરો છું હું! મારા હોંઠો પર વલસાડ પાસે જન્મેલા કામસૂત્રના ઋષિ વાત્સ્યાયને વર્ણવેલા ચુંબનની ભીનાશ હજુય તરવરે છે.


હું બ્રહ્મચારી યોગાચાર્યોની સનકમાં પણ છું, અને વિશ્વના સૌથી લાંબા નૃત્યોત્સવ નવરાત્રિમાં હિલ્લોળ લેતી નવયૌવનાઓના સુંવાળી ત્વચા પર ઠુમકતી ઝાંઝરની ખનકમાં પણ છું! હું ભેંકાર રડીને લોહીના આંસુએ અગનવર્ષા કરતા માંગડાવાળાની અઘુરી પ્રીત છું. હું શેણી માટે એક હજાર નવચંદરી ભેંસો એકઠી કરવા ગયેલા વીજાણંદના રાવણહથ્થા પર પીગળતું ગીત છું. ઓઢા અને હોથલનું આલિંગન છું હું, અને ખેમરો લોડણનું આકર્ષણ છું હું! મેં તાંબાવરણી છાતી કાઢીને બરડા જેવા ડુંગર ધમરોળતા મેર-આહીર જુવાનોની રૂંવાડે રૂંવાડે છલકતી મર્દાનગી જોઈ છે અને મારા ડેનિમ થકી જ ભારતભરની યુવતીઓની લચકતી ચાલ પર વીંટળાતી બ્લ્યુ જીન્સની સિડક્ટિવ કાંચળી જોઈ છે. ભૂ્રણ હત્યાથી માત્ર દીકરી હોવાને લીધે ઘોંટાઈ જતા જીવનની ધૂટનનો મૌન ચિત્કાર પણ હું છું.

ડાર્લંિગ, હું ગુજરાત છું!

સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની મશાલમાંથી અંગારા લઈને અમેરિકા અજવાળનાર અને બિગ બેન ટાવરના ડંકા તળે ડંકો વગાડનાર એન.આર.જી. છું હું. વાયબ્રન્ટ મકરસંક્રાંતિના પતંગ ચગાવવા કરતા કાપવાનો વઘુ શોક રાખનાર કાચપાયેલો માંજો છું હું. હું હજાર નંગ પુસ્તક નથી જીરવી શકતું પણ રોજ અડધો કરોડ અખબારી નકલો પચાવી જાવ છું! કણબીનું હળ છું, કસબીની હથોડી છું. હું હોળીની પીળી ઝાળ છું અને દીવાળીની સતરંગી રંગોળી છું. હું નર્મદના ડાંડિયે પીટાયેલા મારા આકારનો પોકાર છું. હું કાકાસાહેબ કાલેલકર અને ફાધર વાલેસનું સાસરિયું છું. હું મુનશીની અસ્મિતા છું અને મેઘાણીની રસધાર છું.

હું જુમા ભિસ્તીના દેહ પર વળેલો પરસેવો છું. દીકરીના કાગળની વાટ જોતા કોચમેન અલી ડોસાની આંખે નેજવું કરતી કરચલિયાળી હથેળી છું. પંગુ મંગુની અમરતકાકી માટે ઉઠતી ચીસ મેં સાંભળી છે. સંતુ રંગીલીની તળપદી ગાળો ય મારા કાને ઉઠી છે. કાળુ અને રાજુની આંગળી ઝાલીને મેં છપ્પનિયો ભોગવ્યો છે. સરસ્વતીચંદ્રની કુમુદસુંદરીનો ઘરસંસાર ડોકિયાં તાણીને જોયો છે. જાણી જાણીને ઝેર પીધાં પછી યે મેં અમૃતાનું આચમન કર્યું છે. પ્રોફેસર કોનારક શાહ ક્યાંક લીલા અંધકારમાં જટાયુ બની મારા અક્ષરદેહ ફરતે ચકરાવો લે છે. ઉપનિષદના અસ્તિત્વનો ઉત્સવ ક્યાંક રાતદિવસના રસ્તે પ્રેમ કરતા વ્હાલમની જેમ મને જડી જાય છે. મારા ખભે શિયાળાની સવારનો તડકો કૂદાકૂદ કરે છે. હું ધરતીની આરતી ઉતારૂં છું. હું સત્યના પ્રયોગોનો ચરખો છું, અને માણસાઇના દીવાનો તણખો છું. ક્ષિતિજ અને કુમારના પીળા પડી ગયેલા પાનાઓને કોરી ખાતી ઉધઈ પણ હું જ છું.


મિયાં ફૂસકીની ટોપી અને ગલબા શિયાળની જામફળની ટોપલી યે મારી જ હતી. બકોર પટેલના હાથ પર પડતી વાઘજીભાઈની હું તાળી છું. મેં અનુભવી છે પીળા રૂમાલની ગાંઠની ભીંસ, સેના બારનિશની ચુસ્ત છાતીએ સંપુટ આપનારી મારી હથેળીના સળ ઉઠેલા છે. નૌતમલાલની ચાંદીની મૂઠવાળી લાકડીની ઠક ઠક મને હજુ સંભળાય છે. છ અક્ષરના નામમાંથી ઉઠેલો ત્રણ અક્ષરના નામનો સોનલવરણો પોકાર મારા કાળજે ત્રોફાય છે. મોબાઈલની કોલર ટયુનમાં નયનને બંધ રાખીને ગઝલ સંભળાય ત્યાં હું રણકું છું. પન્નાભાભી જાય છે, પણ આભડછેટ જતી નથી એ વિચારે હું ઝબકું છું. ઉપેન્દ્ર ત્રિવેદી-રમેશ મહેતાનો લહેકો પણ હું છું અને કાંતિ મડિયા- સિઘ્ધાર્થ રાદેરિયાનો રંગીલો ચટકો પણ હું છું. હું તોફાની ટપુડો છું, હું તુલસી વિરાણી છું, મારે ત્યાં કંકુ ખરે ને સૂરજ ઉગે છે, અને મારી આંખે કંકુના સૂરજ આથમે છે.

હા, હું ગુજરાત છું.

મારો બર્થ ડે છે, છતાં ય મને કેમ કોઈ ગંદકીથી દૂર નિર્મળ રાખતા નથી? કેમ મારા આખા ય શરીરની નસેનસમાં પડી ગયેલા ખાડા પુરાતા નથી? હજુ ય હું ફફડું છું કે કોઈ લુખ્ખો મવાલી દાદાગીરીથી મારી કેક પરથી મીણબત્તીઓ ચોરી જશે અને પોલીસ એફઆઈઆર પણ નહીં નોંધે તો? આટઆટલી રમણીયતા પછી શું મારે રમખાણોથી જ ઓળખાવાનું છે? ચકલીને ય ન સાચવી શકનાર મારા ગુજરાતીઓ મને સાચવશે? કે પછી ગૌમાતાની વંદના કરી ગાયનું દૂધ જ ન પીવા જેવો દંભ કરશે? ક્યાં સુધી મારા ગૌરવને બદલે જ્ઞાતિના ગર્વ જ સાંભળી મારે માથું દુખાડવું પડશે? ક્યારે હું અંકિત ફડિયા કે ગીત શેઠી પરફોર્મન્સથી ઓળખાઈશ અને માત્ર એમના બેન્ક બેલેન્સથી નહિ? ક્યારે મારી આંખો ઠારનાર ઉડતા પતંગિયા જેવા મારા ખરા સ્વર્ણિમ ભવિષ્ય જેવા યુવક યુવતીઓને પ્રેમ કરવા, આનંદ કરવા, સત્ય શોધવા માટે મોકળું મેદાન અને અનંત આકાશ મળશે?


રિમેમ્બર, હું એડજસ્ટેબલ છું, ફ્લેક્સીબલ છું અને એટલે જ મોડર્ન એન્ડ પ્રોગ્રેસિવ છું. વેપાર મારી આવડત છે, નબળાઈ નથી. જવાહરલાલથી જીન્નાહના વેવાઈઓ મારી ભાષા બોલ્યા છે. મેં દેશને પહેલા બિનકોંગ્રેસી વડાપ્રધાન મોરારજીભાઈ આપ્યા છે. અને આખી દુનિયામાં, આખા દેશમાં જ્યારે કોઈ પણ રિઝર્વ બેન્કની નોટને હાથમાં પકડશે...

...ત્યારે એને એના પર એક ગુજરાતીનું બોખું સ્મિત જોવા મળશે. અત્યાર સુધીમાં મેં પેદા કરેલા સર્વશ્રેષ્ઠ ગુજરાતીનું!

જ્યાં હું છું, ત્યાં સદાકાળ ઉત્સવ છે,હું નર્મદા તીરે વિસ્તરેલો કબીરવડ છું. હું બોસ છું.

બાપુ, હું ગુજરાત છું.
ફાસ્ટ ફોરવર્ડ
અર્બુદ (આબુ) અરબ સમુદ્ર વચાળે
ધરતીના આ આઉ દૂધાળે
આવી વળગી હર્ષ ઉછાળે
ઉત્તર પશ્ચિમ દક્ષિણ પૂર્વથી
વિધવિધ પ્રજા સુહાસી
હું ગુર્જર ભારતવાસી...
ઝંખે પલપલ સહુજન મંગળ
મન મારૂં ઉલ્લાસી...
(ઉમાશંકર જોશી)

‘બહાદર, તું ગુજરાતનો આદર !’

નલિનીના નીરમાં આળોટીને ઊઠેલા પવનના તોરા છૂટી રહ્યા છે. કોમળ કૂંપળે રતુંબડો રંગ ધારણ કરેલી આમ્રઘટાઓ વિંઝણો ઢોળી રહી છે. સુવાસની મહેંકથી મલકતાં ફૂલ છોડ પર ડોલી રહ્યાં છે. વસંતનો આવો અસબાબ ઓઢીને પાટણ પ્રગાઢ નિંદ્રામાં પોઢી ગયું છે.


dharti-no-dhabkar.gif એવે વખતે પાટણના પાદરમાં વડોદરા રાજ્યના બે ઘોડેસ્વાર સિપાઈઓ આવી પૂગ્યા. ઉભી બજાર વિંધીને બહાદુરસિંહ બારોટના તોતિંગ દરવાજાના કડા માથે જોરાવર ભુજાનો પંજો પછાડી સાદ દીધોઃ ‘‘બારોટજી...એ....બારોટજી ! ડેલી ઉઘાડો.’’ ભરનિંદરમાં પોઢેલા બારોટ રંગત ઢોલીએથી કાયા સંકોરી ઉઠ્યા. પડખે પડેલી શીરોહી તેગ બગલમાં દબાવી ઓસરીનાં પગથિયાં ઉતરી ફળિયું વળોટી ડેલાની ગળકબારીનો ભોગળ હડસેલી વેણ વદ્યા ઃ

‘‘કોણ ભા, અહુર ટાણે ?’’

સામો ઉત્તર મળ્યો ‘‘અમે વડોદરા રાજના સિપાઈ.’’
‘‘કેમ ભા, અધરાત્યે.?’’
‘‘મા’રાજનું તેડું છે. તમને દેખત પગલે તેડી લાવવાનું અમને કેણ છે.’’
‘‘રાજને મારૂં તે એવું શું કામ પડ્યું ?’’

‘‘એની તો અમને કાંઈ ખબર નથી, પણ તમને ભેળા લઈને પાછા વળી જવાનો હુકમ છે.’’ એટલું બોલીને સિપાઈઓ મૂંગા થઈ ગયા.
‘‘ભલે !’’ ગાયકવાડ સરકારનું ફરમાન કબૂલ કરીને બહાદુરસિંહ બારોટે ફરજામાં બાંધેલી ઘોડીની સરક છોડી માથે કાઠું મૂક્યું. સામાન માંડી, રાંગ વાળી વડોદરાને પંથે પડ્યો.

પાણીપંથી ઘોડી અધરાતનાં અંધારાં ભેદીને પોતાના અસવારના ઇશારે પંખિણીની જેમ ઉડી રહી છે. ભગવાન શિવની જટાજૂટના બંધમાંથી વહેતી જાહન્વીની ધારા જેમ પલ્લો કાપી રહી છે. લગોલગ રાજના બે સિપાઈઓ અશ્વોના ડાબા દેવરાવી રહ્યા છે. તે’દિ પાટણના પટાધર બહાદુરસિંહ બારોટની પંથકમાં હાંક ડાક વાગતી હતી. તેની તેગના તેજ તણખે ભલભલાના હાજા ગગડી જતા હતા. બારોટજીનો પડ્યો બોલ ઝિલાતો હતો. આંગણે હામ, દામ, ડામનો ત્રગડ રચાઈ ગયો હતો.

વાત એમ બની હતી કે ગાયકવાડી સત્તા સામે કાંકરેજ અને ચુંવાળના સિમાડા સળગી ઉઠ્યા હતા. મેવાસીઓ મેદાને પડ્યા હતા. દિવસે રાજની રૈયત લૂંટાતી હતી. ધરતી ધમરોળાતી હતી. પ્રજાના જીવ જાણે કે પડીકે બંધાયા હતા. રાજની ઘીસત ફોગટ ફેરો ખાઈને ધોયેલ મૂળાની જેમ પાછી ફરતી હતી. રૈયતની રાવ ઊભી ને ઊભી રે’તી હતી. વડોદરાનો મહારાજ સયાજીરાવ મૂંઝાઈને બેઠો હતો. કોઈ મારગ મળતો નહોતો. એમાં એક દિ’ કોઈએ કાને વાત નાખી કે, ‘‘પાટણના બારોટજીને હાથમાં લ્યો. બાકી કાંકરેજ સામે કોઈની કારી નહીં ફાવે.’’ મહારાજને વાત શીરાના કોળિયાની જેમ ગળે ઊતરી ગઈ. બારોટને તાકીદનું તેડું મોકલ્યું.

પાટણથી છૂટેલા ઘોડા લાંબો પંથ કાપીને એકદિ પરોઢને પીતા વડોદરાના પાદરમાં પૂગ્યા ને ઘડીસાપડીમાં તો લાલ મણિના કુંડળ જેવી કાંતિમાન કામિનીના કપાળ પર તણાયેલ તિલક જેવી ઉષાની આભા ઉઘડી ગઈ. મહારાજ સયાજીરાવ કચેરીમાં આવીને બેઠા છે. કાગડોળે બારોટજીની વાટ જોવાઈ રહી છે. એને મન કાંકરેજનો ખટકો મોટો છે.
મે’તા મસુદિઓ મૂંગા થઈને બેઠા છે, ચોપદારો છડી પોકારીને ચૂપ થઈ ખડે પગે છે, ચાકરો સેના ખાસ ખેલ જંગે બહાદુર મહારાજાને ચામર ઢોળી રહ્યા છે. બારોટજીએ કટકટ કચેરીના પગથિયે ડગ દીધા. બારોટજી કચેરીનો ઊંબર વળોટે એ પહેલાં મહારાજા આદર દેતા બોલ્યા.
‘‘આવો આવો બારોટજી ! તમારી જ વાટ જોવાય છે.’’

‘હુકમ મહારાજ !’
બેઠક લેતા પહેલાં જ બહાદુરસિંહે આજ્ઞા માગી. કારભારીએ બારોટજીને બેઠક દીધી. મહારાજ વેણ વદ્યાઃ
‘‘બારોટજી, તમે રાજની રૈયત છો. રાજને તમારી તાતી જરૂર પડી છે.’’
‘‘માથું માંગો. આ માથાના આપ માલિક છો !’’ મહારાજાએ વાતનો દોર સાંઘ્યો ઃ
‘‘કાંકરેજ અને ચુંવાળના બળવાખોરો પ્રજાને પીડે છે. એને ઝબ્બે અને જેર કરવાનું કામ રાજ તમને સોંપે છે !’’
‘‘ભલે મહારાજ ! કાંકરેજના કણ હું કાઢી નાખીશ. તમતમારે સવામણની તળાઈમાં નિરાંતની નિંદરૂ તાણો.’’

વડોદરા રાજના ધણીને ધરપત આપીને બારોટ વળી નીકળ્યા. બુદ્ધિ, બહાદુરી અને બાવડાના બળનો જેના જીવતરમાં સંગમ સર્જાઈ ગયો છે એવા બહાદુરસિંહજીએ એક’દિ રાધનપુરના નવાબ સાથે બેઠક કરી. બળકટ બાનીના બારોટજીએ નવાબને ભેળા ભેળવી બળવાખોરો સામે સાણસાવ્યૂહ ગોઠવી દીધો. રાજની સામે પડેલાને ભીડવતો ગયો ને ભાંગતો ગયો. હાંકલાપડકારે ધરણીને ગજવતો મેવાસ માથે ખાબક્યો. થોડા દિ’માં તો સૌને ભેં કરી દીધા કેટલાંકને ઝબ્બે કર્યા. કેટલાંકને વડોદરા રાજના સિમાડા છંડવી દીધા. સામા થયા એના ભોડા રેડવી દીધા. રિબાતી રૈયત અને પીડાતી પ્રજામાં પ્રાણ પુરાયા ! બહાદુરસિંહજીને લોકેબિરૂદ મળ્યું.

‘‘બહાદર, તું ગુજરાતનો આદર.’’

બહાદુરસિંહજી બારોટની બુદ્ધિ અને બહાદુરીની કદર કરી તેમને વડોદરા રાજ્યના સલાહકાર નીમ્યા. બે ગામ ઇનામમાં આપ્યાં. સાથે છત્રી, છડી, મશાલ, ડંકાનાં નિશાન સાથે માનથી શોભાવ્યા હતા. બહાદુરસિંહજી જેમ જેમ આવક વધતી ગઈ એમ દિલાવરીના દરવાજા ઉઘાડા મૂકતા રહેતા હતાં.

આખરે અવસ્થાએ ઘેર્યા. પોતાની હવેલીમાં અંતિમ શ્વાસ લીધો ત્યારે પાટણની પ્રજા પોહ પોહ આંસુડે રડતી હવેલીના ચોકમાં એકઠી થઈને ઊભી હતી. એની અરથી ઉઠી એ વખતે ફરજામાં બાંધેલી ઘોડીએ હાવળ નાખી ખીલો ઉખેડી નાખોરાં ફૂલાવી ચોકમાં આવી અરથીમાં સૂતેલા બારોટજીના પગ ચાટ્યા. કોઈ બોલ્યું ઃ

‘‘ઘોડીને પકડીને ખીલે બાંધો.’’

બેત્રણ જણે સરક પકડી પણ ચારેય પગ સંકેલી ડેલા બારી નીકળી ગઈ. જણ પાછળ પડ્યા પણ ઘોડી કુંડાળે પડી કોઈને છબવા દેતી નથી.
અંતિમ યાત્રા નીકળી. ઘોડી પાછળ પૂગી. કોઈએ ઘોડીને બુચકારી, કોઈએ સરક પકડી પણ કોઈ ફાવ્યું નહિ. અગ્નિ પ્રગટ્યો ને ઘોડીએ માથું પછાડી પોતાના પ્રાણ છોડ્યા.
નોંધ ઃ આ ઘોડીની સમાધિ પાટણમાં છે. આ બળિયા અને બહાદુર બારોટજીએ પાટણનગરને પાંચ વખત જમાડી તૃપ્ત કર્યું હતું.

વિષ્ણુયાગ નામનો મહાયજ્ઞ પણ કર્યો હતો. પોતાની હવેલીમાં સદાવ્રત પણ શરૂ કર્યું હતું. ભોજન સ્વીકાર્ય ન હોય તેને સીઘુ ભરી અપાતુ હતું.
પાણીની સગવડ માટે પાંચ આરાની વાવ ગળાવી બંધાવી હતી, જેનું લોકાર્પણ ૧૮૬૮ના આસો સુદ ૧૦ના ગુરુવારના રોજ આનંદરાવ મહારાજના હસ્તે થયું હતું.

Do You Know This ?

  • કોઈપણ આંકડો લો, એને બે વડે ગુણો, એમાં ૧૦ ઉમેરો અને બે વડે ભાંગો તથા એમાંથી મૂળ રકમ બાદ કરો એટલે હંમેશા ૫ જ આવશે.

  • દુનિયામાં ભારત જ એક દેશ એવો છે કે જેણે હિંસા કર્યા વિના આઝાદી મેળવી હોય.

  • છોડને ઠંડુ પાણી પીવરાવવાના બદલે હુંફાળું પાણી પીવરાવ્યું હોય તો એ ઝડપથી અને વઘુ ઉગે છે.

  • આપણા સૂર્ય મંડળમાં બધા ગ્રહોમાં વધારેમાં વધારે ગરમ ગ્રહ મંગળ કે ગુરૂ કે શનિ નથી પણ શુક્ર છે. એની સપાટી ઉપરની ગરમી ૪૫૦ ડીગ્રી સેલસીયસ છે.

  • ચન્દ્ર ઉપર ગયેલા માનવીના પગલાં અને ત્યાં ચાલેલા ચંદ્રાયનના પૈંડાની છાપ ચન્દ્રની સપાટી ઉપર કાયમની કાયમ જ રહેશે કારણકે ચન્દ્ર ઉપર પવન થી એટલે એને ભૂસી શકાય તેમ નથી.

Wednesday, May 12, 2010

ચીન સામે કડક ભાષામાં વાત નહીં કરવાની આપણી નીતિ આપણી નબળાઈમાં ખપે છે!

ભારતનો કોળીયો કરવાની ચીનની ચાલબાજી

ચીન બ્રહ્મપુત્ર નદી ઉપર બંધ બાંધે છે એનો વિરોધ આપણે ૨૦૦૬થી કરતા આવ્યા છીએ
અને છેવટે ૨૦૦૯માં ફેબુ્રઆરીમાં એ બંધના સેટેલાઈટથી લીધેલા ફોટા
આપણા અખબારોએ પ્રગટ કર્યા પછી ચીન કબુલ થયું!


આપણા મૌનને ચીન આપણી નબળાઈ સમજે છે


મીડીયામાં ચીનની દાદાગીરીના અહેવાલો આવે તો આપણી સરકાર આપણને જ ઠપકો આપે છે!
તિબેટમાંથી નીકળીને ભારત અને બંગલાદેશમાં થઈ વહીને હિંદ મહાસાગરને મળતી આપણા પૂર્વભારતના છ રાજ્યોને જીવાડતી બ્રહ્મપુત્ર નદી આપણા માટે ગંગા, યમુના, નર્મદા, તાપી, મહી, ગોમતી, ગોદાવરી વગેરે સેંકડો નદીઓ જેવી જ મહત્ત્વની નદી છે.

કુલ એટલે મૂળથી તે મુખ સુધી એની લંબાઈ ૨૯૦૬ કી.મી. છે. જેમાંના ૧૬૨૫ કી.મી.એ તિબેટ એટલે અત્યારે એ ચીનના કબજામાં છે.


4n1.gifએટલે ચીનના પ્રદેશમાંથી પસાર થાય છે અને આપણા દેશમાંથી તો ૯૧૮ કી.મી. જ પસાર થાય છે. એને તિબેટ (એટલે હવે ચીન) સાન્ગપો નામ આપેલું છે પણ આપણે ભારતીય સંસ્કૃતિ ક્યાં સુધી વિસ્તરેલી હતી એ દર્શાવતું સૂચક નામ બ્રહ્મપુત્ર આપ્યું છે.

આંતરરાષ્ટ્રીય નિયમોને નેવે મૂકીને ચીને એ બ્રહ્મપુત્ર નદી ઉપર બંધ બાંધવાનું શરૂ કરેલું એની તૈયારી ૨૦૦૬ની સાલથી શરૂ થયેલી અને આપણી સરકારે એનો વિરોધ ત્યારથી કરેલો પરંતુ ‘ગિલ્ટી કોન્શીયસ’ (ગુનાઈત માનસ, પેટમાં પાપ, બદઈરાદો) ચીન હતું એટલે એણે ‘એવું કંઈ છે જ નહીં,’ ‘બંધ બાંધતા નથી’ જેવું કહીને આપણને ખોટા પાડવાનું ચાલુ રાખેલું. જેને આપણી ડરપોક અમલદારશાહીની સલાહ માનીને આપણી સરકારે સાચું માનીને મૌન ધારણ રાખેલું.


પરંતુ આપણી અખબારી દુનિયા, મીડિયા સામ્રાજ્ય એવી ખોટી પીછેહઠ કરનારું નથી. આપણા વિદેશ ખાતાના અમલદારોએ ચીનના એ જૂઠાણાને માનીને ઓક્ટોબર, ૨૦૦૯ના ૧૫ તારીખે જાહેર કરેલું કે, ‘ચીન અને ભારત વચ્ચેની એકબીજાની સરહદમાંથી વહેતા નદીઓના પાણીના પ્રશ્નનો ઉકેલ લાવવા નિષ્ણાતોની મંત્રણા રાખવાની બાબતમાં ચીન અને ભારત ૨૦૦૬ના નવેમ્બરમાં સહમત થયા હતા.

એ પછી એની ચર્ચા કરવા ત્રણ બેઠકો થઈ હતી. એમાં ચીને એવો દાવો કર્યો હતો કે... બ્રહ્મપુત્રાના પાણી ઉપર અંકુશ આવે એવો કોઈ મોટો પ્રોજેક્ટ (યોજના) ચીનની નથી.’


૨૦૦૬માં અખબારોએ પહેલીવાર આ બંધની ચીનની યોજનાના સમાચારો છાપ્યા પછી આપણી સરકાર જાગેલી અને ચીનને પૂછતા ચીને પેલો ગોળગોળ જવાબ આપેલો એટલે આપણી સરકારની નીતિ રહી છે એમ ચીન સામે ચૂપ થઈ ગયેલી.


પરંતુ આપણા અખબારો ચીનનું જૂઠાણું ચલાવી લે એવા નથી. બ્રહ્મપુત્ર નદી ઉપર ચીન બંધ બાંધી રહ્યું છે એ દર્શાવતા સેટેલાઈટથી પાડેલા ફોટા આપણા અખબારોએ પહેલા પાને પ્રગટ કર્યા.


આપણા દેશના પૂર્વના રાજ્યો માટે બ્રહ્મપુત્રનું પાણી જીવાદોરી સમાન છે. ચીન એની ઉપર બંધ બાંધીને નદીનું પાણી બીજી દિશામાં વાળે તો પૂર્વના આપણા રાજ્યો મુસીબતમાં આવી જાય.


જો કે આપણા વડાપ્રધાન મનમોહનસિંહે ૨૦૦૮માં આ અંગે બેજીંગમાં ચીનના વડાપ્રધાન હુ જીનતાઓ સાથે લંબાણથી ચર્ચાઓ કરી હતી. પરંતુ ચીન એમ આપણું માનીને (વિરોધ) બંધનું કામકાજ બંધ કરી દે તેમ તો હતું જ નહીં. ઉલટાનું ચીને બ્રહ્મપુત્ર ઉપર બંધ બાંધવાનું ઝડપી બનાવ્યું. ગેઝ હોઉબા કોર્પોરેશન નામની ચીનની એન્જીનીયરીંગ અને બાંધકામની મોટામાં મોટી કંપની છે એને બ્રહ્મપુત્ર નદીના મઘ્યમાં ઝાન્ગમુમાં હાઈડ્રો પાવર પ્લાન્ટ બાંધવા માટે ૧.૧૪ બિલિયન યુઆનનો કોન્ટ્રાક્ટ ૨૦૦૯ની એપ્રિલમાં આપી પણ દીધો.


ચીન બનાવટ કરતા કહે છે કે આ પ્લાન્ટ ‘નાનો’ છે પણ હકીકતમાં આ પ્લાન્ટ એવો મોટો છે કે એને ચીન જેવું ચીન પણ ૨૦૧૫ના ડિસેમ્બર પહેલાં પૂરો નહીં કરી શકે.


આ ઉપરાંત બ્રહ્મપુત્ર નદી ઉપર બીજા ચાર બંધ જીઆચા, ઝોન્ગડા, લેન્ગડા, જીએક્સુ અને લાન્ગશામાં બાંધવાની ચીનની યોજના છે.


બ્રહ્મપુત્ર ઉપર તિબેટમાં જે વિશાળ બંધ ચીન બાંધી રહ્યું છે એનો વિરોધ તિબેટવતનીઓએ કરેલો તો એમની ઉપર ચાઈનીઝ પબ્લીક સિક્યોરીટી બ્યુરો અને પીપલ્સ આર્મડ પોલિસે ગોળીબાર કરેલો જેના કારણે છ મહિલાઓ મરી ગઈ હતી.


આથી તો, લોકસભામાં ભાજપના સભ્ય કુમાર દીપક દાસે જણાવેલું કે, ‘એ ડેમ ૪૫૦ મેગાવોટ હાઈડ્રો ઈલેકટ્રીક પ્રોજેક્ટ છે જેને ચીન ‘નાનો’ પ્રોજેક્ટ કહે છે એમ ‘નાનો’ કહી શકાય નહીં.’


જેના જવાબમાં આપણા વિદેશપ્રધાને કહેલું કે... ‘આ મુદ્દાની ચર્ચા કરવા માટે નિષ્ણાતોની મીટીંગો કરવામાં આવે છે.’


જો કે ચીને ખાતરી આપી હોવા છતાં આપણી સરકાર હવે ચીન ઉપર વિશ્વાસ નથી રાખતી એટલે નદી ઉપર નજર રાખી રહી છે. (આપણા વિદેશખાતાના મહાસચિવ અગાઉ ચીનમાં એલચી તરીકે રહી ચુકેલા છે... એ ઘ્યાનમાં રાખવાનું છે.) ૨૦૧૦ના શરૂઆતના મહિનામાં બ્રહ્મપુત્ર નદીના કાંઠાના દેશોના ૨૫ નિષ્ણાતોની મીટીંગ ઢાકામાં થઈ હતી.


૧૯૯૭માં યુનોએ સરહદ ઓળંગતા પાણી વિશે કરાર પણ થયેલા છે છતાં ઢાકાની ૨૦૧૦ની પેલી મીટીંગમાં કોઈપણ દેશે (એટલે બાંગલાદેશ, ભારત, બ્રહ્મદેશ-બર્મા-મ્યામાર) ચીનના ડેમનો વિરોધ નહીં કરેલો.


૨૨ એપ્રિલે રાજ્યસભામાં (સંસદ) ભાજપના સભ્ય રવિશંકર પ્રસાદને જવાબ આપવા વિદેશપ્રધાન એસ.એમ. કૃષ્ણાએ કબુલ્યું હતું કે બ્રહ્મપુત્ર નદી ઉપર ચીન બંધ બાંધે છે એ સાચું પણ પડોશી દેશે (જોયું? ચીનનું નામ પણ લેતા આપણા વિદેશપ્રધાન ડરે છે... આવા પ્રધાન હોય ત્યાં ચીન દાદાગીરી કરે જ ને? શા માટે ન કરે?) આપણને આશ્વાસન આપ્યું છે કે, ‘‘આ બાંધકામથી ભારતમાં આ નદીના વહેણ ઉપર કશી અસર નહીં પડે.’’ (ચીન અથવા બીજો કોઈ ગુનેગાર હોય એ એમ જ જવાબ આપેને? એ કે કોઈ ગુનેગાર શું એમ કહે કે... હા, ભારતને અસર પડશે? અથવા હા, મેં ખૂન કર્યું છે? કે મેં ચોરી કરી છે?) (આવા આશ્વાસનોથી આપણે સંતોષ માનીને ચૂપ રહેવું ન જોઈએ.. સામો જવાબ આપવો જોઈએ.


ચીન આપણા કરતાં ઘણું વધારે તાકાતવાન છે... કદાચ દુનિયામાં અમેરિકાને હંફાવવાની ચીનની તાકાત છે પણ એથી આપણે ડરી જવાનું ન હોય.)


આપણા વિદેશપ્રધાને વઘુમાં સંસદમાં કહેલું કે, તિબેટના જાંગમ્ જિલ્લામાં બ્રહ્મપુત્ર નદી ઉપર ચીન બંધ બાંધી રહ્યું છે.


ચીનના વિદેશપ્રધાને ભારતને આશ્વાસન પણ આપ્યું છે કે એના કારણે ભારતમાં આ નદીના પ્રવાહ ઉપર કોઈ અસર પડવા દેવાશે નહીં.


સંસદમાં એ પછી રવિશંકર પ્રસાદે આ બાબતમાં સંસદમાં ચર્ચા કરવાની માંગણી કરેલી પણ રાજ્યસભાના પ્રમુખ હામિદ અન્સારીએ એની મંજુરી નહીં આપેલી.


એક બીજા પ્રશ્નના જવાબમાં વિદેશ પ્રધાન કૃષ્ણાએ કહ્યું કે... ચીન અને ભારત વચ્ચેના પ્રશ્નોનો ઉકેલ લાવવા અત્યાર સુધીમાં ૧૩ બેઠક થઈ ગઇ પણ હજી વાત (પ્રશ્નો) ત્યાં ને ત્યાં અટકેલા છે.


ખરી વાત એવી છે કે, ચીન હોય કે પાકિસ્તાન હોય કે અમેરિકા હોય પણ આપણને પેલી ૬૦૦ વર્ષની ગુલામીના કારણે દબાતા રહેવાની ટેવ પડી ગઈ છે. સરદાર વલ્લભભાઈ પટેલ અને ઇંદિરા ગાંધી સિવાયના જે સત્તાધિશો આઝાદી પછી આવ્યા એ બધા જ પેલી દબાતા રહેવાની ટેવના ભોગ બનેલા જ હતા.


ચીન સામે આપણી અત્યારની સરકારે બે જ વખત ખોંખારીને બોલેલું. એક તો, અરૂણાચલ પ્રદેશના પ્રવાસે આપણા વડાપ્રધાન મનમોહનસિંહ હમણાં ગયેલા ત્યારે અને પછી આપણા આશ્રિત છે એ તિબેટના દલાઈ લામા અરૂણાચલ પ્રદેશના પ્રવાસે ગયેલા ત્યારે બન્ને વખતે ચીને વિરોધ કરેલો જેનો આપણે વિરોધ કરતો જવાબ આપેલો.


‘‘ચીન સાથે કડક ભાષામાં આપણે વાત કરવી ન જોઈએ.’’ એવી નીતિ પેલી અમલદારશાહીની સલાહના કારણે આપણે રાખી છે એ સલાહ આપણે કદી માનવી ન જોઈએ.


પરંતુ ભાજપની હોય કે કોંગ્રેસની હોય કે જનતા મોરચાની હોય પણ દરેક સરકાર અમલદારશાહીની સલાહ પ્રમાણે જ વર્તતી હોય છે. એટલે તો, મીડીયા (અખબારો, ટી.વી. વગેરે)ને આપણી સરકાર આવી બાબતમાં ઠપકો આપતી હોય છે. દા.ત. ભારત અને ચીન વચ્ચે ૪૦૦૦ કી.મી. લાંબી વાસ્તવિક અંકુશ રેખા (એલઓસી લાઈન ઓફ કન્ટ્રોલ) છે જેનો ચીન વારંવાર ભંગ કરીને આપણી સરહદમાં ધૂસી આવે છે.


આ સમાચારો આપણા મીડીયાએ આપ્યા તો અમલદારોની સલાહ પ્રમાણે આપણી સરકારે ચીનને ઠપકો આપવાના બદલે અખબારોને ઠપકો આપ્યો. આપણી અમલદારશાહી એમ માને છે કે ચીન સાથેના સંબંધો બગડે એવું આપણે કશું કરવું નહીં.


એમણે તો ત્યાં સુધી મીડીયાને કહેલું કે... ચીન આપણી સરહદમાં ધુસી આવે છે તો શું થયું? કોઈકવાર એમનાથી ભૂલથી એવું થઈ જાય... એમાં કાગનો વાઘ ન કરાય.

આપણા આવા વલણનો, આપણી સદ્ઈચ્છાને બીજા દેશો અને ખાસ કરીને ચીન આપણી નબળાઈ સમજે છે.

જાગો ! જાગો ! જાગો ! જાગો !

ચીન આપણા લડાખ, ભૂતાન, અરૂણાચલપ્રદેશ જ નહીં પણ આપણા બદ્રીનાથ મંદિર, જોશીમઠ વગેરેને પણ પોતાના ગણાવે છે !
આવતા બે-ચાર વર્ષમાં શું ચીન આપણી ઉપર શું આક્રમણ કરશે ?
ચીનના કબજામાં જો આપણો દેશ આવી ગયો તો ચારસો વર્ષે પણ ચીનના સકંજામાંથી આપણે છૂટી શકીશું નહીં !
ચીનની ચાલબાજી.

બીજા કંઈ જ નહીં...પણ પ્રબળ ઇચ્છા શક્તિનો, દ્રઢ મનોબળ, સંકલ્પશક્તિનો અને દેશભક્તિનો, દેશપ્રેમનો અભાવ જ કારણભૂત છે...પાકિસ્તાન હોય કે ચીન હોય કે અમેરિકા હોય....બધાના મુકાબલે આપણા શાસકો, આપણા સત્તાધિશો, આપણા રાજકીય પક્ષો, આપણા નેતાઓ...કોઈનામાં દેશભક્તિ, દેશપ્રેમ નથી અને એના અભાવના કારણે એમનામાં પ્રબળ ઇચ્છાશક્તિ નથી, દ્રઢ મનોબળ નથી અને લોખંડી સંકલ્પશક્તિ નથી...પછી એ મનમોહનસિંહ હોય કે આડવાણી હોય, નરસિંહરાવ હોય કે મુલાયમ હોય, સુષમા સ્વરાજ હોય કે મમતા બેનરજી હોય !

બાકી ચીન કે પાકિસ્તાનની હેસીયત નથી કે...આપણી સામે ચેંચુ કરે. (હવે તો, એવી શંકા જાય છે કે....આપણા વિદેશખાતામાં, આપણા સંરક્ષણ ખાતામાં, આપણા ગૃહખાતામાં....આપણા ખાતેખાતામાં જાસુસો જ ગોઠવાયેલા છે... પેલી માઘુરી ગુપ્તા જેવી ઓફિસર જાસુસ હોય પછી તો થઈ રહ્યું ને ?...હજી તો, એની ‘‘તપાસ’’ ચાલે છે ! અરે, આવા દેશદ્રોહીને તો તરત જ ગોળીએ જ દેવા જોઈએ ! પેલા કાસબને જીવતો રાખીને શું મેળવ્યું ? લો, હવે પાકિસ્તાન કહે છે કે...એને અમને સોંપી દો ! આવાના કેસ ચલાવવામાં શું મળ્યું ? આપણા જનતાના અબજો રૂપિયા ગટરમાં જ નાખવાનાને ?

પેલા લલિતમોદીને કે ડૉ. દેસાઈ જેવા રાક્ષસને શા માટે જીવતા રાખવાના ? આપણા જનતાના અબજો રૂપિયાનું પાણી જ એમને જીવતા રાખીને કરવાનું ને ? કેસ ચલાવીને પણ શું ફાયદો છે ? વકીલોને કમાવી આપવાના ? અને બીજા હજારો કેસો અટકાવી દેવાના ? એ ન્યાય નથી પણ બન્ને પક્ષ (જનતા અને ગુનેગાર) માટે અન્યાય છે. પાકિસ્તાને કસાબને સોંપવાની માંગણી કરી છે પણ પેલા બીજા નવ આતંકવાદીઓના શબ લઈ જવા પાકિસ્તાન તૈયાર નહીં થએલું આપણે એ શબોને કરોડો રૂપિયાનો ખર્ચ કરીને એક વર્ષ સુધી રાખવા પડેલા અને અંતે એનો હમણાં નાશ કર્યો ! આવા અવળ ચંડા પાકિસ્તાન સાથે વાટાઘાટો કર્યા કરવાનો કશો જ અર્થ નથી. આપણા ૫૦ વર્ષથી એની સાથે વાટાઘાટો કર્યા કરીએ છીએ પણ પરિણામે શું મળ્યું ? વઘુ આતંકવાદીઓ, વઘુ હુમલાખોરી અને વઘુ ખુવારી ! પાકિસ્તાન સાથે તડનેફડ જ હોય !)


પરંતુ ૧૯૫૦થી અત્યાર સુધીની આપણી દરેક સરકારો ચીનથી દબાયેલી જ રહી છે અને ચીન આપણી એ નબળાઈને દબાવતું જ રહ્યું છે.
તિબેટમાં એક કહેવત છે કે....જો હૃદય મજબૂત હોય તો ઉંદર પણ હાથીને ઉપાડી શકે છે. (ગુજરાતીમાં પણ એ મતલબની કહેવતો છે જ.) પણ આપણે સરકાર ઉંદરના બદલે સિંહ હોવા છતાં પેલા હાથીને આપણા અરૂણાચલપ્રદેશને ખુંદવા દીધો છે. એ હાથીએ તિબેટને પહેલાં જ કચડી નાંખ્યું હતું.
ચીનના માઓ ત્સંતુંગે ૧૯૫૦માં આપણા વડાપ્રધાન જવાહરલાલ નહેરૂને એક સંદેશો આપ્યો હતો....કે, તિબેટને ‘‘મુક્ત’’ કરી દીઘું છે. જવાબમાં જવાહરલાલે ભોળાભાવે પૂછેલું કે, ‘‘મુક્ત કોનાથી કર્યું ?’’ (તિબેટ તો મુક્ત જ હતું પરંતુ સામ્યવાદીઓ પોતે જેનો કબજો લે છે એને ‘‘મુક્ત’’ કર્યું એમ કહીને જનતાને ગેરમાર્ગે દોરવાની નીતિ રાખે છે.)

સામ્યવાદી અને તિબેટને એ રીતે ‘‘મુક્ત’’ના નામે ગુલામ બનાવી દીઘું અને ત્યાંના લાખો તિબેટીયનોને રહેંસી નાખ્યા. એ વખતે નેહરૂએ ચીનનો વિરોધ ન કર્યો પણ ઉલટાનું પંચશીલની સંધિ ચીન સાથે કરીને ભારતની લેખિત મંજુરી આપી દીધી. માઓએ ત્યારે કહેલું કે ‘‘તિબેટ ચીનની કપાયેલી હથેળી હતું જે હવે જોડાઈ ગઈ છે...બસ હવે પાંચ આંગળીઓ જોડવાની રહી....’’ (એ પાંચ આંગળીઓ એટલે અરૂણાચલ, લદાખ, સિક્કિમ, ભૂતાન અને નેપાળ. એમાં નેપાળને ચીન અંગુઠો ગણે છે જેનો કબજો ચીને લઈ લીધો છે. અરૂણાચલનો પણ અમુક ભાગ ચીનના કબજામાં છે. હમણાં દલાઈલામા જ્યાં ગયેલા અને મનમોહનસિંહ પણ ગયેલા ત્યારે ચીને વિરોધ કરેલો એ તવાંગ અરૂણાચલનું હૃદયસ્થળ છે. એ તવાંગની નજદીકના પ્રદેશ ઉપર ચીને ગેરકાયદે કબજો કરેલો છે.

આ તવાંગ બૌઘ્ધોનું તીર્થસ્થળ છે અને ૧૦ હજાર ફીટ ઊંચે આવેલું છે. ચીને એ મેળવવા જ ૧૯૬૨માં આપણી ઉપર આક્રમણ કરેલું. રાજીવ ગાંધી ૧૯૮૮માં આપણા વડાપ્રધાન તરીકે ચીનના પ્રવાસે ગયેલા ત્યારે ચીનના વડાપ્રધાન દેંગ જાિઓ પેંગે કહેલું કે....‘‘તવાંગ અમને આપી દો તો અમને સંતોષ થઈ જશે.’’ ચીનની માંગણી જ નહીં પણ વર્તણૂંક...આચરણ જ એવું છે કે એ તવાંગને અને અરૂણાચલને ચીનનો ભાગ જ ગણાવે છે. જાણે તવાંગ એનું જ હોય એમ ચીને ૨૦૦૬માં ભારતના લશ્કરને કહ્યું હતું કે, ‘‘તવાંગમાં બૌઘ્ધની જે મૂર્તિ છે એ ત્યાંથી હઠાવી લો...’’ જેના જવાબમાં આપણી મનમોહન સરકારે અને ભારતીય લશ્કરે એ મૂર્તિને ત્યાંથી હઠાવવાનો ઇન્કાર કર્યો. એટલે આપણા વડાપ્રધાન સરદાર મનમોહનસિંહના રાજમાં જ ચીનના લશ્કરે તવાંગમાં પ્રવેશીને ૨૦૦૭ના ઓક્ટોબરમાં ૩૦ તારીખે ભગવાન બૌઘ્ધની એ પ્રતિમા તોડી નાંખેલી.

આ શું બતાવે છે ?

વિચાર કરો !
આ સમાચારો સરકારે દબાવી રાખેલા પરંતુ અખબારોએ (આસામ અને અરૂણાચલના અખબારો અને પ્રજા ઘણી દેશપ્રેમી છે. દા.ત. બંગાળમાંથી હિન્દીમાં દૈનિકો નીકળે છે એ કરતાં આસામમાંથી અને અરૂણાચલમાંથી હિન્દી દૈનિકો વઘુ નીકળે છે. એ જ રીતે બંગાળમાં હિન્દી ભાષા બોલનાર અને સમજનાર હશે એ કરતાં આસામ, અરૂણાચલ, મેઘાલયમાં વઘુ છે.) આ વાત (આપણું ચીને કરેલું અપમાન) અખબારોએ છાની ન રાખી. પરિણામે સંસદમાં પ્રશ્નો થવા લાગ્યા..જેના જવાબમાં અંતે સંરક્ષણ પ્રધાન એ.કે. એન્ટનીએ ૨૦૦૭ના ૨૨ નવેમ્બરે સંસદમાં આ બનાવનો સ્વીકાર પણ કર્યો.

ચીન હજી આપણા દેશાભિમાનનું અપમાન થાય એવું બીજું કામ પણ કરી રહ્યું છે.

દા.ત. અરૂણાચલવાસી કોઈને પણ ચીન જવું હોય તો ચીનની એલચી કચેરી કહે છે કે....‘‘તમારે વીઝા લેવાનો ન હોય કારણ કે અરૂણાચલ ચીનનો જ ભાગ છે એટલે તમારે સ્વદેશમાંને સ્વદેશમાં જવું હોય તો વીઝાની જરૂર ન હોય.’’
ચીનના આવા અપમાનો આપણી અત્યારની અને આ પહેલાંની ઇંદિરા-રાજીવ સિવાયની બીજી બધી સરકારો નપુંસક હોય એમ જોઈ રહે છે !

દા.ત. સંસદમાં જ અગાઉની સરકારે જણાવ્યું હતું કે અરૂણાચલના મુખ્યપ્રધાન ગેગોંગ અપાંગને જ ચીનની સરકારે વીઝા આપવાનો ઇન્કાર કરેલો. એ પછી ૨૦૦૭ના ડિસેમ્બરમાં લગભગ સો જેટલા આઈએએસ અમલદારો ચીનના પ્રવાસે જવાના હતા એમાં અરૂણાચલના એક અમલદાર ગણેશ કોયુ નામના હતા એને એકને વીઝા આપવાનો ચીને ઇન્કાર કર્યો એટલે બધા જ આઇ.એ.એસ. ઓફિસરોએ પ્રવાસ રદ કરેલો.


એ વખતે મનમોહન સરકારને સૂચન થએલું કે....કૌટિલ્યની નીતિ પ્રમાણે ‘‘શઠં પ્રતિ શાઠ્યં’’ અથવા ‘‘જેવા સાથે તેવા’’ કરીને આપણે ચીનના પડખે આવેલા તાઈવાનને માન્યતા આપીને ત્યાં આપણી એલચી કચેરી કરીને એલચીને પણ ત્યાં રાખવાનું કરીએ...પણ એટલા માટે છાતી જોઈએ ! આપણા કોંગ્રેસ કે ભાજપ કે જનતાદળ કોઈના પણ એકાદ નેતામાં શું એવી છાતી છે ? અરે, ઇંદિરાગાંધી જેવું પણ મનમોબળ કોઈનામાં નથી.


બહુ ઓછા લોકો એ જાણે છે કે ભારતનો આપણા દેશનો એક પણ વડોપ્રધાન કે ગૃહપ્રધાન છેલ્લાં ૧૮ વર્ષમાં એક પણ વાર અરૂણાચલ નહીં ગયેલો. પોતાને બીજાં કરતાં વઘુ દેશભકત ગણાવનાર અને આવી બાબતોમાં કોંગ્રેસની ટીકા કરવાનું બાકી નહીં રાખનાર ભાજપના વડાપ્રધાન બાજપેયી કે ગૃહપ્રધાન (‘‘પીએમઈન વેઇટીંગ’’) આડવાણી પણ અરૂણાચલ નહીં ગયેલા. આ અંગે પત્રકારોની અને જનતાની સખત ટીકા સાંભળી પછી અત્યારના વડાપ્રધાન મનમોહનસિંહ છેવટે તવાંગ જઈ આવ્યા. અરૂણાચલમાં હમણાં ચૂંટણી થઈ ત્યારે પણ કોંગ્રેસની દ્રષ્ટિથી મનમોહનસિંહ ત્યાં ગયેલા. છતાં મનમોહનસિંહ ચીનને નાખુશ કરવા નથી ઇચ્છતા. દા.ત. અરૂણાચલના લુમ્લાના કોંગ્રેસી ધારાસભ્ય ચીનની સામ્યવાદી વિસ્તારવાદી નીતિના વિરોધમાં ૨૦૦૮માં દેખાવો કરવા માંગતા હતા એની ઉપર મનમોહન સરકારે પ્રતિબંધ લગાવી દીધેલો. (અમલદારશાહીના સલાહ...અમલદારો એટલે આઈ.એ.એસ. અને આઇ.એફ.એમ. એટલે ઇન્ડીઅન ફોરેન સર્વિસ પાસ કરેલા અમલદારો. આનો અભ્યાસક્રમ બ્રિટિશરો અંગ્રેજોએ કરેલો છે એટલે એમાં બીકણપણું જ હોય.)


અરૂણાચલ, મીઝોરમ, નાગાલેન્ડ વગેરે પ્રદેશોને બ્રિટિશરોએ ભારતથી અલગ રાખવાની નીતિ રાખેલી. એના પૂર્વોત્તર એટલે નોર્થ ઇસ્ટ એટલે નેફા કહેતા. અંગ્રેજોએ એને ૧૮૭૩થી બંગાળ વિષે એક કાયદો કરીને અલગ રાખેલો. ત્યાં પ્રવેશ કરવા માટે આપણે ભારતીઓએ પણ પરમીટ લેવી પડતી હતી. આ અન્યાયી કાયદાને સૌ પ્રથમ સમાજવાદી સાચા નેતા રામમનોહર લોહિયાએ તોડ્યો. એમ કરવા બદલ એમને કેટલીકવાર નજર બંધ પણ કરવામાં આવેલા. એમનું કહેવું છે કે નેફાનો પ્રદેશ જો ભારતનો છે તો નેહરૂ સરકાર ત્યાં ભારતીયોને છૂટથી પ્રવેશવા કેમ દેતી નથી ?
એ પછી આઝાદીના પચીસ વર્ષ પછી અરૂણાચલની અલગ ઓળખ આપવામાં આવી અને એને પહેલાં કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવાયો. એ પછી પંદર વર્ષ પછી ૧૯૮૭માં એને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. (‘‘કોયલા’’ ફિલ્મનું કેટલુંક શુટીંગ તવાંગમાં થએલું છે.) અરૂણાચલની વસતિ ૯થી ૧૦ લાખ જ છે અને વિસ્તાર ૩૨,૦૦૦ ચોરસ માઈલ છે.

ઈ.સ. ૬૨૦માં ચીનનો પ્રવાસી હ્રેનત્સાંગ (હ્યુએનસાંગ) ભારત આવેલો ત્યારે પણ એણે અરૂણાચલ સહિત તિબેટ અને લદાખને પણ ભારતના હિસ્સા જ કહ્યાં છે. દલાઈ લામા ૧૯૫૯માં તિબેટથી નાસીને ભારતના શરણે આવ્યા પછી ચીને ભારત સાથેનો સરહદનો પ્રશ્ન વઘુને વઘુ ઉખેળવા માંડ્યો. એ લદાખ, અક્ષયચીન, અરૂણાચલ, સિક્કીમ નેપાળ ભૂતાન ઉપર પોતાનો દાવો કરવા ઉપરાંત આપણા બદ્રીનાથ મંદિર અને જોશીમઠને પણ પોતાના હોવાનો દાવો કરે છે. આપણે ચીનને કડકાઈથી જવાબ નથી આપતા એનું આ પરિણામ છે. ચીનની અને બધા જ સમાજવાદીઓની નીતિ વિસ્તારવાદી જ રહી છે એને આવી ડરપોક સરકાર ફાવે એ સ્વાભાવિક છે.

આ તમે નહીં જાણતા હો, બોલો!

આપણા બંધારણમાં ‘ભારત માતા’ જ નથી! એમાં લધુમતિના ખાસ હક્કોની વાત છે પણ લધુમતિની વ્યાખ્યા જ નથી!
આવા અઘૂરા, અસ્પષ્ટ, અર્ધદગ્ધ બંધારણનો શું અર્થ? આવું બંધારણ શું કામનું?
બંધારણમાં અત્યાર સુધી ૧૦૦ કરતાં વઘુ સુધારા કરવા પડ્યાં છે!
આપણો ભારત દેશ અજન્મા છે. એટલે કે એનો જન્મ નથી થયેલો પણ પરાપૂર્ણકાળથી એ છે. એટલે કે આપણો દેશ ભારત ચિરંતન અને સનાતન રાષ્ટ્ર છે.
અમેરિકાની જેમ આપણો દેશ જૂદા જૂદા રાજ્યોનું યુનિયન એટલે સંઘ નથી. એક અને અખંડ રાષ્ટ્ર છે. વિવિધતામાં એકતા છે. જે આરોહઅવરોહ સાથે ગાયત્રીમંત્ર કે વેદ-ઉપનિષદ કે ગીતાના મંત્ર હિમાલયની બરફાચ્છાદિત ખીણોમાં ગુંજતા હોય છે એ જ મંત્રો એ જ ઢબે એ જ આરોહઅવરોહથી કન્યાકુમારીના સમુદ્રમાં ઊભા રહીને સૂર્યને અર્ઘ્ય આપનાર પણ બોલતો હોય છે.

છતાં સંપૂર્ણપણે અંગ્રેજી શિક્ષણ પામેલા... મગજમાં જ અંગ્રેજોની ગુલામીના સંસ્કાર ભરેલા લગભગ ૩૨૪ ભારતીયોની... જેમાં ૮૯ ત્યારના દેશી રાજ્યોના પ્રતિનિધિ અને ૨૩૫ સભ્યો ત્યારના જૂદા જુદા પ્રાન્તોના પ્રતિનિધિઓ હતા... ૧૯૪૭માં આઝાદી ૧૫ ઓગસ્ટે આપવામાં આવી એ પહેલાં ૩ જૂન, ૧૯૪૭ના રોજ આપણું બંધારણ રચવાની કામગીરી માટે રચના કરવામાં આવેલી.


એ પહેલાં ૧૯૪૬ના ૧૧ ડિસેમ્બરે ડૉ. રાજેન્દ્ર પ્રસાદને એ બંધારણ સભાના કાયમી પ્રમુખ તરીકે ચૂંટી કાઢેલા. ત્યારે દેશમાં કોંગ્રેસનું જ એકછત્રી, સામ્રાજ્ય હતું. બીજા પક્ષો ટીનબટુડીયા હતા પણ એમાં ભાજપનો કે જનતા પક્ષનો તો જન્મ પણ નહીં થયેલો. હિન્દુ મહાસભા, સમાજવાદી પક્ષ સામ્યવાદી પક્ષ જેવા પક્ષો હતા પણ એ કોઈનું પણ મહત્ત્વ જરા પણ નહોતું. મુસ્લિમ લીગ પક્ષ હતો અને મોહમ્મદ અલી જિન્હાના કારણે એનું મહત્વ હતું. આર.એસ.એસ. હતો પણ એણે રાજકારણથી દૂર રહેવાની નીતિ રાખેલી એટલે રાજકીય દ્રષ્ટિએ એનું કંઈ મહત્વનું નહોતું.


આપણને આઝાદી મળે એટલે કે અંગ્રેજો આપણને આઝાદી આપે એ પહેલાં એની તૈયારી રૂપે બંધારણ ઘડવું જરૂરી ગણાય એટલે ૧૯૪૬ના જુલાઈમાં બંધારણસભાની ચૂંટણી થયેલી. બંધારણ સભાના કુલ ૩૮૯ સભ્યો ચૂંટવાના હતા પણ ચૂંટણી ૨૯૬ માટે થઈ જેમાં કોંગ્રેસનું સામ્રાજ્ય હતું તો પણ એના ૨૦૮ સભ્યો ચૂંટાયા અને મુસ્લિમ લીગના ૭૩ ચૂંટાયા. ચૂંટાયેલાઓમાં આપણા દેશ અને સમાજના દરેક ક્ષેત્રના ઉચ્ચ કક્ષાના મહાનુભાવો હતા અને વિદ્વાનો હતા. એ બધી જ વિભૂતિઓ એકએકથી ચઢિયાતી હતી.


એ પછી ૧૯૪૬ના ૯ ડિસેમ્બરે, એ ચૂટાયેલી બંધારણ સભાની, પહેલી બેઠક પણ યોજાઈ. એના કામચલાઉ પ્રમુખ બધા સભ્યોમાં વયોવૃઘ્ધ હતા એવા ડૉ. સચ્ચિદાનંદ સિંહાને બનાવેલા.


આપણા દેશના ટુકડા કરીને આઝાદી આપવાનો નિર્ણય અગાઉ થઈ ગએલો જેની જાહેરાત ૧૯૪૭ના ૩ જૂને કરવામાં આવેલી.


આઝાદી મળ્યા પછી ૧૯૪૭ના ૨૯ ઓગસ્ટે બંધારણ સભા બંધારણનો ઢાંચો તૈયાર કરનાર સમિતિની રચના થઈ જેના પ્રમુખ ડૉ. ભીમરાવ આંબેડકરને બનાવ્યા. એની પહેલી બેઠક ૧૯૪૭ના ૩૦ ઓગસ્ટે મળી.


આપણે અત્યારે ૬૦ વર્ષ પછી જે કંઈ સુખ કે દુઃખ, મુશ્કેલીઓ કે રાહતો ભોગવી રહ્યા છીએ એનો પાયો ઉભો કરવામાં શું શું અને કેવું કેવું કરવું પડેલું એ જોવાનું છે. અત્યારે ગરજી ગરજીને બોલી રહેલા ભાજપ કે ભાજપના એકપણ નેતાએ અથવા બીજા કોઈ પણ પક્ષે કે એના એક પણ નેતાએ એ કષ્ટમય દિવસોમાં દેશ માટે પરસેવાનું પણ એકાદ ટીપું નહોતું પાડ્યું! (જેમ ગુજરાતની રચના કરવા મહાગુજરાત આંદોલનમાં ભાજપ કે જનસંઘે ભાગ તો નહોતો લીધો પણ ઉલટાનું મહાગુજરાત આંદોલન, ઇન્દુચાચા વગેરેનો, મહાગુજરાતના શહિદોનો ભાજપના નેતાઓએ વિરોધ કરેલો!)


આ સમિતિએ બંધારણનો જે ઢાંચો તૈયાર કરેલો એ બંધારણ સમિતિ સમક્ષ ૧૯૪૮ના ફેબુ્રઆરીમાં રજૂ કરાયો.

આપણા દેશ ભારતનું બંધારણ ઘડવામાં ૨ વર્ષ ૧૧ મહિના અને ૧૮ દિવસ લાગેલા. બંધારણ ઘડવામાં આજથી ૬૦ વર્ષ પહેલાં રૂા. ૬૪,૦૦,૦૦૦ ખર્ચ થયેલો. (આજના હિસાબે એને ૧૦૦૦એ ગુણો એટલો ખર્ચ ગણાય.)

આપણું બંધારણ ઘડવામાં ત્રણસો ચારસો મહાન બુઘ્ધિમાનો કામે લાગેલા. એ કહેવાય ભારતનું, ભારતીય બંધારણ પણ એમાં ભારતીયતા જેવું, ભારતીય સંસ્કૃતિની મૌલિકતા કહેવાય એવું કશું જ નથી. ઉલટાનું એમાં દુનિયાભરના દેશોના બંધારણનો ખિચડો ભેગો કરવામાં આવ્યો છે.


આપણા એ જે ત્રણસો-ચારસો બુઘ્ધિમાનો બંધારણ ઘડવા બેઠેલા એ બધાના મગજમાં અંગ્રેજો પ્રત્યેનો અહોભાવ ક્યાંય ખૂણામાં પડેલો હતો કારણ કે એમાં બેઠેલાઓમાં જે કાયદાબાજો હતા એમણે અંગ્રેજી... અંગ્રેજોની જ કાયદાપઘ્ધતિ જાણેલી. એમાંના મોટા ભાગના ઇંગ્લાંડ જઈને બાર-એટ-લો થએલા એટલે એમનામાં કોઈના પણ માનસમાં ભારતીયતાનો ખ્યાલ જ નહીં અને ખ્યાલ હોય તો પણ એટલો જ ખ્યાલ કે આપણામાં ભારતીયતા પણ અંગ્રેજોના કારણે જ આવેલી!


પરિણામે ભલે કહેવાય આપણું બંધારણ પણ એ છે બ્રિટનના બંધારણની ‘કોપી’ નકલ જેવું. દા.ત. બ્રિટનમાં બે સ્તરની સંસદીય પ્રણાલિ છે.... (૧) ઉપલું ગૃહ અને (૨) નીચલું ગૃહ એટલે હાઉસ ઓફ લોર્ડઝ અને (૨) હાઉસ ઓફ કોમન... જેને આપણા બંધારણ ઘડવૈયાઓએ (૧) રાજ્યસભા અને (૨) લોકસભા (હાઉસ ઓફ કોમન્સ) બનાવી દીધી! ...સીધો અનુવાદ.


ઇંગ્લાંડની વાત જવા દો. ત્યાં હાઉસ ઓફ લોર્ડઝ રાખવાનું ઐતિહાસિક કારણ હતું પણ આપણે ત્યાં રાજ્યસભા રાખવાની શું જરૂર હતી? એક તલખલાભાર પણ જરૂર નથી. સાવ ખોટો, બિનજરૂરી ખર્ચ છે અને બિનજરૂરી જરૂરિયાત છે. એનું કોઈ મહત્ત્વ પણ જનતાની દ્રષ્ટિએ નથી. સંસદમાં પણ એનું મહત્ત્વ નથી. લોકસભા પાસે એનું ચાલતું પણ નથી. સાવ એટલે સાવ ખોટો ખર્ચ છે... પણ શું થાય? બંધારણના ઘડનારાઓમાં અંગ્રેજોનું ભૂસુ ભરેલું હતું એટલે એમણે ‘રાજ્યસભા’ એટલે કે ઇંગ્લાંડની ‘હાઉસ ઓફ લોર્ડઝ’નું તૂત ઉભું કરીને આપણા માથે ઠોકી બેસાડ્યું.


બીજો દાખલો જુઓ. ઇંગ્લાન્ડે ઐતિહાસિક કારણોથી રાજાશાહી ચાલુ રાખી છે. ત્યાંની સંસદના વડા રાજા છે.

હવે આપણે રાજાશાહી નાબુદ કરી હોવાથી આપણે વડા તરીકે રાજા રાખી શકીએ તેમ નહોતું તો પછી એવા કોઈ શોભારૂપ હોદ્દાની જરૂર નહોતી પણ ઇંગ્લાંડના બંધારણમાં એ છે એટલે આપણા બંધારણના ઘડવૈયાઓએ રાષ્ટ્રપતિનો હોદ્દો (શોભારૂપ) ઉભો કર્યો. ઇંગ્લાંડની જેમ એ પણ શોભાનો જ હોદ્દો છે એટલે સાવ ખોટો ખર્ચ!

એ કરતાં અમેરિકા અને ફ્રાન્સનું જુઓ! બંને દેશોએ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનના બેય હોદ્દાનો એક હોદ્દો કરી નાંખ્યો છે. બન્નેના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ એક જ વ્યક્તિ. આપણે પણ એમ જ કરી અબજો ખર્વો રૂપિયા બચાવી શક્યા હોત પરંતુ આપણા મહાન બુઘ્ધિમાનોનું માનસ અંગ્રેજો માટેની અહોભાવનાથી ભરેલું હતું એટલે એમણે ગુલામની જેમ નવું વિચાર્યું જ નહીં અને ઇંગ્લાંડના બંધારણની ‘કોપી’ જ કરી.


આપણું ‘મહાન’ બંધારણ આ ઉપરાંત કેનેડાના બંધારણ, અમેરિકાના બંધારણ, આયરલેંડના બંધારણ, જાપાનના બંધારણ અરે, દક્ષિણ આફ્રિકાના બંધારણ, જર્મનીના બંધારણ, ઓસ્ટ્રેલિયાના જાપાનની બંધારણની નકલ જ છે.

આમ, આપણા બંધારણમાં બઘું છે પણ ભારતીયતા એટલે કે ‘આપણે’ નથી. એમાં આપણું ભારત નથી. આપણી ‘ભારત માતા’ નથી. એમાં આપણો અનાદિકાળથી અસ્તિત્વ ધરાવતો ભારતદેશ નથી.
એમાં લધુમતિને ખાસ હક્કો આપેલા છે પણ ‘લધુમતિ’ની કોઈ વ્યાખ્યા નથી કરેલી. સરકારો પણ લધુમતિ એટલે મુસલમાન જ ગણે છે. પારસી, શીખ, ખ્રિસ્તી વગેરે લધુમતિમાં જ છે પણ સરકાર લધુમતિના લાભો ફક્ત મુસલમાનોને જ આપે છે.
આપણા બંધારણમાં નીતિરીતિના નિયમો છે પણ એના અમલ માટે કોર્ટમાં જવાની સગવડ નથી.
એમાં સમાન નાગરિકત્વ એટલે બધા જ એકસમાન છે... એવો મહાન આદર્શ છે પણ એનો અમલ કરાવવાની સગવડ નથી.
એમાં હિન્દી રાજભાષા છે પણ એને લાગુ કરાવવાની કોઈ મર્યાદા નથી.
બંધારણમાં ૩૭૦મી કલમ કામચલાઉ છે પણ એ સદાકાળ માટે હોય એવી છે.
ટૂંકમાં, બંધારણ ઘડનારા વકીલો વઘુ હતા એટલે એમણે બન્ને બાજુ છટકબારી રાખેલી છે અને બંધારણની ભાષા એવી લાંબી અને ગુંચવડભરી રાખી છે કે જેથી વકીલોની એને સમજવા માટે જરૂર પડે.
સમય અને સમાજના બદલવા સાથે બંધારણમાં સુધારા કરવા પડે પણ કેટલા સુધારા? બંધારણમાં, એકસો કરતાં વઘુ સુધારા આ ૬૦ વર્ષમાં કરવામાં આવ્યા છે તો પણ બંધારણ અઘૂરું છે.
જો કે જેવું છે તેવું પણ બંધારણ આપણું છે. આપણા સૌનું છે. આપણું એ શ્રઘ્ધાકેન્દ્ર છે. એ આપણા રાષ્ટ્રનું પ્રતિક છે.
છતાં એમાં આપણા દેશની, આપણી વિશાળ જનતાની સ્વાભાવિક વિશેષતાઓને પ્રતિબિંબિત થતી નથી દેખાતી. અંગ્રેજોએ આપેલી અનિષ્ટ વાતોને અસ્વીકાર કરવાનો એમાં પ્રયાસ નથી કરાયો. ભ્રષ્ટાચારની વાવણી જેના કારણે થાય છે એવી ચૂંટણી પઘ્ધતિ એમાં રાખી છે.
બંધારણના ઘડવૈયાઓ દેશભક્ત હતા એની કોઈ ના કહી શકે તેમ નથી પરંતુ એમની વચ્ચે પણ માનવનો સ્વભાવ છે એટલે મતભેદો હતા. દા.ત. આપણો દેશ એક પ્રાચીન રાષ્ટ્ર છે એવું ઘણાંની જેમ ગાંધીજી પણ માનતા હતા. (હિંદસ્વરાજ પાનું ૪૮) પરંતુ નહેરૂ અને બીજા ત્યારે એવું નહોતા માનતા. (પાછળથી અંત સમયે નહેરૂ પણ એવું માનવા લાગેલા.) તેઓ બધા એવું માનતા હતા કે ભારત એક રાષ્ટ્ર, એક દેશ નહોતો પણ અંગ્રેજોએ એને એક દેશ બનાવ્યો.
અંગ્રેજોએ શીખવેલી રાષ્ટ્ર વિશેની આવી ભ્રામકતાનો પડઘો બંધારણમાં પણ પડ્યો છે.
- ગુણવંત છો. શાહ
આ તો તમે જાણો છો ને ?
જો કે નખ કે જીભ વિનાનું છે ‘‘વિજીલન્સ કમીશન’’ નામથી એક એજન્સી (સંસ્થા) કેન્દ્ર સરકારે વર્ષોથી બનાવેલી છે જે ખાસ કરીને ભ્રષ્ટાચારી સરકારી અમલદારો... નોકરો વગેરેને પકડવાનું કામ કરે છે. પરંતુ એ કોઈની ઉપર પગલાં લઈ શકતું નથી. પરિણામે અત્યાર સુધી વિજીલન્સ કમીશને હજારો કેસ પકડ્યા છે પણ કોઈને કશું જ થઈ શક્યું નથી અને પરિણામે ભ્રષ્ટાચાર વધતો રહ્યો છે.

વિજીલન્સ કમીશન ભ્રષ્ટાચાર પકડીને એની વિગતો જે તે રાજ્યના તે તે ખાતાને આપે છે... બસ, પતી ગયું ! જ્યાં આખું ખાતું જ ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓથી ખદબદતું હોય ત્યાં વિજિલન્સ કમીશનનું કોણ સાંભળે? એવા તો ભ્રષ્ટાચારીઓના પેટમાં ઉંદરડા ફરતા હોય છે!

આ કમીશને સરકારને ૧૨ જેટલા અમલદારો વિરૂદ્ધ નોટીસો આપવા જણાવ્યું. આવી નોટીસો એમના એમના ખાતાને આપવામાં આવે છે અને પછી ખાતાને લાગે તો આગળ કરે!

આ ૧૨ અમલદારોમાં આઈએએસ ઓફિસરો ૨ છે તથા ફોરેસ્ટ સર્વિસના ૧ છે. ૨૦૦૯માં વિઝીલન્સ કમીશને ૩૫ આઈએએસ, આઈપીએસ ૧૦ અને આઈએફએસઈને નોટીસ આપવા જણાવેલું.

પ્રતિભાવ
(૧) મહેસાણા-તારંગા-અંબાજી રેલવે
(૨) વીરમગામ - શંખેશ્વર - રાંધનપુર

ગુજરાત વિશાળ રેલવે નેટવર્ક ધરાવે છે. છતાં તેમાં ઘણી અપૂર્ણતાઓ છે. તેથી જ ‘‘નેટવર્ક’’ અને તેનો વિશાળ વાચકવર્ગ આવી અપૂર્ણતાઓ પર અનેકવાર પોતાનો અવાજ બુલંદ કરે છે. ગુજરાતની રેલવેની ટ્રેનોની જરૂરિયાતો વિષે ‘‘નેટવર્ક’’માં લેખો આવ્યા એના જે પ્રતિભાવ પડ્યા એમાં ઃ

એક વાચક મનસુખભાઈ રાવળ, (પ્રમુખ સતલાસણ તાલુકા પેસેન્જર એસોસિએશન) લખે છે કે છેક દેશી રજવાડાના સમયમાં (ઈ.સ. ૧૯૨૬માં) તારંગાથી અંબાજી સુધીની રેલવેનું આયોજન વિચારાયું હતું. પરંતુ, અનેક રજુઆતો છતાં આજ સુધી આવી રેલસેવા કાર્યરત કરવામાં આવી નથી.

મહેસાણા-તારંગા-અંબાજીની બ્રોડગેજ રેલવે સેવા આપવામાં આવે તો આ માર્ગ પર આવતાં ભારતના પ્રખ્યાત તીર્થધામોને રેલવે દ્વારા સાંકળી શકાય. તે ઉપરાંત આ વિસ્તારમાં ખાણોમાંથી નીકળતા આરસના પથ્થરો અને અન્ય ખનિજ પેદાશોને સમગ્ર ભારતમાં આસાનીથી મોકલી શકાય. પરિણામે આ વિસ્તારનો ઔદ્યોગિક વિકાસ ઝડપી બની શકે. વળી આ વિસ્તાર આદિવાસીઓનો છે. અહીં રેલવે પહોંચતા આ ગરીબ પ્રજાનો પણ આર્થિક વિકાસ શક્ય બની શકે. આ રીતે મહેસાણા-તારંગા-અંબાજી રેલવે સેવા આજની તાતી જરૂર છે.

અન્ય એક વાચક હારીજના જયેશકુમાર સચદે બંધ પડેલી હારીજ-સમી રેલવે લાઈનને ફરી શરૂ કરવાની તરફેણ કરતાં જણાવે છે કે, આ લાઈનને રાધનપુર સાથે જોડી દઈ કાર્યરત કરવામાં આવે તો એક ટૂંકા માર્ગ દ્વારા બનાસકાંઠાના અનેક પછાત વિસ્તારોના આર્થિક વિકાસ ઝડપથી કરી શકાય. પરિણામે મહેસાણા-પાલનપુર-ડીસા-રાધનપુર-સમી-હારીજને સળંગ રેલવે સેવા મળે. આ માર્ગ પર આવેલા લોટેશ્વર (પાંડવોનાં સમયનું) અને જૈનતીર્થ સંખેશ્વરની તીર્થયાત્રા ભારતના યાત્રીઓ સુગમતાપૂર્વક કરી શકે.

જેને જીવાડવા અને સાચવવા માટે મારા-તમારા ખિસ્સાના......


જેને જીવાડવા અને સાચવવા માટે મારા-તમારા ખિસ્સાના ૬૦,૦૦,૦૦,૦૦૦ રૂપિયા કરતાં વઘુ રૂપિયા (રોજના રૂા. ૮ લાખ ૫૦ હજાર) ખર્ચ્યા અને ૫૬૦ દિવસ લાગ્યા છતાં એને મરતા હજી કેટલા દિવસ લાગશે ?
અત્યાર સુધીમાં ૧૧૫૬ને ફાંસીની સજા કરવામાં આવી છે
અત્યારે ૧૦૦ કરતાં વઘુ ગુનેગારો ફાંસી મળવાની રાહ જોતા જેલમાં છે
ફાંસી આપનાર જલ્લાદો નથી મળતા એટલે કોઈને ફાંસી આપી શકાતી નથી
અને જેલમાં આપણા ખર્ચે લીલા લહેર કરે છે !
છેલ્લી ફાંસી ૨૦૦૪માં કોલકત્તાના ધનંજય ભટ્ટાચાર્યને આપવામાં આવેલી
કસાબના કેસ સાથેના બાવીસ આરોપીઓ તો હજી લાપતા છે !
મુંબઈવાસી ૭૨ જણને મારી નાંખનાર કસાબને હજી ક્યાં સુધી જીવાડવો પડશે એ કોઈ જાણતું નથી !
ફેંસલો તો આવી ગયો.

મુંબઈના આપણા ૭૨ જણને મારી નાખનાર કસાબ નામના પાકિસ્તાની મુસ્લિમ આતંકવાદીને સહીસલામત જીવાડવા મારા તમારા ખિસ્સાના પાછા ૬૦,૦૦,૦૦૦૦૦ કરતાં વઘુ રૂપિયા અત્યાર સુધીમાં ખર્ચાયા છે અને હજી બીજા કેટલા ખર્ચાશે એ કહી શકાય તેમ નથી કારણ કે એ કેટલું જીવશે એ કોઈ જાણતું નથી ! આવો મહાભયાનક ખૂની ગુનેગાર બિમાર ન પડે એટલા માટે આપણા ખર્ચે એની તહેનાતમાં ચોવીસ ચોવીસ ડૉક્ટર રાખવામાં આવેલા.

એની ઉપર હુમલો કરીને એને કોઈ આપણો પોલિસ કે જેલનો બીજો કોઈ કેદી કે પાકિસ્તાની જાસુસ મારી નાંખે નહીં એ માટે મુંબઈમાં ગુજરાતીઓ મોટા ભાગે જે સ્ટેશને ઉતરે છે એ બોમ્બે સેન્ટ્રલ સ્ટેશનની બહાર સામે જ મરાઠા મંદિર નામનું સિનેમા થિયેટર છે. એની બાજાુમાં રિઝર્વબેન્કમાં સ્ટાફને રહેવા માટેના ફલેટો છે. એની પાછળ એસ.ટી.નું વડુ મથક છે. એથી આગળ ભાયખલા તરફ જાવ એટલે દેશમાં જાણીતી આર્થર રૉડ જેલ છે. સરકારે એ જેલમાં પણ બીજી જેલ અને બીજીમાં વળી બીજી જેલ આ આપણા ૭૨ જણના ખૂનીને કશો ધસકરો પણ ન પડે એટલા માટે બનાવેલી. સરકારે જેલમાં જ કોર્ટ ઊભી કરેલી જેથી આ ખૂની સલામત રહી શકે !


એ બઘું રૂા. ૫,૦૦,૨૭,૬૭૦ આપણા ખિસ્સાના વાપરીને કરવામાં આવેલું ! (ન્યાય તોળવાની આવી વ્યવસ્થા તો ભગવાનના દરબારમાં પણ નહીં હોય ! આદર્શ લોકશાહી કોને કહે ? લોકશાહીનું પૂંછડું દુનિયામાં આપણે જ ઝાલ્યું છે ! કે પછી લોકશાહી અને ન્યાયના નામે ખિસ્સા ભરવાના આ બધા કારસા છે ? પેલો દાઉદ પકડાય તો તો શું ય થાય ? કોના બાપની...?)
આ બઘું ઓછું હોય એમ આ ભયાનક ખૂનીને રક્ષણ આપવા આપણા લશ્કરની જે ‘‘ભારત-તિબેટ સરહદી પોલીસ’’ નામની પાંખ છે એના ૨૫૫ જુવાન, મુંબઈની પોલિસના ૫૦ સશસ્ત્ર પોલિસ, અને આર્થર રોડ જેલના ૨૦ સશસ્ત્ર પોલિસ એ કસાબની તહેનાતમાં રાખેલા ! એ બધાનો દરરોજનો ખર્ચ મારા-તમારા ખિસ્સામાંથી રૂા. ૧ લાખ ૫૦ હજાર અપાતો હતો !

આ ઉપરાંત કસાબના બચાવ માટે આપણા જનતાના ખર્ચે જ વકીલ રાખવામાં આવેલા એની ફીનો ખર્ચ પણ કરોડો રૂપિયા આપણે જનતાએ જ આપ્યો ! કસાબને ‘‘ફીટ’’ કરવા માટે જે સરકારી વકીલ રાખેલો એ પણ અબજો રૂપિયાની ફીવાળો.....એનો ખર્ચ પણ આપણા પેટ ઉપર ! હજી ઊભા રહો. પેલા ૨૪ ડૉક્ટરો કસાબની દરરોજ તબીબી તપાસ કરે...જાુદા જાુદા ટેસ્ટ કરે...હોસ્પીટલમાં લઈ જાય....એ બધો ય ખર્ચ ખરો ને ? એ ય લાખો કરોડો રૂપિયા થાય....આપણા પેટ ઉપર જ સ્તો ! (ન્યાય કોને કહે ?)

આ ઉપરાંત પેલી કોર્ટમાં ‘‘કામ’’ કરવા માટે ૩૦ કર્મચારીઓ રાખેલા. એમનો પગાર, ભથ્થું વગેરે પણ કરોડો લાખો રૂપિયા થતા હશે ને.....તો એ ય આપણા પેટ ઉપર. આપણા ૭૨-૭૨ દેશબાંધવોના ખૂન કરનાર ખૂનીને સાચવવા માટે આ બધા ખર્ચ !અને હજી એને કેટલા વર્ષો સુધી સાચવવો પડશે એ કોઈ જાણતું નથી ! સરકાર પણ નહીં, એને સજા કરનાર કોર્ટ પણ નહીં કે એને જેલમાં રાખનાર જેલર પણ નહીં !

આવા ૧૦૦૦ કરતાં વઘુ ખૂનીઓ અત્યારે ફાંસીની સજાનો અમલ થવાની રાહ જોતા જાુદી જાુદી જેલોમાં લીલાલહેર કરતા જીવી રહ્યા છે. (એમાં ભાજપ જેના માટે વારંવાર બુમરાણ મચાવે છે એ અફઝલ ગુરૂ યાને મોહમ્મદ અફઝલ નામનો આતંકવાદી પણ છે. એ અફઝલે ૯ જ લશ્કરી જવાનોને મારી નાંખેલા અને ભાજપ સત્તામાં હતો ત્યારે મારી નાંખેલા. ભાજપ સોરાબુદ્દીન જેવાના એન્કાઉન્ટર કરાવી શકતો હોય તો એણે અફઝલનો એન્કાઉન્ટર કેમ ન કરાવ્યો ? આવા આતંકવાદીઓના તો એન્કાઉન્ટર જ હોય. એન્કાઉન્ટર તો વિરોધ કરનારા માનવતાવાદીઓને એ એકાઉન્ટર જેનું કર્યું હોય એ ગુનેગારે કરેલા ખૂની કૃત્યો નથી દેખાતા ? એ માનવતાવાદીઓ ખરેખર તો, દાનવતાવાદીઓ જ છે. પેલા ભાજપીઓને જેમ કશો મુદ્દો નથી મળતો એટલે સીબીઆઈ દ્વારા અને કોર્ટ દ્વારા પોલિસ વડાઓની પૂછપરછ જેવા મુદ્દા ઉપાડી લાવીને ભાજપની બગડેલી આબરૂને વઘુ બગાડે છે એમ માનવતાવાદીઓ પણ મુદ્દા ન મળતા આવા વાહીયાત મુદ્દા પકડીને કૂદાકૂદ કરે છે.)

અત્યાર સુધી આપણા દેસમાં ૧૧૫૬ને ફાંસીની સજા થઈ છે અને અત્યારે ફાંસી આપનાર જલ્લાદોના અભાવે લગભગ ૧૦૦૦ જેટલા ફાંસીની સજા પામેલા આપણા ખર્ચે જેલોમાં લીલાલહેર કરે છે. છેલ્લી ફાંસી ૨૦૦૪માં ૧ ઓગસ્ટે ધનજંય ચેટરજી નામના એક બળાત્કારીને અપાયેલી.
જોકે હમણાં કોર્ટો ફાંસીની સજા ઓછા પ્રમાણમાં કરે છે. દા.ત. ૨૦૦૧માં ૩૦૧ ગુનેગારોને ફાંસીની સજા કરવામાં આવેલી અને બીજા વર્ષે ૨૦૦૩માં ૧૪૨ને જ ફાંસીની સજા કરાયેલી. અત્યારે મહારાષ્ટ્રમાં એકલામાં જ ૧૧૨ ગુનેગારો ફાંસી મળવાની રાહ જોઈ રહ્યા છે જ્યારે ઉત્તરપ્રદેશમાં એ આંકડો ૨૪૦નો છે અને બિહારમાં ૧૯૮ છે.

આમાંના કેટલાક ગુનેગારે રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરેલી છે અને અત્યારના તથા અગાઉના રાષ્ટ્રપતિ દયાની અરજી ફાઈલ જ જોતા નથી. (ભાજપને આ બધી જાણકારી હોવી જોઈએ પણ છતાં આ કોંગ્રેસને બદનામ કરવા અફઝલ ગુરૂનો મુદ્દો ઉછાળ્યા કરે છે પરંતુ કોંગ્રેસ વળી એવી મોટી ડફોળ છે કે એ આ બધો ખુલાસો કર્યા વિના પોતાની સામે ઉડાડતા કાદવને સહી લે છે !) બીજા કેટલાક કેસ સુપ્રિમકોર્ટમાં ગયેલા છે. કસાબનો કેસ પણ સુપ્રિમમાં જશે એટલે વળી પાછો આપણા જનતાના કરોડો રૂપિયાનો ઘૂમાડો ! પેલા ૧૧૫૬માંથી ૧૦૦ ગુનેગારે દયાની અરજી કરી છે અને ૪૦ ગુનેગાર સુપ્રિમ કોર્ટમાં ગયા છે.


લગભગ ૨૦૦ જેટલા આપણા દેશબાંધવોના ખૂન કરનાર ૨૬/૧૧/૨૦૦૮ના પાકિસ્તની આતંકવાદીઓના મુંબઈ ઉપરના હુમલામાં એ ઉપરાંત ૧૫૫૦૦૦૦૦૦૦ રૂા.નું નુકસાન પણ કરેલું. દા.ત. એકલી તાજ હોટેલને જ રૂા. ૧,૧૪,૦૦,૦૦,૦૦૦નું નુકસાન હતું. વળી ૩૫ આરોપીઓ ગયેલા પરંતુ આપણી પોલિસ એમાંથી ૧૩ને જ પકડીને કોર્ટમાં હાજર કરી શકેલી જ્યારે ૨૨ લાપતા રહ્યા છે.


કસાબ વિષે બીજી નહિં જાણીતી કેટલીક વાતો આ પ્રમાણે છે....

(૧) કેસ ચાલતો ત્યારે કસાબ કોર્ટમાં આવતી વખતે લગભગ દરરોજ ન્યાયાધિશને પગે લાગતો.
(૨) કસાબને દરરોજ શુદ્ધ શાકાહારી ખાણું જ આપવામાં આવતું હતું....ફક્ત ઇદના દિવસે જ એને નોનવેજ આપતા.

(૩) એ ખાવામાં બિરયાની અને મટનની માંગ કરતો.

(૪) એણે વાંચવા માટે ચોપડીઓ અને સુગંધિત વાતાવરણ રાખવા ફરફયુમની માંગણી કરેલી.

(૫) કસાબને મુંબઈ ઉપર કરેલા હુમલાનો કે એણે કરેલા ૭૨ ખૂન માટે કશો અફસોસ નહોતો.

(૬) એ જ્યારે ટેન્શનમાં હોય ત્યારે મોટા ભાગે ‘‘જોન, જાની જનાર્દન’’ ગાયન ગણગણતો. બીજા ગાયનો પણ ગણગણતો.

(૭) પોતાની અમ્મા, નાની બહેન અને ભાઈ વિષે એ અવારનવાર પૂછપરછ કરતો.

(૮) કસાબે આપણી હિન્દી ફિલ્મો શોલે, લાવારિસ, વીરજારા, આશિકી અને બેટા ફિલ્મો જોએલી.

(૯) ઐતિહાસિક કેસનો ઐતિહાસિક ચુકાદો આપનાર જજ મદન લક્ષ્મણ તાહિલિયાની ૫૫ વર્ષની ઉંમરના છે અને નાગપુરથી એમણે લૉની પરીક્ષા પાસ કરી છે. નાગપુરમાં એમણે પહેલા વકીલાત શરૂ કરેલી અને પછી નકસલવાદીઓના પ્રભાવ નીચેના ગઢચિરોલી જિલ્લામાં પબ્લીક પ્રોસીક્યુટર તરીકે કામ કરેલી. એમણે ૧૯૮૭માં એડીશનલ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ તરીકે કોર્ટની કારકીર્દિ શરૂ કરેલી. દસ વર્ષ પછી એમને સેશન જજ બનાવ્યા. એમણે પેલા સંગીતપ્રેમી ગુલશનકુમારના અને મઝદૂર નેતા દત્તા સામંતના ખૂનના કેસોના ચુકાદા આપેલાં.

- ગુણવંત છો. શાહ