Pages

Saturday, May 15, 2010

‘બહાદર, તું ગુજરાતનો આદર !’

નલિનીના નીરમાં આળોટીને ઊઠેલા પવનના તોરા છૂટી રહ્યા છે. કોમળ કૂંપળે રતુંબડો રંગ ધારણ કરેલી આમ્રઘટાઓ વિંઝણો ઢોળી રહી છે. સુવાસની મહેંકથી મલકતાં ફૂલ છોડ પર ડોલી રહ્યાં છે. વસંતનો આવો અસબાબ ઓઢીને પાટણ પ્રગાઢ નિંદ્રામાં પોઢી ગયું છે.


dharti-no-dhabkar.gif એવે વખતે પાટણના પાદરમાં વડોદરા રાજ્યના બે ઘોડેસ્વાર સિપાઈઓ આવી પૂગ્યા. ઉભી બજાર વિંધીને બહાદુરસિંહ બારોટના તોતિંગ દરવાજાના કડા માથે જોરાવર ભુજાનો પંજો પછાડી સાદ દીધોઃ ‘‘બારોટજી...એ....બારોટજી ! ડેલી ઉઘાડો.’’ ભરનિંદરમાં પોઢેલા બારોટ રંગત ઢોલીએથી કાયા સંકોરી ઉઠ્યા. પડખે પડેલી શીરોહી તેગ બગલમાં દબાવી ઓસરીનાં પગથિયાં ઉતરી ફળિયું વળોટી ડેલાની ગળકબારીનો ભોગળ હડસેલી વેણ વદ્યા ઃ

‘‘કોણ ભા, અહુર ટાણે ?’’

સામો ઉત્તર મળ્યો ‘‘અમે વડોદરા રાજના સિપાઈ.’’
‘‘કેમ ભા, અધરાત્યે.?’’
‘‘મા’રાજનું તેડું છે. તમને દેખત પગલે તેડી લાવવાનું અમને કેણ છે.’’
‘‘રાજને મારૂં તે એવું શું કામ પડ્યું ?’’

‘‘એની તો અમને કાંઈ ખબર નથી, પણ તમને ભેળા લઈને પાછા વળી જવાનો હુકમ છે.’’ એટલું બોલીને સિપાઈઓ મૂંગા થઈ ગયા.
‘‘ભલે !’’ ગાયકવાડ સરકારનું ફરમાન કબૂલ કરીને બહાદુરસિંહ બારોટે ફરજામાં બાંધેલી ઘોડીની સરક છોડી માથે કાઠું મૂક્યું. સામાન માંડી, રાંગ વાળી વડોદરાને પંથે પડ્યો.

પાણીપંથી ઘોડી અધરાતનાં અંધારાં ભેદીને પોતાના અસવારના ઇશારે પંખિણીની જેમ ઉડી રહી છે. ભગવાન શિવની જટાજૂટના બંધમાંથી વહેતી જાહન્વીની ધારા જેમ પલ્લો કાપી રહી છે. લગોલગ રાજના બે સિપાઈઓ અશ્વોના ડાબા દેવરાવી રહ્યા છે. તે’દિ પાટણના પટાધર બહાદુરસિંહ બારોટની પંથકમાં હાંક ડાક વાગતી હતી. તેની તેગના તેજ તણખે ભલભલાના હાજા ગગડી જતા હતા. બારોટજીનો પડ્યો બોલ ઝિલાતો હતો. આંગણે હામ, દામ, ડામનો ત્રગડ રચાઈ ગયો હતો.

વાત એમ બની હતી કે ગાયકવાડી સત્તા સામે કાંકરેજ અને ચુંવાળના સિમાડા સળગી ઉઠ્યા હતા. મેવાસીઓ મેદાને પડ્યા હતા. દિવસે રાજની રૈયત લૂંટાતી હતી. ધરતી ધમરોળાતી હતી. પ્રજાના જીવ જાણે કે પડીકે બંધાયા હતા. રાજની ઘીસત ફોગટ ફેરો ખાઈને ધોયેલ મૂળાની જેમ પાછી ફરતી હતી. રૈયતની રાવ ઊભી ને ઊભી રે’તી હતી. વડોદરાનો મહારાજ સયાજીરાવ મૂંઝાઈને બેઠો હતો. કોઈ મારગ મળતો નહોતો. એમાં એક દિ’ કોઈએ કાને વાત નાખી કે, ‘‘પાટણના બારોટજીને હાથમાં લ્યો. બાકી કાંકરેજ સામે કોઈની કારી નહીં ફાવે.’’ મહારાજને વાત શીરાના કોળિયાની જેમ ગળે ઊતરી ગઈ. બારોટને તાકીદનું તેડું મોકલ્યું.

પાટણથી છૂટેલા ઘોડા લાંબો પંથ કાપીને એકદિ પરોઢને પીતા વડોદરાના પાદરમાં પૂગ્યા ને ઘડીસાપડીમાં તો લાલ મણિના કુંડળ જેવી કાંતિમાન કામિનીના કપાળ પર તણાયેલ તિલક જેવી ઉષાની આભા ઉઘડી ગઈ. મહારાજ સયાજીરાવ કચેરીમાં આવીને બેઠા છે. કાગડોળે બારોટજીની વાટ જોવાઈ રહી છે. એને મન કાંકરેજનો ખટકો મોટો છે.
મે’તા મસુદિઓ મૂંગા થઈને બેઠા છે, ચોપદારો છડી પોકારીને ચૂપ થઈ ખડે પગે છે, ચાકરો સેના ખાસ ખેલ જંગે બહાદુર મહારાજાને ચામર ઢોળી રહ્યા છે. બારોટજીએ કટકટ કચેરીના પગથિયે ડગ દીધા. બારોટજી કચેરીનો ઊંબર વળોટે એ પહેલાં મહારાજા આદર દેતા બોલ્યા.
‘‘આવો આવો બારોટજી ! તમારી જ વાટ જોવાય છે.’’

‘હુકમ મહારાજ !’
બેઠક લેતા પહેલાં જ બહાદુરસિંહે આજ્ઞા માગી. કારભારીએ બારોટજીને બેઠક દીધી. મહારાજ વેણ વદ્યાઃ
‘‘બારોટજી, તમે રાજની રૈયત છો. રાજને તમારી તાતી જરૂર પડી છે.’’
‘‘માથું માંગો. આ માથાના આપ માલિક છો !’’ મહારાજાએ વાતનો દોર સાંઘ્યો ઃ
‘‘કાંકરેજ અને ચુંવાળના બળવાખોરો પ્રજાને પીડે છે. એને ઝબ્બે અને જેર કરવાનું કામ રાજ તમને સોંપે છે !’’
‘‘ભલે મહારાજ ! કાંકરેજના કણ હું કાઢી નાખીશ. તમતમારે સવામણની તળાઈમાં નિરાંતની નિંદરૂ તાણો.’’

વડોદરા રાજના ધણીને ધરપત આપીને બારોટ વળી નીકળ્યા. બુદ્ધિ, બહાદુરી અને બાવડાના બળનો જેના જીવતરમાં સંગમ સર્જાઈ ગયો છે એવા બહાદુરસિંહજીએ એક’દિ રાધનપુરના નવાબ સાથે બેઠક કરી. બળકટ બાનીના બારોટજીએ નવાબને ભેળા ભેળવી બળવાખોરો સામે સાણસાવ્યૂહ ગોઠવી દીધો. રાજની સામે પડેલાને ભીડવતો ગયો ને ભાંગતો ગયો. હાંકલાપડકારે ધરણીને ગજવતો મેવાસ માથે ખાબક્યો. થોડા દિ’માં તો સૌને ભેં કરી દીધા કેટલાંકને ઝબ્બે કર્યા. કેટલાંકને વડોદરા રાજના સિમાડા છંડવી દીધા. સામા થયા એના ભોડા રેડવી દીધા. રિબાતી રૈયત અને પીડાતી પ્રજામાં પ્રાણ પુરાયા ! બહાદુરસિંહજીને લોકેબિરૂદ મળ્યું.

‘‘બહાદર, તું ગુજરાતનો આદર.’’

બહાદુરસિંહજી બારોટની બુદ્ધિ અને બહાદુરીની કદર કરી તેમને વડોદરા રાજ્યના સલાહકાર નીમ્યા. બે ગામ ઇનામમાં આપ્યાં. સાથે છત્રી, છડી, મશાલ, ડંકાનાં નિશાન સાથે માનથી શોભાવ્યા હતા. બહાદુરસિંહજી જેમ જેમ આવક વધતી ગઈ એમ દિલાવરીના દરવાજા ઉઘાડા મૂકતા રહેતા હતાં.

આખરે અવસ્થાએ ઘેર્યા. પોતાની હવેલીમાં અંતિમ શ્વાસ લીધો ત્યારે પાટણની પ્રજા પોહ પોહ આંસુડે રડતી હવેલીના ચોકમાં એકઠી થઈને ઊભી હતી. એની અરથી ઉઠી એ વખતે ફરજામાં બાંધેલી ઘોડીએ હાવળ નાખી ખીલો ઉખેડી નાખોરાં ફૂલાવી ચોકમાં આવી અરથીમાં સૂતેલા બારોટજીના પગ ચાટ્યા. કોઈ બોલ્યું ઃ

‘‘ઘોડીને પકડીને ખીલે બાંધો.’’

બેત્રણ જણે સરક પકડી પણ ચારેય પગ સંકેલી ડેલા બારી નીકળી ગઈ. જણ પાછળ પડ્યા પણ ઘોડી કુંડાળે પડી કોઈને છબવા દેતી નથી.
અંતિમ યાત્રા નીકળી. ઘોડી પાછળ પૂગી. કોઈએ ઘોડીને બુચકારી, કોઈએ સરક પકડી પણ કોઈ ફાવ્યું નહિ. અગ્નિ પ્રગટ્યો ને ઘોડીએ માથું પછાડી પોતાના પ્રાણ છોડ્યા.
નોંધ ઃ આ ઘોડીની સમાધિ પાટણમાં છે. આ બળિયા અને બહાદુર બારોટજીએ પાટણનગરને પાંચ વખત જમાડી તૃપ્ત કર્યું હતું.

વિષ્ણુયાગ નામનો મહાયજ્ઞ પણ કર્યો હતો. પોતાની હવેલીમાં સદાવ્રત પણ શરૂ કર્યું હતું. ભોજન સ્વીકાર્ય ન હોય તેને સીઘુ ભરી અપાતુ હતું.
પાણીની સગવડ માટે પાંચ આરાની વાવ ગળાવી બંધાવી હતી, જેનું લોકાર્પણ ૧૮૬૮ના આસો સુદ ૧૦ના ગુરુવારના રોજ આનંદરાવ મહારાજના હસ્તે થયું હતું.

2 comments: